News of Wednesday, 25th March 2020
વારાણસી, તા. ૨૫ : કોરોના વાયરસને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કર્યા બાદ વારાણસીના લોકો સાથે વાતચીત કરી હતી. પોતાના સંસદીય મતવિસ્તારના લોકો સાથે વાતચીત કરીને તેમના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. પોતાના સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાને કહ્યું હતું કે, નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પુજા થાય છે તેમને પ્રકૃત્તિની દેવી પણ કહેવામાં આવે છે. આજે દેશ જે સંકટના દોરમાં છે તેમાં અમને તેમના આશીર્વાદની જરૂર દેખાઈ રહી છે. તેમની માતા શૈલપુત્રીને પ્રાર્થના છે કે, કોરોનાની સામે દેશે જે યુદ્ધ છેડી દીધું છે તેમા અમને વિજય મળે. તેમણે કહ્યું હતું કે, કાશીના સાંસદ હોવાના કારણે કટોકટીના સમયમાં તેમની વચ્ચે રહેવાની જરૂર હતી પરંતુ દિલ્હીમાં જે થઇ રહ્યું છે તેનાથી તમામ લોકો વાકેફ છે. અહીના વ્યસ્ત કાર્યક્રમ છતાં તેઓ કાશી સાથે વારંવાર જોડાઈ રહ્યા છે. તેમણે યાદ અપાવતા કહ્યું હતું કે, મહાભારતનું યુદ્ધ ૧૮ દિવસમાં જીતવામાં આવ્યું હતું.
કોરોનાની સામે જે યુદ્ધ અમે લડી રહ્યા છે તેને જીતવા માટે ૨૧ દિવસનો સમય લાગશે. મહાભારતના યુદ્ધના સમયે ભગવાન કૃષ્ણ સારથી તરીકે હતા. આજે ૧૩૦ કરોડ સારથીઓના આધાર પર અમે આ યુદ્ધ જીતવા જઈ રહ્યા છે. વડાપ્રધાને કહ્યું હતું કે, કોરોનાની સામે આ યુદ્ધમાં કાશી અથવા તો વારાણસીના લોકોની સૌથી મહત્વની ભૂમિકા રહેશે. લોકડાઉનના સમયમાં વારાણસી દેશને સંયમ અને સહનશીલતા માટે માર્ગદર્શન આપે છે. કાશીનો અર્થ કલ્યાણ તરીકે થાય છે. મહાદેવની નગરીમાં જો આ તાકાત રહેશે નહીં તો અન્ય કોનામાં રહેશે. કોરોનાને લઇને દેશમાં વ્યાપક તૈયારી ચાલી રહી છે પરંતુ અમને ધ્યાન રાખવું છે કે, ઘરમાં રહેવાની બાબત જ એકમાત્ર વિકલ્પ છે. કેટલાક લોકોએ પ્રશ્ન કર્યો હતો કે, ગરમીની સ્થિતિમાં વાયરસ પોતાનીરીતે ખતમ થઇ જાય છે. અમારી બનાવટ એવી છે કે, અમને કોરોના થઇ શકે નહીં એવી વિચારધારા ધરાવતા લોકોને શું સંદેશ છે તેના જવાબમાં મોદીએ કહ્યું હતું કે, લોકોની એવી ટેવ હોય છે કે, જે બાબત તેમના માટે અનુકુળ હોય છે તેને માની લેવામાં આવે છે. તેમાં જરૂરી અને ધ્યાન આપવાની બાબત છુટી જાય છે.
આ બિમારીની સૌથી મોટી બાબત એ છે કે, આમા અમીર ગરીબને જોવા માટે કોઇ કારણ નથી. આ વાયરસ એવા લોકોને પણ સકંજામાં લઇ લે છે જે પોતાના આરોગ્યનું ધ્યાન રાખે છે. ધ્યાન રાખવાની જગ્યા બિમારી કેટલી ભયાનક છે તેની કાળજી લેવાની જરૂર છે. કેટલાક લોકો સમજી રહ્યા છે પરંતુ અમલીકરણ કરી રહ્યા નથી. લોકોને ધ્યાન છે કે, સાવચેતી શું રાખવી જોઇએ. સિગારેટ અને પાનમસાલાથી કેન્સર થાય છે. આ બાબત તેમને ખબર હોય છે પરંતુ સાવચેતી રાખતા નથી. નાગરિક તરીકે પોતાના કર્તવ્યનું ધ્યાન રાખવું જોઇએ. ઘરે રહીને અંતર રાખવાની જરૂર દેખાઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, હોસ્પિટલમાં સફેદ વસ્ત્રોમાં ડોક્ટર અને નર્સ ભગવાનના રુપમાં ફરી રહ્યા છે. તેમની સાથે ખરાબ વર્તન બિલકુલ અયોગ્ય છે. દેશભરમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સારવારમાં લાગેલા ડોક્ટરો અને નર્સની સાથે ભેદભાવ કરવાની બાબત યોગ્ય નથી. તેમણે કહ્યું હતું કે, આજથી નવરાત્રિની શરૂઆત થઇ છે. આગામી ૨૧ દિવસ સુધી દરરોજ જે લોકો સમર્થ છે તે નવ ગરીબ પરિવારોની મદદ કરવાનું વચન લઇ શકે છે. આવું કરવાથી માતાની પૂજા પૂર્ણ થશે. પોતાની આસપાસ રહેલા પશુઓની પણ ચિંતા કરવી જોઇએ. તેમની સામે ભોજન સંકટ છે.