Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

ઘર ખરીદવાનું સપનું જોતા લોકોને ભેંટ : GST રેટમાં ઘટાડો કરાયો

નિર્માણ હેઠળ રહેલા મકાનો માટે જીએસટી રેટ ઘટીને પાંચ ટકા : અફોર્ડેબલ અથવા તો સસ્તા મકાનો પર જીએસટી રેટ આઠ ટકાથી ઘટાડીને એક ટકા કરવા નિર્ણય થયો : રિયલ એસ્ટેટ સેક્ટરમાં જોરદાર તેજી આવશે

નવીદિલ્હી,તા. ૨૪ : ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ સાથે સંબંધિત જીએસટી કાઉન્સિલે આજે પોતાના ઘરનું સપનું જોઈ રહેલા લોકોને મોટી રાહત આપી હતી. ઘર ઉપર લાગનાર જીએસટીમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે જેના ભાગરુપે નિર્માણ હેઠળ રહેલી યોજનાઓમાં મકાન પર જીએસટીના દરને ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા (ઇનપુટ ટેક્સ ક્રેડિટ વગર) કરવામાં આવ્યો છે જ્યારે સસ્તા મકાન (અફોર્ડેબલ હાઉસિંગ) પર જીએસટીના દરને આઠ ટકાથી ઘટાડીને એક ટકા (ઇનપુટ ટેક્સ ક્રેડિટ વગર) કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જીએસટીના નવા દરો બાદ બિલ્ડર્સ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકશે નહીં. જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી અરુણ જેટલીએ આ અંગેની જાહેરાત કરી હતી. જેટલીએ કહ્યું હતું કે, અમે રિયલ એસ્ટેટ સેક્ટરને મોટી રાહત આપવા જઇ રહ્યા છે. અફોર્ડેબલ હાઉસિંગની પરિભાષા બદલી દેવામાં આવી છે. વધુને વધુ લોકો આનો લાભ ઉઠાવી શકે તે દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે. આ નિર્ણય ચોક્કસપણે કન્ટ્ર્ક્શન સેક્ટરને પણ રાહત આપશે. જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રીએ કહ્યું હતું કે, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, એનસીઆર, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં ૬૦ વર્ગમીટર કાર્પેટ વિસ્તાર સુધીના મકાન સસ્તીરીતે મળી જશે જ્યારે નોન મેટ્રો શહેરોમાં ૯૦ વર્ગફૂટ સુધીના આવાસ અફોર્ડેબલ ગણવામાં આવશે. આની મહત્તમ કિંમત ૪૫ લાખ રૂપિયા સુધીની રહેશે. નવા દરો પહેલી એપ્રિલ ૨૦૯થી અમલી કરવામાં આવશે. હાલના સમયમાં નિર્માણ હેઠળની યોજનાઓ અથવા તો પ્રોપર્ટી અથવા તો રેડિ ટુ મુવ ફ્લેટ જેને પૂર્ણ સર્ટિફિકેટ મળ્યા નથી તેમના પર ૧૨ ટકા જીએસટી લાગૂ થાય છે. જો કે, વેચાણના સમયે પૂર્ણ સર્ટિફિકેટ મેળવી ચુકેલી પ્રોપર્ટી પર જીએસટી લાગૂ થતાં નથી. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં ૨૦મી ફેબ્રુઆરીના દિવસે પણ બેઠક યોજાઈ હતી જેમાં આ અંગે નિર્ણય ટળી ગયો હતો. બિલ્ડરો હવે નવા જીએસટી રેટ હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો પણ કરી શકશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બેઠક અગાઉ ૨૦મી ફેબ્રુઆરીના દિવસે મળી હતી જેમાં નિર્માણ હેઠળના રિયલ એસ્ટેટ માટે રેટમાં સુધારા અંગે નિર્ણય ટાળી દેવામાં આવ્યો હતો. નાણામંત્રી અરુણ જેટલીએ વાયા વિડિયો કોન્ફરન્સ મારફતે આ બેઠક યોજી હતી. રિયલ એસ્ટેટ અંગે તેની અંતિમ ભલામણમાં કેટલીક રજૂઆતો કરવામાં આવી હતી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં જીઓએમ દ્વારા નિર્માણ હેઠળના આવાસો ઉપર જીએસટીના રેટ ઘટાડવાની તરફેણ કરવામાં આવી હતી. આ ભલામણ ગયા સોમવારના દિવસે સુપ્રત કરવામાં આવ્યા બાદ આમા નિર્માણ હેઠળના આવાસ ઉપર જીએસટી રેટ ઇનપુટ ટેક્સ ક્રેડિટ વગર ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવાની વાત કરાઈ હતી. આવી જ રીતે સસ્તા આવાસ જે નિર્માણ હેઠળ છે તે માટે રેટ આઠ ટકાના ઇનપુટ ટેક્સ ક્રેડિટના બદલે ૩ ટકા કરવાની વાત કરવામાં આવી હતી. રાજ્યો માટે મોટી રાહતમાં કાઉન્સિલ રાજ્યોના નાણામંત્રીઓના અભિપ્રાય લેવા ઉપર સહમત થયા હતા.  જીએસટી માળખુ જે લોટરી માટે છે તેમાં પણ ફેરફાર કરવાની જરૂર નથી.

(7:46 pm IST)