Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

માનહાનિ કેસ : રાહુલ દોષિત : ૨ વર્ષની સજા : જામીન ઉપર છુટકારો

‘મોદી અટક' અંગે કરેલી ટિપ્‍પણી ભારે પડી : પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ સામે નોંધાવ્‍યો હતો માનહાનિનો કેસ

નવી દિલ્‍હી તા. ૨૩ : મોદી અંગે ટિપ્‍પણી કરવી રાહુલ ગાંધીને ભારે પડી. વર્ષ ૨૦૧૯ની ચૂંટણીઓ દરમિયાન રાહુલ ગાંધીએ એવી ટિપ્‍પણી કરી હતીકે, ‘બધા મોદી ચોર છે'. આ વિવાદિત ટિપ્‍પણી બદલ સુરતથી ભાજપના ધારાસભ્‍ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિની ફરિયાદ કરી હતી. જેને પગલે સુરતમાં આ કેસ ચાલતો હતો. આજે ૪ વર્ષ બાદ સુરતની સેસન્‍સ કોર્ટે આ કેસમાં મહત્ત્વનો ચુકાદો સંભળાવ્‍યો છે. કોર્ટે ૪ વર્ષ જુના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરીને ૨ વર્ષની સજા સંભળાવી છે. રાહુલને જામીન મળી ગયા છે એટલે કે સજા મુલતવી રાખવામાં આવી છે. પરંતુ સભ્‍યપદ બચાવવા માટે આ એક્‍સટેન્‍શન પૂરતું નથી. રાહુલને દોષિત ઠેરવવાના આદેશ પર સ્‍ટે મેળવવો પડશે. આ રાહતનો નિર્ણય હજુ સંભળાવવાયો નથી, પરંતુ નિર્ણય હાઈકોર્ટ જ આપી શકે છે.

જોકે, આ જામીન પાત્ર ગુનો હોવાને કારણે કાયદાકીય પ્રક્રિયા પુરી કરીને રાહુલ ગાંધીને જામીન પર મુક્‍ત કરી દેવામાં આવ્‍યાં છે. પણ સવાલ એ થાય છેકે, કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવતા સંસદમાંથી રાહુલ ગાંધીની સદસ્‍યતા રદ્દ થઈ શકે છે. ઉલ્લેખનીય છેકે, માનહાની કેસમાં સુરતની કોર્ટે મોટો ચુકાદો આપ્‍યો છે. ૪ વર્ષ જુના માનહાની કેસમાં આઈપીસીની કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ સુરત સેસન્‍સ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે રાહુલ ગાંધીને આ કેસમાં બે વર્ષની સજા ફટકારી છે. મોદી સમાજ વિરૂદ્ધ ટિપ્‍પણી કરવા બદલ રાહુલ ગાંધીને કોર્ટે બે વર્ષની સજા ફટકારી.

સંસદના નિયમાનુસાર કોઈપણ વ્‍યક્‍તિ જેને બે વર્ષ અથવા તેથી વધારે સજા થઈ હોય તેવી વ્‍યક્‍તિની સંસદની સદસ્‍યતા રદ્દ થઈ શકે છે. આવા મામલામાં સસદ દ્વારા જેતે વ્‍યક્‍તિ પર થયેલાં કેસ અંગે ગંભીર રીતે વિચાર કરવામાં આવે છે. લોકસભા અધ્‍યક્ષ આ મામલે જેતે સભ્‍યનું સભ્‍ય પદ રદ્દ પણ કરી શકે છે. સભ્‍યપદ બચાવવા માટે આ એક્‍સટેન્‍શન પૂરતું નથી. રાહુલને દોષિત ઠેરવવાના આદેશ પર સ્‍ટે મેળવવો પડશે. આ રાહતનો નિર્ણય હજુ સંભળાવવાયો નથી, પરંતુ નિર્ણય કોર્ટ દ્વારા જ થઈ શકે છે. રાહુલ ગાંધીએ આ સજા સામે  સેશન્‍સ કોર્ટમાં અપીલ કરવી પડશે. અપીલ કરી સજા પર જામીન મેળવવા પડશે. અત્‍યારે કોર્ટે ૩૦ દિવસ સુધી અપીલ કરવાનો સમય આપ્‍યો છે, ૩૦ દિવસમાં અપીલ નહી કરે તો સજા ભોગવવી પડશે. હાલ ૧૫ હજારના બોન્‍ડ પર રાહુલ ગાંધીને જામીન આપવામાં આવ્‍યાં છે.

રાહુલ ગાંધીએ કોર્ટમાં જજને કહ્યું, મારો ઈરાદો ખોટો નહોતો. રાહુલે કોર્ટમાં કહ્યું કે, મેં જે કહ્યું તે એક રાજનેતા તરીકે કહ્યું. હું હંમેશા દેશમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતો રહ્યો છું. રાહુલ ગાંધીના વકીલે કહ્યું, બે વર્ષની સજા આપવામાં આવી હતી. તેને ૩૦ દિવસની જામીન મળી છે. તેઓ આ નિર્ણય સામે ઉચ્‍ચ અદાલતમાં જઈ શકે છે.

સજા સંભળાવતા પહેલા રાહુલના વકીલે જજને અપીલ કરી હતી કે તેમના નિવેદનથી કોઈને નુકસાન થયું નથી. આ કેસમાં ઓછામાં ઓછી સજા મળવી જોઈએ. જયારે ફરિયાદી પૂર્ણેશ મોદીએ આ કેસમાં રાહુલ ગાંધીને મહત્તમ સજા અને દંડની માંગ કરી હતી.

અરજીકર્તા પૂર્ણેશ મોદીએ કોર્ટમાંથી બહાર આવીને કહ્યું કે, અમે રાહુલના નિવેદન પર અરજી દાખલ કરી હતી. આજે નિર્ણય આવ્‍યો છે. અમે આનું સ્‍વાગત કરીએ છીએ. આ એક સામાજિક ચળવળ હતી. આ પ્રકારનું નિવેદન કોઈપણ સમાજ વિરૂદ્ધ ન આપવું જોઈએ.

(12:00 am IST)