Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ગુજરાત સહિત ૪ રાજ્યોમાં રસીકરણનું રિહર્સલ કરાશે

કોવિડ-૧૯ના રસીકરણની વ્યવસ્થાઓનું આંકલન થશે : ગુજરાત, પંજાબ, આસામ, આંધ્રમાં ૨૮-૨૯ ડિસેમ્બરે ડ્રાય રન ફોર કોવિડ-૧૯ વેક્સિનેશનની સરકારની તૈયારી

નવી દિલ્હી, તા. ૨૫ : કેન્દ્ર સરકારે કોવિડ-૧૯ વેક્સીનેશનની વ્યવસ્થાઓના આંકલન માટે ગુજરાત, પંજાબ, આસામ અને આંધ્ર પ્રદેશમાં ૨૮-૨૯ ડિસેમ્બરે રિહર્સલ (ડ્રાય રન ફોર કોવિડ-૧૯ વેક્સિનેશન)ની તૈયારી કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે, આ અભ્યાસ અંતર્ગત વેક્સિનની આપૂર્તિ, તપાસ રસીદ અને વહેંચણીથી સંબંધિત ઓનલાઈન મંચ કોવિનમાં જરૂરી ડેટા મૂકવા ટીમના સભ્યોની નિમણૂક, વેક્સીનેશનના સ્થળો પર તપાસ, લાભાર્થીઓ સાથે મોક ડ્રીલ, રિપોર્ટિંગ અને સાંજે બેઠક વગેરે થશે.

મંત્રાલયે જણાવ્યું કે, તે અંતર્ગત કોવિડ-૧૯ વેક્સિનના રેફ્રિજરેશન સ્ટોર્સ, તેના ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, વેક્સીનેશન સ્થળ પર ભીડનું મેનેજમેન્ટ, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરેનું ટેસ્ટિંગ કરાશે.

મંત્રાલયે કહ્યું કે, દરેક રાજ્યના બે જિલ્લામાં, ખાસ કરીને પાંચ અલગ-અલગ વેક્સીનેશન કેન્દ્રો- જેમકે જિલ્લા હોસ્પિટલ, સીએચસી/પીએચસી, અર્બન સાઈટ, પ્રાઈવેટ હેલ્થ ફેસિલિટી, ગ્રામ્ય પહોંચ કેન્દ્ર માટે આ રિહર્સલ સંબંધી યોજના બનાવાશે. પંજાબના લુધિયાણા અને શહીદ ભગત સિંહ નગરને કોવિડ વેક્સીનેશનના ડ્રાય રન માટે પસંદ કરાયા છે. લુધિયાણાના ડેપ્યુટી કમિશનર વી શર્માએ જણાવ્યું કે, અહીં વેક્સીનેશન માટે ૮૦ સર્વિસ લોકેશન નક્કી કરાશે. મંત્રાલયે કહ્યું કે, આ સ્ટડીથી કોવિડ-૧૯ વેક્સિનને ભેગી કરવા અને વેક્સીનેશનની ટેસ્ટિંગ પ્રક્રિયા, ક્ષેત્રમાં કોવિનના ઉપયોગ, પ્લાનિંગ, અમલીકરણ, રિપોર્ટિંગ વચ્ચે તાલમેલ, પડકારોની ઓળખ, વાસ્તવિક અમલીકરણ વિશે માર્ગદર્શન, જો કોઈ સુધારાની જરૂર હોય તેને માર્ક કરવી, વગેરે વિશે જાણકારી મળશે. મંત્રાલયે આ સંબંધમાં એક તપાસ યાદી તૈયાર કરી છે, જેને અભ્યાસ દરમિયાન માર્ગદર્શન માટે ચારેય રાજ્યોને આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં રાજ્ય સ્તર પર બધા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં તાલીમ પૂરી કરી દેવાઈ છે અને જિલ્લાસ્તર પર ૭,૦૦૦થી વધુએ તાલીમ લીધી હતી. લક્ષદ્વીપ અપવાદ છે. કોવિડ-૧૯ વેક્સીનેશન અને કોવિન વિશે કોઈ જિજ્ઞાસા, ફરિયાદ વગેરેના સમાધાન માટે રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તર પર હેલ્પલાઈન ક્ષમતા પણ મજબૂત કરવામાં આવી છે. રાષ્ટ્રીય કોવિડ-૧૯ વેક્સીનેશન એક્સપર્ટસ ટીમ તંત્રને સ્વાસ્થ્યકર્મીઓ (લગભગ એક કરોડ), અગ્રીમ કર્મીઓ (લગભગ બે કરોડ) અને અન્ય પ્રાથમિક ઉંમરના સમૂહ (૨૭ કરોડ) માટે કોવિડ-૧૯ વેક્સીનેશનની ભલામણ કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ, ભારતમાં કોરોના વાયરસના સક્રિય મામલા હવે ૨.૮૧ લાખ છે, જે કુલ કેસના ૨.૭૮ ટકા છે.

(7:25 pm IST)