Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

અહો આશ્ચર્યમ...અલીગઢના અતરૌલીમાં કિરથલનો રામકિશોર અવસાન થયાનાં પાંચ કલાક પછી ફરીથી જીવીત થયો

અંતિમ સંસ્કારની તૈયારી કરતા પરિવારજનો આશ્ચર્યચકિત : મૃતક રામકિશોર અચાનક ઉભો થયો : પાંચ કલાકમાં તેની સાથે 'ઉપર' શું થયું તેની કરી વાત

ઉત્તરપ્રદેશના અલીગઢના અતરૌલીના કિરથલ ગામમાં અજીબોગરીબ કિસ્સો બહાર આવ્યો છે અહિ એક વ્યક્તિ અવસાન થયાનાં પાંચ કલાક પછી ફરીથી જીવીત થયો હતો.એક ન્યૂઝ વેબસાઈટના જણાવ્યાનુસાર અલીગઢના અતરૌલીમાં કિરથલ ગામના રહેવાસી રામકિશોરનું થોડા દિવસ પહેલા અવસાન થયું હતું. તેની હાલત ઠીક હતી અને અચાનક જ તેનું અવસાન થવાથી પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થયો હતો રામકિશોરના અવસાનની પરિવારના દરેક સભ્યને જાણ કરવામાં આવી હતી. આથી તેના ઘરે લોકોની ભીડ એકઠી થવા લાગી હતી.
    પરિવારે રામકિશોરના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવાની શરૂ કરી હતી. આ દરમિયાન મૃતકના શરીરમાં હલનચલન થવા લાગ્યું હતું. આ જોઈ દરેક લોકો આશ્ચર્યમાં પડી ગયાં હતાં. આ દરમિયાન અચાનક જ રામકિશોર ઉભો થયો હતો અને કહ્યું કે તે હવે એકદમ સ્વસ્થ છે. ભૂલથી તેને ઉપર લઈ ગયાં હતાં. હવે પરત મોકલ્યો છે.
    રામકિશોરને જીવીત જોઈને ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું હતું. પરિવારના ચહેરા પર ખુશી છવાયેલી હતી. જેમણે પણ આ કિસ્સો સાંભળ્યો તે રામકિશોરને જોવા માટે ઘરે આવવા લાગ્યાં હતાં. અનેક લોકો આ પાંચ કલાક દરમિયાન શું થયું તે જાણવા ઈચ્છતા હતાં. અનેક લોકોને આ ઘટના પર વિશ્વાસ જ થતો નહોતો. હાલ આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
   લોકોએ જ્યારે રામકિશોરને પૂછ્યું કે તેને પાંચ કલાક શું થયું તેની જાણ છે? ત્યારે જવાબમાં રામકિશોરે કહ્યું હતું કે,’વધારે તો મને કશી ખબર નથી પણ હું જ્યાં ગયો હતો ત્યાં એક બેઠક ચાલી રહી હતી અને દાઢીવાળા મહાત્મા તેમના પ્રમુખ સાથે વાત કરી રહ્યાં હતાં. આ વૃદ્ધ મહાત્માએ તેને સવાલ કર્યા હતાં અને પોતાના ચેલાઓને કહ્યું હતું કે આ વ્યક્તિને શા માટે અહિ લાવ્યા છો. તેને ફરી પરત લઈ જાઓ. હજુ તો ખૂબ જ સમય છે.’ રામકિશને જણાવ્યું હતું કે તેને એક ધક્કો લાગ્યો અને આંખો ખોલી જોયું તો પરિવારના દરેક વ્યક્તિ રડતાં હતાં.

(12:00 am IST)