Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

આઈઆઈટી -મુંબઈએ પુરા વર્ષ માટે ક્લાસ રૂમમાં લેકચર રદ કર્યાં

કોરોના સંકટને પગલે આગામી સેમેસ્ટર ઓનલાઈન : સત્રને સમાપ્ત કરવાની સાથે સાથે આઈઆઈટી મુંબઈએ વિદ્યાર્થીઓની સુવિધા માટે ભારતમાં સૌપ્રથમ પગલું ભર્યું

મુંબઇ, તા. ૨૫ : કોરોનાની બીમારીને પગલે  ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(આઈઆઈટી-મુંબઇ) સમગ્ર વર્ષ માટે ફેસ-ટુ-ફેસ લેકચર્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે લેકચર્સ ઓનલાઈન મોડમાં લેવાશે. આવી મહત્વપર્ણ જાહેરાત કરનાર આઈઆઈટી મુંબઈ દેશની સૌપ્રથમ મોટી અને ખ્યાતનામ શિક્ષણ સંસ્થા છે. આઈઆઈટી બોમ્બેના ડાયરેક્ટર પ્રોફેસર સુભાશીષ ચૌધરીએ બુધવારે રાત્રે ફેસબુક પર એક પોસ્ટ લખીને માહિતી આપી છે. તેમણે કહ્યું કે ખૂબ સમજી-વિચારીને વિદ્યાર્થીની સુરક્ષા અને હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. પ્રો.સુભાશીષ ચૌધરીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું કે આઈઆઈટી-મુંબઇ માટે વિદ્યાર્થીઓ પ્રાથમિકતા છે. એવામાં સત્રને સમાપ્ત કરવાની સાથે સાથે અમે વિદ્યાર્થીઓની સુવિધા માટે ભારતમાં આવું સૌપ્રથમ પગલું ભર્યું છે.

           તેમણે આગળ લખ્યું કે અમે કોરોના મહામારીના સંકટને જોતા વિચાર્યું કે વિદ્યાર્થીઓને કેવી રીતે મદદ કરી શકીએ ? પછી અમે ખૂબ વિચાર્યું અને પછી સેનેટમાં નિર્ણય લીધો કે આગામી સેમેસ્ટર સંપૂર્ણ રીતે ઓનલાઈન રહેશે, જેનાથી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને અમે કોઈ સમજૂતી કરી શકીએ નહીં. પોસ્ટમાં તેમણે આર્થિક રીતે કમજોર પરિવારોથી આવતા વિદ્યાર્થીઓ માટે તેમણે મદદ પણ માંગી છે. ડોનેશનની અપીલ કરતા કહ્યું કે, વિદ્યાર્થીઓનો એક મોટો વર્ગ છે કે જે આર્થિક રીતે કમજોર પરિવારમાંથી આવે છે અને તેમને ઓનલાઈન ક્લાસીસ માટે આઈટી હાર્ડવેર સેટઅપ કરવામાં મદદ કરવી જોઈએ. અમારું અનુમાન છે કે જરુરતમંદ વિદ્યાર્થીઓની મદદ માટે પાંચ કરોડ રુપિયાની જરુર પડશે. અમે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે આપની મદદની આશા રાખીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના સંકટના પગલે દેશભરની કોલેજો અને સ્કૂલો હજુ ક્યારે ખોલવામેં આવશે તેને લઈને સત્તાવાર કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી, પરંતુ આઈઆઈટી-બોમ્બેએ સૌથી પ્રથમ નક્કર નિર્ણય કરવાની પહેલ કરે છેનિર્ણયને હવે કદાચ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અનુસરશે, તેવી શક્યતા જોવાઈ રહી છે.

(12:00 am IST)