Gujarati News

Gujarati News

News of Friday, 27th July 2018

તમામ જ્ઞાતિઓને આર્થિક આધારે અનામત આપવા પર ચર્ચા કરી રહી છે મોદી સરકાર

દેશના અનેક રાજ્યોમાં અનામતને લઇને અલગ અલગ સમુદાયો તરફથી માંગણી ઉઠી છે

નવી દિલ્હી તા. ૨૭ : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તમામ જ્ઞાતિઓને આર્થિક આધાર પર અનામત આપવા પર વિચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકારની અંદર તમામ જ્ઞાતિઓમાં આર્થિક રીતે નબળા અને કમજોર લોકોને અનામત આપવા પર વિચાર ચાલી રહી છે. જોકે, આ ચર્ચા હાલમાં પ્રારંભિક સ્તર પર છે. અનામત પર કોઇ પણ નિર્ણય લેતા અગાઉ એક મોટા સ્તર પર સલાહ અને ચર્ચા કરવામાં આવશે.

નોંધનીય છે કે દેશના અનેક રાજયોમાં અનામતને લઇને અલગ અલગ સમુદાયો તરફથી માંગણી ઉઠી છે. હંમેશા સરકાર અથવા રાજકીય દળો આ માંગણીને પૂરા કરવાના નામ પર ખોટા વચનો આપતી રહે છે કારણ કે અનામતને લઇને સુપ્રીમ કોર્ટનો નિર્ણય સ્પષ્ટ છે કે કોઇ પણ રાજય ૫૦ ટકાથી વધુ અનામત આપી શકે નહીં. અનામતની હાલની વ્યવસ્થા હેઠળ દેશના અનુસુચિત જાતિ માટે ૧૫ ટકા, અનુસુચિત જનજાતિ માટે ૭.૫ ટકા અને અન્ય પછાત વર્ગ માટે ૨૭ ટકા અનામત છે.

વિવાદના કેન્દ્રમાં અનામતનો મુદ્દો છે. બંધારણમાં સ્પષ્ટ રીતે અનામતનો ઉલ્લેખ નથી. પરંતુ બંધારણની મૂળભાવનાના હિસાબે અનામતની વ્યવસ્થા છે. બંધારણની કલમ ૪૬ પ્રમાણે, સમાજમાં શૈક્ષણિક અને આર્થિક રીતે પછા લોકોના હિતનું વિશેષ ધ્યાન રાખવું સરકારની જવાબદારી છે. ખાસ કરીને અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના લોકોને અન્યાય અને શોષણથી બચાવવા જોઇએ.

દેશમાં અંગ્રેજોના રાજથી અનામતની વ્યવસ્થાની શરૂઆત થઇ હતી. વર્ષ ૧૯૫૦માં એસસી માટે ૧૫ ટકા, એસટી માટે ૭.૫ ટકા અનામતની વ્યવસ્થા હતી. અગાઉ કેન્દ્ર સરકારે શિક્ષણ, નોકરીમાં અનામત લાગુ કરી હતી. કેન્દ્ર બાદ રાજયોએ પણ અનામત લાગુ કરી દીધી.

રાજયોમાં જનસંખ્યાના આધારે એસસી, એસટીને અનામતનો લાભ મળે છે. અનામત લાગુ કરતા સમયે ૧૦ વર્ષમાં સમીક્ષાની વાત કરવામાં આવી હતી. વર્ષ ૧૯૭૯માં મંડલ આયોગની રચના કરવામાં આવી હતી. આ આયોદ સામાજિક, શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓની ઓળખ માટે બનાવવામાં આવ્યું હતુ.

વર્ષ ૧૯૮૦માં મંડલ આયોગે પછાતને ૨૭ ટકા અનામતની ભલામણ કરી. ત્યારબાદ વર્ષ ૧૯૯૦માં વીપી સિંહે મંડલ આયોગની ભલામણ લાગુ કરી દીધી.

વર્ષ ૧૯૯૦થી ઓબીસીને ૨૭ ટકા અનામત મળવા લાગી. જોકે, વર્ષ ૧૯૯૨માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઓબીસીને અનામત મળે તે યોગ્ય છે પરંતુ ક્રીમીલેયર સાથે મળવું જોઇએ. જેનો અર્થ એ થયો કે, જે આર્થિક રીતે મજબૂત છે તેમને અનામત ન મળવી જોઇએ. વર્ષ ૧૯૯૩માં એક લાખ રૂપિયાથી વધુ વાર્ષિક આવક ધરાવતા ક્રીમીલેયરમાં ગણાવા લાગ્યા. હાલમાં આઠ લાખથી ઉપરની વાર્ષિક આવક ધરાવતા લોકોને ઓબીસીમાં અનામત મળતી નથી.(૨૧.૬)

(11:01 am IST)