Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

પાક મુસ્લિમ ઘુસણખોરોને દેશની બહાર કરવા શિવસેનાની માંગણી

નાગરિક સુધારા કાનૂનને લઇને શિવસેનાએ વલણ સ્પષ્ટ કર્યું : મહારાષ્ટ્રમાં નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ સીએએનું સમર્થન કર્યા બાદ શિવસેનાનું નિવેદન : રાજ ઠાકરેને હિન્દુત્વ રાજનીતિથી કંઇ નહીં મળે

મુંબઈ, તા. ૨૫ : મહારાષ્ટ્રમાં શિવસેનાએ આજે નાગરિક સુધારા કાનૂનને લઇને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. પાર્ટીએ કહ્યું છે કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા મુસ્લિમ ઘુસણખોરોને દેશની બહાર કરવાની જરૂર છે. પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ સીએએના સમર્થનમાં વાત કરી હતી અને ૯મી ફેબ્રુઆરીના દિવસે કાનૂનના સમર્થનમાં માર્ચ યોજવાની જાહેરાત કીર હતી. રાજ ઠાકરેના પગલા બાદ શિવસેનાએ પોતાના મુખપત્ર સામના મારફતે તેમના પર પ્રહાર કર્યા છે. સામનામાં જણાવવામાં આવ્યું  છે કે, એક મહિના પહેલા રાજ ઠાકરે સીએએને લઇને અલગ વલણ રાખી રહ્યા હતા અને હવે અલગ વલણ અપનાવી રહ્યા છે. તેઓ આને મંદી જેવા મહત્વના મુદ્દાથી લોકોના ધ્યાનને અન્યત્ર દોરવા માટે ચાલ રમી રહ્યા છે. હવે રાજ ઠાકરે પોતાના નિવેદનથી ગુલાંટ મારી ગયા છે. સીએએના સમર્થનમાં હવે રેલી યોજી રહ્યા છે.

                    શિવસેનાએ ઠાકરેને ટાર્ગેટ ઉપર લેતા કહ્યું છે કે, બે ધ્વજને એક સાથે જાળવવાની બાબત દુવિધાભરી માનસિકતા દર્શાવે છે. ગુરુવારના દિવસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ પાર્ટીના નવા ધ્વજ લોંચ કરવાની જાહેરાત કરી હતી. ધ્વજમાં ભગવા રંગ દેખાઈ આવે છે. આમા શિવાજી સમય ગાળાની ચલણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિવસેનાએ રાજ ઠાકરે પર પ્રહાર કરતા કહ્યું છે કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા મુસ્લિમ ઘુસણખોરોને દેશની બહાર કરવા જોઇએ. સામનામાં શિવસેનાએ કહ્યું છે કે, રાજ ઠાકરેએ ૧૪ વર્ષ પહેલા મરાઠી મુદ્દાઓને  લઇને પાર્ટી બનાવી હતી અને તેઓ હિન્દુત્વના મુદ્દા ઉપર આવી રહ્યા છે પરંતુ બાબા સાહેબ અને સાવરકરના હિન્દુત્વને અદા કરવાની બાબત બાળકોની રમત નથી. શિવસેનાએ કહ્યું છે કે, અમે પણ મોટા મનના છીએ. હિન્દુત્વવાદી વલણ અપનાવનારનું સ્વાગત કરીએ છીએ.

                  શિવસેનાએ કહ્યું છે કે, મરાઠી મુદ્દા ઉપર પાર્ટીએ પહેલાથી ખુબ કામ કર્યું છે જેથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને પ્રજા તરફથી કોઇ જવાબ મળી રહ્યો નથી. હવે હિન્દુત્વની રાજનીતિથી પણ રાજ ઠાકરેને કંઇ મળશે નહીં. કારણ કે, શિવસેનાએ હિન્દુત્વ માટે પણ ઘણા કામ કરેલા છે. પાર્ટીએ કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીની સાથે મળીને સરકાર બનાવવામાં આવી છે. આનો મતલબ નથી કે, પાર્ટીએ પોતાની હિન્દુત્વની વિચારધારાને છોડી દીધી છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ મહેબુબા મુફ્તી સાથે હાથ મિલાવી શકે છે તો અમે કેમ કરી શકીએ નહીં. એનસીપી, કોંગ્રેસ, શિવસેનાની વિચારધારા જુદી જુદી છે પરંતુ લોકોના હિતમાં કામ કરવાનો નિર્ણય કરાયો છે. શિવસેનાએ એમ પણ કહ્યું છે કે, ભાજપ સરકારે જે કામ પાંચ વર્ષમાં કર્યું હતું તે કામ મહારાષ્ટ્રની ગઠબંધન સરકારે ૫૦ દિવસમાં કર્યું છે.

(7:38 pm IST)