Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

મુંબઈની હોસ્પિટલની ઘોર બેદરકારી : ICUમાં સારવાર લઇ રહેલા ગંભીર દર્દીની ઉંદર આંખ કાતરી ગયો : મોત

ઉંદર કરડવાને કારણે પેશન્ટની આંખ પાસેથી લોહી પણ આવ્યું: મેયરે હોસ્પિટલની મુલાકાતે આવવું પડ્યું હતું.

મુંબઈ :કોરોનાની મહામારી વચ્ચે મુંબઈની એક હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. અહીંની હોસ્પિટલના ICU વિભાગમાં દાખલ એક દર્દીની આંખ ઉંદર કાતરી ગયો છે. અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.

હોસ્પિટલના આઇસીયુમાં બેભાન જેવી અવસ્થામાં સારવાર લઈ રહેલા એક પેશન્ટની ડાબી આંખમાં ઉંદર કરડી ગયો હોવાનું બહાર આવ્યું છે. ઉંદર કરડવાને કારણે પેશન્ટની આંખ પાસેથી લોહી પણ આવ્યું હતું. આ બનાવ ચર્ચાનો વિષય બનતાં એની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગઈ કાલે મેયરે હોસ્પિટલની મુલાકાતે આવવું પડ્યું હતું.

હોસ્પિટલના આઇસીયુમાં 24 વર્ષનો શ્રીનિવાસ યલ્લપા છેલ્લા બે દિવસથી સારવાર લઈ રહ્યો છે. તેનું લિવર ખરાબ થયું હોવાની સાથે તેને દમ થયો હોવાથી તેની હાલત ક્રિટિકલ છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાથી તેને જોવા માટે ગઈ કાલે તેના સંબંધી હૉસ્પિટલમાં આવ્યા હતા. ત્યારે તેની આંખમાંથી લોહી જતું હોવાનું તેમને દેખાયું હતું. પેશન્ટની બહેને તેની આંખની તપાસ કરતાં આંખમાં ઉંદર કરડ્યો હોવાનું સામે આવ્યું હતું.

આ ઘટના મંગળવારે ત્રણ વાગ્યે ઘટી હતી. સવારે જ્યારે શ્રીનિવાસના સંબંધીઓએ તેની એક આંખમાંથી લોહી નીકળતું જોયું તો તાત્કાલિક તેને આ અંગે હોસ્પિટલ પ્રશાસનને જાણ કરી. જ્યારે આંખની તપાસ કરવામાં આવી તો ઉંદરે આંખ કાતરી નાખી હોય તેવી જાણકારી સામે આવી. એ બાદ દર્દીના પરિવારે હોસ્પિટલમાં ભારે હોબાળો કર્યો હતો.

આ વિશે માહિતી આપતાં પેશન્ટની બહેન યશોદા યલ્લપાએ જણાવ્યું હતું કે 'ભાઈને મળવા ગઈ કાલે હું હૉસ્પિટલ પહોંચી ત્યારે તેની આંખ પર પટ્ટી લગાડેલી હતી અને લોહી જેવું દેખાયું હતું. એથી પટ્ટીને થોડી દૂર કરીને જોતાં ત્યાં જખમ દેખાયો હતો. એથી મેં હોસ્પિટલમાં નર્સને એ વિશે પૂછતાં તેણે ઊલટો જ જવાબ આપ્યો હતો. આ રીતે સરકારી હોસ્પિટલ કામ કરશે તો અમારા જેવા સામાન્ય વર્ગના લોકો સારવાર લેવા ક્યાં જશે? આઇસીયુનો રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવા છતાં ત્યાં ઉંદરો ફરે છે.'

આ ઘટના અંગે મેયર કિશોરી પેડણેકરે કહ્યું હતું કે હોસ્પિટલના ICU વિભાગ નીચલા માળે હોવા છતાં હોસ્પિટલ ચારે બાજુથી બંધ છે. પરંતુ વરસાદના કારણે દરવાજાના વચ્ચેના ભાગમાંથી ઉંદર આવી ગયો હશે તેમ જણાવ્યું હતું. અને ફરી વખત આવી ઘટના ન થાય તેમ પણ તેઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

(1:17 pm IST)