Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કોરોના વાયરસના પ્રકોપને પગલે પ્રાઇવેટ સેક્ટરની બેન્કોએ ટાઇમ ટેબલ બદલી નાખ્યુ

નવી દિલ્હી: કોરોના વાયરસના પ્રકોપને જોતા પ્રાઈવેટ સેક્ટરની બેંકોએ પોતાનું ટાઈમ ટેબલ બદલી નાખ્યું છે. બેંકોના ખુલવા અને બંધ થવાના સમયમાં ફેરફાર થયો છે. નવું ટાઈમટેબલ તત્કાળ પ્રભાવથી લાગુ કરાયું છે. મંગળવાર એટલે કે આજથી ICICI બેંક, HDFCબેંક સહિત તમામ પ્રાઈવેટ સેક્ટરની બેંકો સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. ટાઈમિંગ બદલાવવાની સાથે જ બેંકિંગમાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યાં છે.

મળશે ફક્ત જરૂરી સર્વિસ

ટાઈમિંગ ઉપરાંત ઈન્ડિયન બેંક એસોસિએશને કહ્યું કે બેંક ફક્ત જરૂરી સેવાઓ જ આપશે. જેમાં કેશ ડિપોઝિટ, ઉપાડ, ચેક ક્લિયરિંગ, કેશ મોકલવી, અને સરકારી ટ્રાન્ઝેક્શન સામેલ છે. પ્રાઈવેટ સેક્ટરની બેંકોએ ક્લિયર કર્યું કે તેમણે હાલ પાસબુક અપડેટ, અને ફોરેન કરન્સી પરચેઝ સર્વિસને સસ્પેન્ડ કરી છે. IBAનો હેતુ એ છે કે કોરોના વાયરસના કારણે બેંકિંગ સેવાઓ પ્રભાવિત ન થાય. આ સાથે જ સ્ટાફને પણ સુરક્ષિત રાખી શકાય. IBAએ પોતાના એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે અમે અમારી તરફથી પૂરેપૂરી કોશિશ કરી રહ્યાં છીએ કે બેંકિંગ સર્વિસમાં કોઈ પણ પ્રકારની અડચણ ન આવે.

ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરો

ICICI અને HDFC બેંકોએ પોતાના ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ વધુમાં વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરે. કારણ કે કોરોના વાયરસના જોખમને જોતા સુરક્ષા કારણોસર બ્રાન્ચમાં ઓછો સ્ટાફ  બોલાવવામાં આવે છે. બેંકોએ કહ્યું કે હાલ 31 માર્ચ 2020 સુધી બેંકોના ખુલવા અને બંધ થવાના સમય નક્કી કરવામાં આવ્યાં છે. જરૂર પડી તો આગળ ચાલુ રાખી શકાય છે.

IBAની અપીલ

ઈન્ડિયન બેંક એસોસિએશન એટલે કે IBAએ લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી બેંકોમાં ન આવો. કારણ કે બેંકના સ્ટાફ પણ એ જ પડકાર ઝીલી રહ્યાં છે જે તમે લોકો ઝીલી રહ્યાં છો. આ સાથે જ એમ પણ કહેવાયું છે કે જેટલું બને એટલું ઓનલાઈન બેંકિંગ દ્વારા સુવિધાઓનો લાભ લઈ શકો છો. કોઈ ખાસ મુશ્કેલી આવે તો બ્રાન્ચમાં કોલ કરીને તમે સમસ્યાનો ઉકેલ લાવી શકો છો.

ઈન્ડસઈન્ડ અને કોટક મહિન્દ્રા બેંકે પણ બદલ્યા સમય

31 માર્ચ સુધી બેંક ખુલવા અને બંધ થવાના સમય સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી છે. પાસબુક પ્રિન્ટ કરાવવા કે પછી નોટ બદલવા જેવી બિનજરૂરી સેવાઓ બંધ રહેશે. કોટક મહિન્દ્રા બેંકે પણ સમયમાં ફેરફાર કર્યો છે. પરંતુ કામમાં કોઈ ફેરફાર કર્યો નથી.

આ બેંકોના બદલાયા નથી સમય

SBI, પંજાબ નેશનલ બેંક, કેનરા બેંક, અને  બેંક ઓફ બરોડાએ બેંક ખુલવાના અને બંધ થવાના સમયમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ એસબીઆઈમાં ખાતુ ખોલાવવું, પાસબુક પ્રિન્ટ કરાવવી, પૈસા કાઢવા, નોટ બદલવી, કે પછી એક લાખથી ઓછી કેશ જમા કરવા જેવી સુવિધાઓને સસ્પેન્ડ કરી છે. એસબીઆઈએ કહ્યું કે જો તમારે નવું એટીએમ કાર્ડ, ચેકબુક, એકાઉન્ટ સ્ટેટમેન્ટ, જોઈએ કે પછી કેવાયસી અપડેટ કરાવવાનું હોય કે આધાર લિંક કરાવવાનું હોય તો તમે તમારી રિક્વેસ્ટ બ્રાન્ચ બહાર લાગેલા બોક્સમાં રાખી શકો છો. બેંકના સ્ટાફ તમને તમારા રજિસ્ટર્ડ નંબર પર ફોન કરીને વાત કરી લેશે.

(5:43 pm IST)