Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

કોંગ્રેસ ર૦૧૯ની ચૂંટણીમાં નવાજુના પ્રશ્‍નો-મુદ્દાના દાવ ખેલી પ્રચાર કરી રહી છે !!: પરંતુ સફળતા માટે પ્રશ્‍નાર્થ : જુના જોગીઓ સાથે નવા ચહેરાને પણ પસંદગી અપાઇ છે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં પોતાની નૈયા પાર લગાવવા માટે દેશની સૌથી જૂના રાજકીય પક્ષ કહેવાતા કોંગ્રેસના રાહુલ યુગમાં પણ જૂના ચહેરાઓ પર જુગાડ ખેલાઈ રહ્યો હોય તેવું લાગે છે. ચૂંટણીની અધિકૃત જાહેરાતો અગાઉથી જ એ વાતનો અંદાજો રાજકીય વિશેષજ્ઞો દ્વારા લગાવવામાં આવી રહ્યો હતો કે જો કોંગ્રેસ મહાગઠબંધનમાં સામેલ નહીં થાય તો તેની પાસે 'જીતાઉ ઉમેદવારો'ની ખાસ્સી કમી રહેશે. કોંગ્રેસની આઠમી યાદીને જોઈએ તો એ વાત સ્પષ્ટપણે નજરે ચડે  છે. કોંગ્રેસે આ યાદીમાં પોતાના ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ પર તો દાવ ખેલ્યો જ છે પરંતુ સાથે સાથે મલ્લિકાર્જૂન ખડગે, કાંતિલાલ ભૂરિયા, મીનાક્ષી નટરાજન, પ્રદીમ ટમ્ટા, પ્રીતમ સિંહ, અને રાશિદ અલ્વી જેવા મહત્વના ચહેરાઓને પણ તક અપાઈ છે.

કોંગ્રેસે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ અને મણિપુરમાં લોકસભાની 38 બેઠકો માટે શનિવારે ઉમેદવારોના નામ જાહેર કર્યાં. જેમાં મોટાભાગના નામ તો એ હતાં જે કોંગ્રેસના મહત્વના ચહેરા ગણાય છે. ખાસ વાત એ છે કે આ યાદીમાં કોંગ્રેસે ચાર પૂર્વ મુખ્યમંત્રીઓને સામેલ કર્યાં છે. અત્રે જણાવવાનું કે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ ભોપાલથી ચૂંટણી લડશે. જ્યારે ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરિશ રાવત રાજ્યની નૈનીતાલ-ઉધમસિંહ નગર બેઠકથી ચૂંટણી લડશે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચૌહાણ નાંદેડથી અને કર્ણાટકના ચિકબલપુરથી  રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એમ વિરપ્પા મોઈલી લોકસભા ચૂંટણી લડશે.

કોંગ્રેસ દ્વારા જારી કરાયેલી આ યાદીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેને કર્ણાટકની સુરક્ષિત લોકસભા બેઠક ગુલબર્ગાથી ટિકિટ મળી છે. રાજ્યસભા સાંસદ પ્રદીપ ટમ્ટાને સુરક્ષિત બેઠક અલમોડાથી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના રતલામથી કાંતિલાલ ભૂરિયા અને મંદસૌરથી મીનાક્ષી નટરાજનને કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યાં છે. ઉત્તરાખંડની ટિહરી બેઠક પરથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રીતમ સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે જ્યારે યુપીની અમરોહા  બેઠકથી રાશિદ અલ્વી ચૂંટણી લડશે.

હાલમાં જ કોંગ્રેસમાં સામેલ થયેલા ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને પૌડી લોકસભા બેઠકથી વર્તમાન સાંસદ મે.જ (રિટા.) ભુવનચંદ્ર ખંડૂરીના પુત્ર મનીષ ખંડૂરી ગઢવાલથી ચૂંટણી લડશે. રાજકીય વિશેષજ્ઞોનું માનવું છે કે કોંગ્રેસે આ દાવ રાજ્યમાં સૈનિક મતોને ભાજપના પક્ષમાં ધ્રુવીકરણ થતા બચાવવા માટે ચાલ્યો છે.

(12:28 pm IST)