Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

સ્વતંત્રતા પર્વ પર લોકો કોરોનાથી આઝાદીનો સંકલ્પ કરે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી૬૭ મી મન કી બાતમાં પ્રધાનમંત્રીશ્રી મોદીએ કારગિલ યોધ્ધાઓને શ્રધ્ધાસુમન અર્પણ કરી : અટલજીને યાદ કર્યા

મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને કારગિલના શહીદોને યાદ કર્યા : હજુ કોરોના સંકટ ઓછું થયું નથી, સતર્ક રહેવું પડશે : સરહદ પર સૈનિકોના કલ્યાણને ધ્યાનમાં રાખીને લોકોએ તેમની વાત બીજા લોકોને કરવી જોઈએ

નવી દિલ્હી, તા. ૨૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતના ૬૭માં સંસ્કરણમાં કારગિલ વિજય દિવસ પર દેશના શહીદ સૈનિકોને યાદ કર્યા હતા. પીએમ મોદીએ પ્રવર્તમાન કોરોના મહામારીને લઈને પણ લોકોને સાવેચેતી વર્તવા માટે અનુરોધ કર્યો હતો. પીએમ મોદીએ સ્વતંત્રતા પર્વ પર કોરોનાથી આઝાદી મેળવવાનો સંકલ્પ લેવા જણાવ્યું હતું. વડાપ્રધાને દેશના યુવાનોએ આપણા લશ્કરના સૈનિકોની કારગિલની સૌર્યગાથાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું કે સરહદ પર આપણા સૈનિકોના કલ્યાણને ધ્યાનમાં રાખીને લોકોએ તેમની વાતો બીજા લોકો સુધી પહોંચાડવી જોઈએ. આ ઉપરાંત મન કી બાત કાર્યક્રમમાં પીએમએ કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, હજુ પણ કોરોના સંકટ ઓછું થયું નથી અને આપણે સતર્ક રહેવું પડશે.

             લોકોએ માસ્ક પહેર્યા વગર ઘરની બહાર જાવું જોઈએ નહીં અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવું જોઈએ. કોઈ કોઈ સ્થળે જણાયું છે કે જ્યારે માસ્ક પહેરવું ફરજિયાત અને અનિવાર્ય બન્યું છે ત્યારે જ લોકો તેની અવગણના કરી રહ્યા છે. કોરોના સામેના જંગમાં બિહાર, ઝારખંડ અને પૂર્વોત્તર સહિતના રાજ્યોની કામગીરીની પણ પ્રશંસા કરી હતી. આ રાજ્યો દ્વારા સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની પહેલને પણ વડાપ્રધાને બિરદાવી હતી. વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને પણ આડેહાથ લીધું હતું. કારગિલ વિજય દિવસ પર પીએમએ જણાવ્યું કે પાડોશી દેશ પાકિસ્તાને આપણી પીઠમાં છરો ભોંકવાનું કામ કર્યું હતું

                 પરંતુ આપણા બહાદુર જવાનોએ આ દુસ્સાહસને નાકામ કરી દીધું હતું. સ્વતંત્રતા પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ દેશવાસીઓને આઝાદીના પ્રસંગે લોકોને કોરોનાથી મુક્તિ મેળવીને આત્મનિર્ભર બનવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. પીએમએ જણાવ્યું કે વિશ્વના અન્ય દેશોની તુલનાએ ભારતમાં કોરોનાનો રિકવરી રેટ સારો છે. મૃત્યુદર પણ ઘણો ઓછો છે. કોરોના કાળમાં આપણે અન્ય બીમારીને પગલે હોસ્પિટલમાં ધક્કા ના ખાવા પડે તેનું ધ્યાન રાખવું પડશે તેમ તેમણે જણાવ્યું હતું. આસામ અને બિહારમાં આવેલી પૂરની સ્થિતિનો પણ પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કોરોના મહામારી વચ્ચે દેશમાં કેટલાક રાજ્યમાં આવેલા પૂરથી લોકોને હાલાકી પડી છે. દેશના તમામ લોકો આસામ અને બિહારની સાથે છે. પીએમ મોદીએ બિહારની મધુબની પેઈન્ટિંગવાળા માસ્કનો પણ ઉલ્લેખ કરી કહ્યું આજકાલ આવા માસ્ક વધુ પ્રચલિત બન્યા છે. આ ઉપરાંત પૂર્વોત્તરના કારીગરો દ્વારા વાઁસમાંથી તૈયાર કરાયેલ બોટલ અને ટીફિન બોક્સ સહિતના ઉત્પાદનોની પણ સરાહના કરી હતી.

(7:29 pm IST)