Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

કારગિલ વિજય દિવસની ર૧ મી વર્ષ ગાંઠ નિમિત્તે રક્ષામંત્રીએ આપી શહિદોને શ્રધ્ધાંજલી

ર૧ વર્ષ અગાઉ ભારતીય જવાનોએ દર્શાવેલ શૌર્યને યાદ કર્યા

નવી દિલ્હી: આજે કારગિલ વિજય દિવસના 21 વર્ષ પૂરા થયા છે. 1999માં આજના દિવસે જ ભારતીય સેનાએ આ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. રક્ષામંત્રી રાજનાથ સિંહ, સીડીએસ બિપિન રાવત અને ત્રણેય સેના પ્રમુખોએ દિલ્હીના નેશનલ વોર મેમોરિયલમાં અમર જવાનોને શ્રદ્ધાંજલિ આપી. આજના દિવસને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં ઉજવવામાં આવે છે.

21 વર્ષ અગાઉ 26 જુલાઈના રોજ ભારતીય સેનાએ પોતાનું એવું તે શૌર્ય અને પરાક્રમ દેખાડ્યું હતું કે જેનો ઈતિહાસમાં કોઈ મુકાબલો નથી. દુશ્મને જે પર્વતની ટોચ પર કબ્જો જમાવ્યો હતો ત્યાંથી પાકિસ્તાનના સૈનિકોનો ખાતમો કરીને તે પહાડો પર કબ્જો જમાવવો કેટલો મુશ્કેલ રહ્યો હશે, તેનો તો આપણે ફક્ત અંદાજો જ લગાવી શકીએ છીએ. આથી આજના દિવસે સમગ્ર દેશ તે અમર જવાનોને સલામ કરે છે, શ્રદ્ધાંજલિ આપે છે તેઓ કારગિલમાં શહીદ થયા હતાં. દેશ આજે વિજય પર્વ મનાવી રહ્યો છે. કારગિલની ઊંચી પહાડીઓ પર પાકિસ્તાનના સૈનિકોએ કબ્જો જમાવ્યો હતો. ત્યારબાદ 18 હજાર ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવા માટે ભારતીય સેનાના શૂરવીરોએ ઓપરેશન વિજયનો ઈતિહાસ રચ્યો.

અત્રે જણાવવાનું કે ઓક્ટોબર 1998માં મુશર્રફે કારગિલ પ્લાનને મંજૂરી આપી હતી. પાકિસ્તાનને લાગ્યું હશે કે ઊંચી ટોચ પર કબ્જો જમાવ્યાં બાદ આ વિસ્તાર હંમેશા માટે તેમનો થઈ જશે પરંતુ તેમને ભારતીય સેનાના અદમ્ય સાહસનો અંદાજો નહતો. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ત્યારે મિગ-27 અને મિગ-29 ફાઈટર વિમાનોનો ઉપયોગ કર્યો હતો. પરંતુ બોફોર્સ તોપના ગોળાઓએ પાકિસ્તાનને હરાવવામાં ખુબ મહત્વની ભૂમિકા ભજવી હતી.

(12:11 pm IST)