Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

૩.૮ કરોડ લોકો દવા પર ખર્ચના કારણે ગરીબ થયા

૧૭ ટકા લોકો ૧૦ ટકા રકમ સારવાર પર ખર્ચે છે : આરોગ્યને લઈ બ્રિટીશ મેડિકલ જર્નલમાં વિસ્તૃત હેવાલ આવ્યા બાદ મહાકાય સ્કીમ લાવવાની જરૂર અનુભવાઈ

રાંચી, તા. ૨૩ : આયુષ્યમાન ભારત યોજના આજે દેશભરમાં લોન્ચ કરી દેવામાં આવી હતી. ઉત્સુકતાપૂર્વક આની રાહ જોવામાં આવી રહી હતી. આ યોજનાની જરૂર કેમ હતી તેને લઈને પણ નિષ્ણાતોમાં ચર્ચા છેડાયેલી છે. બ્રિટીશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ૫.૫ કરોડ લોકો માત્ર એટલા માટે ગરીબી રેખા નીચે પહોંચી ગયા છે કે તેમને સારવારમાં જંગી નાણા ખર્ચ કરવા પડ્યા છે. આમાંથી ૩.૮ કરોડ લોકો એવા છે જે લોકો માત્ર દવાઓ ઉપર ખર્ચના કારણે જ ગરીબ થઈ ગયા હતા. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં આશરે ૮૫.૯ ટકા ગ્રામીણ પરિવારો અને ૮૨ ટકા શહેરી પરિવારોને હેલ્થકેર ઈન્સ્યોરન્સની સુવિધા નથી. એટલું જ નહીં દેશની આશરે ૧૭ ટકા વસ્તી પોતાની કમાણી પૈકાી ૧૦ ટકા રકમ સારવાર ઉપર ખર્ચ કરે છે. આંકડા દર્શાવે છે કે આ યોજના આગામી દિવસોમાં કેટલી અસરકારક સાબિત થનાર છે. આ સ્કીમનો ફાયદો લેવા માટે આધારકાર્ડ જરૂરી નથી. જો લાયકાત છે તો માત્ર ઓળખ સ્થાપિત કરવાની રહેશે. આધારકાર્ડ અથવા તો મતદાતા ઓળખપાત્ર અથવા તો રેશનિંગ કાર્ડ જેવા ઓળખપત્રોથી ફાયદો લઈ શકાશે. સરકારની પેનલમાં દરેક હોસ્પિટલમાં આયુષ્યમાન મિત્ર હેલ્થ ડેસ્ક રહેશે. ત્યાં લાભાર્થી પોતાની પાત્રતાને દસ્તાવેજ મારફતે વેરીફાઈ કરાવી શકશે. સારવાર માટે કોઈ સ્પેશિયલ કાર્ડની જરૂર પડશે નહીં. માત્ર લાભાર્થીને પોતાની ઓળખ સ્થાપિત કરવાની રહેશે. લાયક લાભાર્થીને સારવાર માટે હોસ્પિટલને કોઈ પૈસા ચૂકવણી કરવાની જરૂર રહેશે નહીં.

હાલમાં દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, કેરળ, તેલંગાણા અને પંજાબ જેવા રાજ્યો કેન્દ્રની સાથે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ પર હસ્તાક્ષર કરીને આગળ આવ્યા નથી. આનો મતલબ એ થયો કે આ રાજ્યોમાં આ સ્કીમ અમલી થઈ રહી નથી.  આ રાજ્યો પોતાના રીતની પોતાની યોજના લાગુ કરવા ઈચ્છુક છે. કેટલાક રાજ્યોમાં પહેલાથી જ આ પ્રકારની યોજના ચાલી રહી છે. આયુષ્ય ભારત યોજના હેઠળ તમામ લોકોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં જાતિ-ધર્મની બાબતને ધ્યાનમાં લેવામાં આવી રહી નથી. ભવિષ્યમાં એક લાખ તબીબો તૈયાર કરવાની ક્ષમતા વિકસિત કરવામાં આવી રહી છે. પાત્રતા માટે આધાર ૨૦૧૧ના સામાજિક-આર્થિક સર્વે અને વસ્તી ગણતરીના ગરીબ તરીકે ઓળખાયેલા તમામ લોકોને આવરી લેવાયા છે.

(7:25 pm IST)