Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

વિધાનસભામાં બોલતાં-બોલતાં પૂર્વ મુખ્‍યમંત્રીનું ધોતિયું ખુલી ગયું

કર્ણાટકના પૂર્વ મુખ્‍યમંત્રી અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા વિધાનસભા સત્ર દરમિયાન ભાષણ આપી રહ્યા હતાઃ તે સમયે તેઓનું ધોતિયું ખુલી ગયું હતું: આ અંગે સિદ્ધારમૈયાએ કહ્યું કે, કોરોનાથી સાજા થયા બાદ વજન વધી જતાં ધોતિયું ખુલી ગયું હતું

બેંગ્‍લોર,તા.૨૪: કર્ણાટક વિધાનસભામાં ચાલી રહેલ સત્ર દરમિયાન એક રમૂજી કિસ્‍સો બન્‍યો હતો. રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી અને વિપક્ષ નેતા સિદ્ધારમૈયા વિધાનસભામાં ભાષણ આપી રહ્યા હતા. તે જ સમયે સિદ્ધારમૈયાનું ધોતિયું ખુલી ગયું હતું. અને ભાષણ આપતી વખતે તેમને આ વાતનો ખ્‍યાલ જ રહ્યો ન હતો. જો કે, કર્ણાટક પ્રદેશ ડી.કે. શિવકુમાર તેમની પાસે પહોંચ્‍યા હતા અને કાનમાં કહ્યું હતું કે, તમારું ધોતિયું ખુલી ગયું હતું.
કર્ણાટક વિધાનસભામાં સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના નેતાઓ વચ્‍ચે સત્ર દરમિયાન ભારે ગરમાગરમી જોવા મળી રહી છે. તેવામાં રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયા મૈસુરુમાં થયેલ ગેંગરેપ મામલે પોલીસે કરેલી કાર્યવાહીને લઈને ગૃહમાં સવાલ ઉઠાવી રહ્યા હતા. પ્રશ્નને લઈને તેઓ એટલા આવેશમાં આવી ગયા કે, તેઓને ખ્‍યાલ જ ન રહ્યો કે તેમનું ધોતિયું ખુલી ગયું હતું. જો કે, વિધાનસભામાં ઉપસ્‍થિત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શિવકુમાર ધીમે રહીને તેમની નજીક આવ્‍યા હતા અને કાનમાં કહ્યું હતું કે, તમારું ધોતિયું ખુલી ગયું હતું. જે બાદ સિદ્ધારમૈયાએ પોતાનું ધોતિયું ઠીક કર્યું હતું.
જો કે, આ કિસ્‍સા અંગે ગૃહમાં મોટાભાગના લોકોનું ધ્‍યાન ગયું ન હતું. ચાલુ સત્રમાં સિદ્ધારમૈયા અને શિવકુમાર કાનોમાં વાત કરતાં વિધાનસભા અધ્‍યક્ષ મધુ બંગરપ્‍પાએ બંને નેતાઓ કાનોમાં વાત કરવાને લઈને સવાલ કર્યો હતો. જેના જવાબમાં સિદ્ધારમૈયાએ કહ્યું કે, કોરોનાથી સાજા થયા બાદ વજન ૪-૫ કિલો વધી ગયું છે. અને તેને કારણે ધોતિયું ખુલી ગયું હતું. સિદ્ધારમૈયાનો આ જવાબ સાંભળીને જ સમગ્ર વિધાનસભામાં હાસ્‍યનું મોજું ફરી વળ્‍યું હતું.
જો કે, આ મામલે કોંગ્રેસે ભાજપ પર સવાલ ઉઠાવ્‍યા હતા. આ કિસ્‍સાને લઈને કોંગ્રેસ ધારાસભ્‍ય રમેશ કુમારે કહ્યું કે, અમારા પ્રદેશ અધ્‍યક્ષ શિવકુમારજીએ સિદ્ધારમૈયાજી અને પાર્ટીની છબિ બચાવવા માટે તેમના કાનોમાં વાત કહી હતી. અને હવે આ ઘટનાને લઈને બીજેપીનાં લોકો અમારી છબિ ખરાબ કરશે. જો કે, તેના જવાબમાં સિદ્ધારમૈયા કહ્યું હતું કે, તે લોકો પ્રયાસ કરી શકે છે, પણ અમારી છબિ સાથે કાંઈ કરી શકતા નથી.

 

(10:19 am IST)