Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

દ‌ક્ષિણ કોરિયાના એક વ્‍યકિતના કારણે હજારો લોકો કોરોના વાયરસના ભરડામાં આવી ગયા

નવી દિલ્હી: કોરોના વાયરસના પગલે દુનિયામાં હાહાકાર મચેલો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોરોના વાયરસના સંક્રમણને આંતરરાષ્ટ્રીય મહામારી જાહેર કરી છે. આ બીમારીના કારણે અત્યાર સુધી હજારો લોકોના મોત થયા છે. આ ખતરનાક બીમારીને ફેલાતી અટકાવવા માટે લોકો પણ આગળ આવી રહ્યાં છે. આ બાજુ કેટલાક લોકોની બેદરકારીના કારણે આ બીમારી વધી રહી છે. આવો જ એક કેસ સામે આવ્યો દક્ષિણ કોરિયામાં. અહીં એક વ્યક્તિના કારણે હજારો લોકો કોરોના વાયરસના ભરડામાં આવી ગયાં.

વાત જાણે એણ છે કે વૈજ્ઞાનિકોને કોરોના વાયરસની તપાસમાં એવું જાણવા મળ્યું કે એક મહિલાની બેદરકારીના કારણે તેમના જ દેશમાં હજારો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયાં.

એક ચેપગ્રસ્ત મહિલા સવારે પ્રાર્થના માટે દક્ષિણ કોરિયાના શેન્ચોન્જી ચર્ચ ગઈ.  ત્યાં લગભગ 1200 લોકો કોરોના વાયરસના ભરડામાં આવ્યાં. ત્યારબાદ આ મહિલા 6 ફેબ્રુઆરીના રોજ નાના અકસ્માત બાદ હોસ્પિટલ પહોંચી. અહીં આ મહિલાને તાવ હતો પણ નજરઅંદાજ કરાયો ત્યારબાદ આ હોસ્પિટલમાં 119 લોકો વાયરસની ચપેટમાં આવ્યાં.

આ મામલો અહીંથી અટક્યો નહીં. 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે પર આ મહિલા ક્વીન વેલ હોટલમાં ભોજન માટે ગઈ. અહીં પણ અનેક લોકો સંક્રમણની ચપેટમાં આવ્યાં. આ રીતે આ વાયરસ સમગ્ર દક્ષિણ કોરિયામાં ફેલાયો અને કોઈને ખબર સુદ્ધા ન પડી.

દક્ષિણ કોરિયાની રાજધાની સીઓલમાં જે મહિલાને ચેપ લાગ્યો હતો તેની સમયસર કોરોના સંક્રમિત વ્યક્તિ તરીકે ઓળખ થઈ શકી નહી. જેના કારણે તે ખુલ્લેઆમ લોકોની વચ્ચે ફરતી રહી. આ દરમિયાન મહિલાના કારણે 5000 જેટલા લોકોમાં કોરોના વાયરસનો ચેપ ફેલાયો  હોવાનું કહેવાય છે. એટલું જ નહીં આ મહિલના સંપર્કમાં આવેલા અને કોરોનાનો ચેપ લાગેલા અનેક લોકોના મોત પણ થઈ ચૂક્યા છે.

સંક્રમિત મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઈ તો તેનો બેડ નંબર 31 હતો, ત્યારબાદ દર્દી નંબર 31ના કારણે આટલા લોકોમાં કોરોનાનો ચેપ ફેલાયો અને અનેક લોકોના જીવ ગયા. સિયોલ મેટ્રોલપોલિટન સરકારે તે મહિલા વિરુદ્ધ Culpable homicide ની ફરિયાદ દાખલ કરી છે. આથી લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ વધુમાં વધુ પોતાના ઘરમાં જ રહે. જેથી કરીને કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકી શકે.

(5:45 pm IST)