Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

બેંકો આગામી ૧૦ દિવસમાં ૧૩,૦૦૦ મેગાવોટથી વધારે ક્ષમતાવાળા પાવર પ્લાન્ટના સોદા ફાઇનલ કરશેઃ અદાણી પાવર, વેદાંત પીએલસી, જેએસડબલ્યુ એનર્જી, એડલવાઇઝ, બેન્ક ઓફ અમેરિકા, મેરિલ લિન્ચ, રિસર્જન્ટ પાવર, લોનસ્ટાર- IL&FS અને જેએમ ફાઇનાન્શિયલ સહિતના બિડર્સ ખરીદવા ઉત્સુક

નવી દિલ્હીઃ બેન્કો આગામી 10 દિવસમાં 13,000 મેગાવોટથી વધારે ક્ષમતાના લગભગ એક ડઝન પાવર પ્લાન્ટના સોદા ફાઇનલ કરવાની છે. અદાણી પાવર, વેદાંત પીએલસી, જેએસડબલ્યુ એનર્જી, એડલવાઇઝ, બેન્ક ઓફ અમેરિકા, મેરિલ લિન્ચ, રિસર્જન્ટ પાવર, લોનસ્ટાર- IL&FS અને જેએમ ફાઇનાન્શિયલ સહિતના બિડર્સ એક કે વધારે પાવર પ્લાન્ટને હરાજીમાં ખરીદવા માટે સ્પર્ધામાં છે.

હરાજીની પ્રક્રિયા બહુ ઝડપથી થવાની છે. ધિરાણકારોએ સોદા કરવા માટે 14 ઓગસ્ટ સુધીની ડેડલાઇન નક્કી કરી છે. ત્યાં સુધીમાં હરાજી નહીં થાય તો પ્રોજેક્ટ્સને ઈનસોલ્વન્સી કોર્ટમાં લઈ જવાશે.

ધિરાણકારોએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે જે પાવર પ્રોજેક્ટને હરાજીમાં ₹3 પ્રતિ મેગાવોટથી વધારે ભાવ મળે તેને વેચી દેવાશે. આમ કરવાથી પણ તેમણે લગભગ 50 ટકા નુકસાન સહન કરવું પડશે. તેમણે સ્ટ્રેસ્ટ પાવર પ્લાન્ટ માટે 27 ઓગસ્ટની ડેડલાઇન અગાઉ ઝડપી રિઝોલ્યુશન લાવવા ઇન્ટર ક્રેડિટરી એગ્રીમેન્ટ પણ કર્યા છે.

સોમવારે મુંબઈમાં તમામ ધિરાણકારોની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે વિલંબિત પ્રોજેક્ટ માટે બાંધકામ દરમિયાન બાકી નીકળતી મુદ્દલના 60 ટકા મળતા હોય તેવા બિડરની ઓફર સ્વીકારવી. તેમાં ઓલ-કેશ ઓફરને પ્રાથમિકતા અપાશે અને સફળ બિડરે સોદો કરવા માટે ગેરંટી તરીકે ઓછામાં ઓછા 20 ટકા રકમની અપફ્રન્ટ ચુકવણી કરવી પડશે. ઉપરાંત રિઝોલ્યુશન પ્લાનને આરબીઆઇના પરિપત્ર પ્રમાણે સ્વતંત્ર રેટિંગ એજન્સી તરફથી RP4 રેટિંગ મળવું જોઈએ, જે નાણાકીય જવાબદારી અંગે મધ્યમ જોખમ દર્શાવે છે.

કેએસકે મહાનદી સહિત ઓછામાં ઓછા પાવર પ્રોજેક્ટ માટે વાટાઘાટ ચાલે છે. મહાનદી પ્રોજેક્ટ માટે બિડર્સને ઓફર વધારવા માટે ૪૭ કલાકથી ૭૨ કલાકનો સમય અપાયો છે જ્યારે ધિરાણકારોએ ઓછામાં ઓછા ચાર પ્રોજેક્ટ એનસીએલટી સમક્ષ લઈ જવાનો નિર્ણય લીધો છે.

મધ્યપ્રદેશમાં 600 મેગાવોટના અવંથા પાવર (જાબુઆ) માટે રિઝોલ્યુશન નક્કી જણાય છે. તેમાં એડલવાઇઝ એસેટ રિકન્સ્ટ્રક્શન, અદાણી પાવર, રિસર્જન્ટ પાવર અને ફિનિક્સ એઆરસી સાથે વાતચીત ચાલુ છે. બિડર્સે કરેલી ઓફર એસબીઆઇની બેઠકમાં નક્કી કરવામાં આવેલાં લઘુતમ ધોરણોનું પાલન કરે છે.

1,440 મેગાવોટનો આરકેએમ પાવરજેન પ્રોજેક્ટ એકમાત્ર એવો પ્રોજેક્ટ છે જેનું દેવું હાલના પ્રમોટર્સ સાથે રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવશે અને રિઝોલ્યુશન પ્લાન એક સપ્તાહમાં ફાઇનલ થવાની શક્યતા છે. છત્તીસગઢમાં 2,400 મેગાવોટના કેએસકે પ્લાન્ટના ધિરાણકારો વેદાંત પીએલસી, અદાણી પાવર સાથે આગામી બેથી ત્રણ દિવસમાં તેમની ઓફર સુધારવા માટે વાટાઘાટ કરી રહ્યા છે. જયપ્રકાશ એસોસિયેટ્સના પાવર પ્રોજેક્ટ પ્રયાગરાજ પાવરજેન માટેની ડીલ પણ ઝડપથી થવાની શક્યતા છે.

જો બિડર્સની ઓફર માર્ગદર્શક સિદ્ધાંતોને અનુરૂપ નહીં હોય તો પ્રોજેક્ટ્સ એનસીએલટીમાં ખસેડવામાં આવશે. ઈનસોલ્વન્સી કોર્ટમાં ખસેડવાના પ્રોજેક્ટ્સમાં ઉત્તરપ્રદેશમાં 1,200 મેગાવોટના લેન્કો અન્પારા અને 1,200 મેગાવોટના જિંદાલ ઇન્ડિયા થર્મલનો સમાવેશ થાય છે.

(6:01 pm IST)