News of Thursday, 23rd September 2021
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યુ છે કે પીએમ કેર્સ ફંડ સરકારનું ફંડ નથી અને તેમાં જમા થયેલી રકમ સરકારી ખજાનામાં નથી જતી. એવામાં આ ફંડની કાયદેસરતા અને તેની જનતા પ્રત્યેની જવાબદારી અંગે નવા પ્રશ્નો ઉભા થયા છે.
પીએમ કેર્સ ફંડની માર્ચ 2020માં એક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના રૂપમાં સ્થાપના કરવામાં આવી હતી, ત્યારથી તેને સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય અને તેના સંચાલનમાં પારદર્શિતાની કમીને લઇને વિવાદ ચાલી રહ્યો છે.
કેટલાક લોકોએ સૂચનાના અધિકાર હેઠળ આઇરટીઆઇ અરજી કરી તેના વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પુરી તસવીર હજુ સુધી સામે આવી નથી.
આ ફંડને લઇને સરકારનું લેટેસ્ટ નિવેદન દિલ્હી હાઇકોર્ટમાં ચાલી રહેલા એક કેસ પર સુનાવણી દરમિયાન આવ્યુ છે. વકીલ સમ્યક ગંગવાલે આ કોર્ટમાં બે અલગ અલગ અરજી દાખલ થઇ છે. એકમાં ફંડને આરટીઆઇ કાયદા હેઠળ પબ્લિક ઓથોરિટી જાહેર કરવા અને બીજી અરજીમાં સ્ટેટ જાહેર કરવાની અપીલ કરી છે. સુનાવણી દરમિયાન વડાપ્રધાન કાર્યાલય (PMO)ના એક અધિકારીએ કોર્ટને જણાવ્યુ કે આ ટ્રસ્ટ બંધારણની કલમ 12 હેઠળ સ્ટેટ હોયકે ના હોય અને આરટીઆઇ કાયદા હેઠળ પબ્લિક ઓથોરિટી અથવા ના હોય, કોઇ થર્ડ પાર્ટીની જાણકારી આપવાની પરવાનગી નથી આપી.
સરકારના આ ફંડને થર્ડ પાર્ટી કહેવાથી મામલો વધુ જટિલ બનાવ્યો છે. ગંગવાલ પહેલા જ કોર્ટને જણાવી ચુક્યા છે કે ફંડની વેબસાઇટ પર તેનાથી સબંધિત કાગળ હાજર છે, તેમાં આ જણાવવામાં આવ્યુ છે કે ટ્રસ્ટની સ્થાપના ના તો બંધારણ હેઠળ કરવામાં આવી છે અને ના સંસદ દ્વારા પસાર કોઇ કાયદા હેઠળ કરવામાં આવી છે. પારદર્શિતાનો સવાલ તેમ છતા સરકારના સૌથી ઉચ્ચ દરજ્જાના અધિકારીઓનું નામ તેની સાથે જોડાયેલુ છે. વડાપ્રધાન તેના અધ્યક્ષ છે અને સંરક્ષણ, ગૃહ અને નાણા મંત્રી તેના ટ્રસ્ટી છે. તેનુ મુખ્ય કાર્યાલય પીએમઓની અંદર જ છે અને પીએમઓમાં જ એક સંયુક્ત સચિવ સ્તરના અધિકારી તેનું સંચાલન કરે છે.
વેબસાઇટ પર માત્ર નાણાકીય વર્ષ 2019-20માં તેમાં આવેલા ફંડની જાણકારી ઉપલબ્ધ છે, તે પણ માત્ર 27થી લઇને 31 માર્ચ સુધી એટલે કુલ પાંચ દિવસની જ છે. આ પાંચ દિવસમાં 3076 કરોડ રૂપિયાનું ફંડ મળ્યુ છે. વેબસાઇટ અનુસાર હજુ સુધી ફંડથી 3100 કરોડ રૂપિયા કોવિડ-19 સબંધિત અલગ અલગ કામ માટે ફાળવવામાં આવ્યા છે. એવામાં ફંડને લઇને પુરી તસવીર સ્પષ્ટ થઇ નથી. હવે જોવાનું છે કે કોર્ટ આ અરજી પર શું વલણ અપનાવે છે.