News of Tuesday, 23rd October 2018
રાજકોટ, તા., ૨૩: સીબીઆઇમાં ચાલતી આંતરીક લડાઇમાં અંતે રાકેશ આસ્થાના ટીમના સીબીઆઇના ડેપ્યુટી એસપી દેવેન્દ્રકુમારની ધરપકડના પગલે સીબીઆઇના જોઇન્ટ ડાયરેકટર રાકેશ આસ્થાના કાનુની સકંજામાં સપડાઇ તેવા ચિન્હો દ્રષ્ટિગોચર થાય છે. વિધિની વક્રતા તો જુઓ ૧૯૮૪ બેચના ગુજરાત કેડરના તેજસ્વી કારકીર્દી ધરાવતા આ જ રાકેશ આસ્થાનાએ ભલભલા મહાનુભાવોને જેલના સળીયા ગણતા કરી દીધા હતા.
ઇતિહાસના વિષય સાથે માસ્ટર ડીગ્રી અને મેનેજમેન્ટમાં ડિપ્લોમાં કરનાર રાંચી બિહાર હવે ઝારખંડમાં ૧૯૬૧માં તેમનો જન્મ થયેલ તેઓનું પ્રાથમીક શિક્ષણ ઝારખંડની નેતર હાર્ટ સ્કુલમાં થયેલ. તેમના પિતા એચ.આર.આસ્થાના નેચર હાર્ટ સ્કુલમાં જ શિક્ષક હતા. સેન્ટ ઝેવીયર્સ કોલેજમાં અભ્યાસ કરી ડીગ્રી લીધા બાદ તેઓ તેમના પૈત્રુક ઘર આગ્રા ચાલ્યા ગયેલ.
દિલ્હીની જવાહરલાલ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ તેઓએ જયાં અભ્યાસ કર્યો તેવી સેન્ટ ઝેવીયર્સ કોલેજમાં ઇતિહાસ ભણાવવાનું શરૂ કરેલ. ૧૯૮૪માં પ્રથમ પ્રયાસમાં જ યુપીએસસી પરીક્ષા પાસ કરી આઇપીએસ બન્યા અને તેઓને ગુજરાત કેડર ફાળવવામાં આવેલ.
કારકીર્દીના પ્રારંભે રાકેશ આસ્થાના જામનગરના એસપી બનેલા. ત્યાર બાદ બિહારના ધનબાદમાં એસપી તરીકે સીબીઆઇની ભ્રષ્ટાચાર વિરોધી શાખામાં પસંદગી પામેલા. ત્યાર બાદ સીબીઆઇમાં જ બઢતી મેળવી રાંચીમાં ડીઆઇજી પદે નિમાયેલ.
યુવાનીમાં જયારે તેઓ સૌ પ્રથમ વખત ધનબાદ (બિહાર) ખાતે સીબીઆઇમાં એસપી પદે નિમાયા ત્યારે તેઓને એ સમયે દેશભરમાં ચર્ચીત અને બિહારના તત્કાલીન મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવને સંડોવતા ચારાકાંડની તપાસ તેઓને સુપ્રત થઇ હતી. લાલુપ્રસાદ યાદવની ધરપકડ થઇ શકે તેવા પુરાવા હોવાનું અખબારો સમક્ષ સૌ પ્રથમ રાકેશ આસ્થાનાએ જાહેર કર્યા બાદ લાલુ પ્રસાદ યાદવની ધરપકડ કરેલ. ધરપકડ અગાઉ તેઓને લાલુ પ્રસાદ યાદવની ૬ કલાક સુધી પુછપરછ કરી હતી.
સીબીઆઇના કાર્યકાળ દરમિયાન ડીજીએમ કક્ષાના સુપર કલાસ વન અધિકારીની ધરપકડ, પુરોલીયાથી ગેરકાયદે ઘુસતા શષાોની તપાસ, વિજય માલ્યા કેસ જેવા અનેક કેસો તેમના સુપર વીઝનમાં ચાલ્યા હતા.
ગુજરાતના તેમના કાર્યકાળની વાત કરીએ ત ર૦૦રમાં થયેલ ગોધરા કાંડ સમયની તપાસ માટે નિમાયેલ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમમાં તેઓએ ખુબ મહત્વની ભુમીકા ભજવી હતી. સારબરમતી એકસપ્રેસ ટ્રેનને સળગાવવાનું કાવત્રુ પાકિસ્તાની જાસુસ સંસ્થા આઇએસઆઇ દ્વારા રચાયેલ તેવું ફોરેન્સીક પુરાવા સાથે સાબીત કરેલ.ર૦૦રની ગુજરાતની ધારાસભાની ચુંટણીમાં આ વાત ભાજપે ખુબ ગજવેલ અને લોકોમાં તેની ધારી અસર થઇ હતી અને આને કારણે જ રાકેશ આસ્થાના નરેન્દ્રભાઇ મોદીની અને અમિતભાઇની નજરમાં વસી જઇ ખુબ જ વિશ્વાસુ બન્યા હતા. અમદાવાદમાં ર૬ જુલાઇ ર૦૦૮માં થયેલ બોમ્બ બ્લાસ્ટની જવાબદારી તેઓને સુપ્રત થતા રર દિવસમાં ભેદ ઉકેલેલ.
આસારામ બાપુ અને તેના પુત્ર નારાયણ સાંઇ સામેના દુષ્કર્મની તપાસ સુરતના પોલીસ કિમીશ્નર તરીકે તેઓ જાતે ચલાવેલી. નારાયણ સાંઇને દિલ્હી, હરીયાણા, બોર્ડરથી પકડી પાડવામાં આવેલ. એ સમયે તેઓને કરોડો રૂપીયાની લાંચ આપવા આવેલા શખ્સોને તેઓએ પકડાવી દીધેલ. આવી તેજસ્વી કારકીર્દી છતાં ઉદ્યોગગૃહો, ઉદ્યોગપતિઓ સાથેની મિત્રતા ઘરોબો, હાઇ પ્રોફાઇલ્સ પાર્ટીઓમાં જવું. સાંડેસરા ગૃપ સાથેના સંબંધોનો ગણગણાટ થયેલ. નરેન્દ્ર મોદી સાથે સંબંધ ધરાવતા વડોદરાના એક ટોચના ઉદ્યોગપતિને ખખડાવતા તેઓએ નરેન્દ્ર મોદીને ફરીયાદ કરેલી. તેઓની પાસે કામ કરવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. તેઓ જે શહેરમાં નિમાઇ ત્યાંથી પીએસઆઇ, પીઆઇથી લઇ ઉચ્ચ અધિકારીઓ ભાગવાની કોશીષ કરતા આમ તેજસ્વી કારકીર્દીનો કરૂણ અંત આવ્યો તે પણ વિધિની કેવી વક્રતા છે.