Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

યુપી : હવે ૧૫ સ્ટોર શરૂ કરવા વોલમાર્ટ સુસજ્જ

૩૦૦૦૦ લોકોને રોજગારી મળશે

નવી દિલ્હી,તા. ૨૭ : ઉત્તરપ્રદેશને પ્રાથમિકતાવાળા રાજ્ય તરીકે ગણીને મહાકાય કંપની વોલમાર્ટે કહ્યું છે કે તે ઉત્તરપ્રદેશમાં ૧૫ સ્ટોર સ્થાપિત કરીને ૩૦૦૦૦થી વધુ લોકોને રોજગારી આપશે. ૩૦૦૦૦થી વધુ સ્થાનિક લોકોને રોજગારી આપીને તે આગળ વધવા માટે ઇચ્છુક છે. ઉત્તરપ્રદેશમાં પહેલાથી જ ચાર કેશ એન્ડ કેરી સ્ટોર ચલાવનાર વોલ માર્ટ ઇન્ડિયાએ હાલમાં જ લખનૌમાં ફુલ ફિલમેન્ટ સેન્ટરની શરૂઆત કરી હતી જેના પરિણામ સ્વરુપે ૧૫૦૦ નવી જોબની તકો સર્જાઈ છે. આ વર્ષની શરૂઆતમાં ઉત્તરપ્રદેશમાં ઇન્વેસ્ટમેન્ટ સમિટ યોજાઈ હતી જેમાં રાજ્ય સરકાર સાથે વોલમાર્ટ દ્વારા એમઓયુ કરવામાં આવ્યા હતા. ૧૫ હોલસેલ કેશ એન્ડ કેરી સ્ટોર શરૂ કરવાની વાત કરવામાં આવી હતી. દરેક સ્ટોરમાં ૨૦૦૦ લોકોને સીધીરીતે અથવા તો પરોક્ષરીતે નોકરી મળશે જેના પરિણામ સ્વરુપે ઓછામાં ઓછા ૩૦૦૦૦ લોકોને નોકરી મળી શકશે. ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં વોલમાર્ટ ઇન્ડિયા તરફથી ઉપસ્થિત રહેલા ચીફ કોર્પોરેટ બાબતોના અધિકારી રજનીશ કુમારે આ મુજબની વાત કરી હતી. વોલમાર્ટ ઇન્ડિયા દ્વારા રવિવારના દિવસે લખનૌમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવામાં આવશે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એમઓયુના અમલીકરણના મુદ્દે ધ્યાન આપશે.

(7:38 pm IST)