Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

રાજ્યસભામાં જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા, દિગ્વિજય સિંહ સામસામે આવી ગયા

નવા ચૂંટાયેલા ૪૫ સભ્યોના રાજ્યસભામાં શપથ :રાજ્યસભાની બેઠકમાં પોતાનું નામ પ્રાથમિકતા ઉપર ન રાખવામાં આવતા જ્યોતિરાદિત્ય પક્ષથી ભારે નારાજ હતા

નવી દિલ્હી, તા. ૨૨ : રાજ્યસભામાં બુધવારે ૪૫ નવા ચૂંટાયેલા સદસ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા. તે પૈકીના ૩૬ સાંસદ એવા છે જે પહેલી વખત રાજ્યસભા પહોંચ્યા છે. તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી/પેટા ચૂંટણીમાં ૨૦ રાજ્યોના ૬૧ સદસ્ય ચૂંટાઈ આવ્યા છે જેમાંથી ૪૫એ આજે શપથ ગ્રહણ કર્યા હતા. શરદ પવાર, દિગ્વિજય સિંહ અને રામદાસ અઠાવલે સહિત એવા ૧૨ સીટિંગ સાંસદો છે જે આજે શપથ ગ્રહણનો હિસ્સો બન્યા હતા. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ રાજ્યસભા સદસ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ દરમિયાન રાજ્યસભાની એક દિલચસ્પ તસવીર પણ સામે આવી હતી. જ્યારે તમામ સાંસદો શપથ ગ્રહણ કરી રહ્યા હતા તે સમયે એક પળ એવી પણ આવી જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજય સિંહનો આમનો-સામનો થયો હતો. જ્યારે સિંધિયા અને દિગ્વિજય સિંહનો સામનો થયો ત્યારે બંનેએ એકબીજા સામે હાથ જોડીને અભિવાદન કર્યું હતું અને તે બંનેએ માસ્ક પહેરેલું હતું. બંને નેતાઓ જ્યારે એકબીજાનું અભિવાદન સ્વીકારી રહ્યા હતા

             ત્યારે રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદ પણ ત્યાં ઉપસ્થિત હતા. તે સમયે ગુલામ નબી આઝાદ પણ હાથ વડે કશો ઈશારો કરતા જોવા મળ્યા હતા. રાજ્યસભામાં સિંધિયા અને દિગ્વિજય સિંહની તસવીર એટલા માટે પણ ખાસ છે કેમકે બંને નેતા એક જ રાજ્ય મધ્ય પ્રદેશથી આવે છે. આ વર્ષે માર્ચ મહિનામાં જ્યારે સિંધિયાએ કમલનાથ સરકાર સામે મોરચો માંડેલો ત્યારે દિગ્વિજય સિંહે ખુલેઆમ કમલનાથનું સમર્થન કર્યું હતું. સિંધિયાની કોંગ્રેસ સામેની બગાવત પાછળનું એક કારણ રાજ્યસભાની સીટ પણ હતી જેના પર દિગ્વિજય સિંહ ચૂંટાઈને આવ્યા છે. હકીકતે સિંધિયા ઈચ્છતા હતા કે રાજ્યસભા સીટ પર તેમનું નામ પ્રાથમિકતા પર રાખવામાં આવે પરંતુ પાર્ટીએ તેમના બદલે દિગ્વિજય સિંહને પસંદ કર્યા એટલે સિંધિયા નારાજ હતા. જો કે આ તમામ રાજકીય ખેંચતાણ વચ્ચે માર્ચમાં હોળીના અવસર પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોટો દાવ રમીને પોતાના સમર્થક ધારાસભ્યો સાથે ભાજપમાં જવાનો નિર્ણય લીધો હતો. સિંધિયાના આ પગલા બાદ કમલનાથ સરકાર લધુમતીમાં આવી ગઈ હતી અને સિંધિયાની મદદથી ભાજપ મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવામાં સફળ રહી હતી. ત્યાર બાદ જ્યારે રાજ્યસભા ચૂંટણી આવી તો સિંધિયાને રાજ્યસભામાં મોકલીને ભાજપે તેમનું બહુમાન કર્યુ હતું. તે સિવાય તેમના સમર્થકોને પણ શિવરાજ સિંહની કેબિનેટમાં મોટી ભાગીદારી અપાઈ હતી.

(12:00 am IST)