Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

પી.એમ. બનવા થનગની રહેલ વિપક્ષી નેતા બનવા પણ લાયક ન રહ્યાઃ લોક જનશકિત પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાને કોંગ્રેસના ઉમેદવારો પર કર્યા આકરા કટાક્ષ-પ્રહારો

લોકસભા ચૂંટણી 2019ના પરિણામો સામે આવી ચૂક્યા છે. એનડીએને પ્રચંડ જીત મળી છે. જીત બાદ નિવેદનબાજીનો સમય ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણી પરિણામ જોયા બાદ કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાને કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળો પર કટાક્ષ કરીને કહ્યુ કે જે લોકો પ્રધાનમંત્રી બનવાના સપના જોઈ રહ્યા હતા તે વિપક્ષ બનવાને લાયક પણ નથી બચ્યા.

રામ વિલાસ પાસવાને કોંગ્રેસની મજાક ઉડાવતા કહ્યુ કે જે લોકો પ્રધાનમંત્રી પદની ખુરશી પર બેસવા ઈચ્છી રહ્યા હતા તે હવે વિપક્ષના નેતાનું પદ મેળવવામાં પણ નિષ્ફળ થઈ ગયા છે. તેમણે કહ્યુ કે મે પહેલા જ સ્મૃતિ ઈરાનીના ચૂંટણી જીતવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ કે હું છેલ્લા ત્રણ વર્ષથી કહી રહ્યો છુ કે પ્રધાનમંત્રી પદ માટે આગામી ચૂંટણીમાં પણ કોઈ જગ્યા ખાલી નથી એટલા માટે લોકો વિપક્ષની ખુરશી તરફ ધ્યાન આપે. તેમણે કહ્યુ કે હું હવામાન વૈજ્ઞાનિક નથી પરંતુ કોંગ્રેસને વિપક્ષની ભૂમિકા નિભાવવા જેટલી સીટો પણ નથી મળી. તેમણે કહ્યુ કે હું જે કહુ છુ તે થઈ જાય છે.

તેમણે આરજેડી નેતા તેજસ્વી યાદવ દ્વારા ચૂંટણી પ્રચારમાં નીતિશ કુમાર સામે પ્રચાર કરવા પર વાંધો વ્યક્ત કર્યો હતો અને કહ્યુ હતુ કે તેજસ્વી નીતિશને 'પલટુ ચાચા' કહીને સંબોધિત કરી રહ્યા હતા, તેમણે પોતાની અને નીતિશ કુમારની ઉંમરના તફાવતને સમજવો જોઈએ. તેમણે કહ્યુ કે રાબડીએ લાલુજીના નામ પર મત માંગ્યા તેમછતા જનતાએ નકારી દીધી. તેમણે કહ્યુ કે બિહારની જનતાએ આરજેડીના અહંકારને તોડી દીધો છે. તેમણે કહ્યુ કે આ ચૂંટણીએ વિરોધીઓના પોલિટિકલ કેરિયર જ નષ્ટ કરી દીધા છે.

(11:42 am IST)