Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

મોદી ૨૦૨૪ સુધી વડાપ્રધાન તરીકે રહી શકે છે : અહેવાલ

બ્લુમ્બર્ગના રિપોર્ટ મુજબ મોદી જ શાસન કરશે : ૧૩૦ કરોડની વસ્તીવાળા દેશમાં મોદીની જ લોકપ્રિયતા સૌથી વધુ છે : વિપક્ષમાં કરિશ્માવાળા કોઇ નેતા જ નથી

નવીદિલ્હી,તા. ૨૨ : જ્યારે જળવાયુ પરિવર્તન, ગરીબી અથવા તો શાંતિ સ્થાપિત કરવા જેવી લાંબી અવધિના વૈશ્વિક પડકારોને પહોંચી વળવાની વાત કરવામાં આવે છે ત્યારે આ બાબત પણ ખુબ જરૂરી બની જાય છે કે, કયા નેતાઓમાં આ તમામ પડકારોને પહોંચી વળવાની ક્ષમતા છે. તાજેતરમાં જ રસપ્રદ રિપોર્ટ આ સંદર્ભમાં જારી કરવામાં આવ્યા બાદ વ્યાપક ચર્ચા છે. બ્લુમ્બર્ગના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૯માં જ નહીં બલ્કે ૨૦૨૪માં યોજાનાર ચૂંટણી પણ જીતી શકે છે અને તેઓ ૨૦૨૯ સુધી ભારતના વડાપ્રધાન તરીકે રહી શકે છે. બ્લુમ્બર્ગના રિપોર્ટમાં દુનિયાના ૧૬ દેશોના નેતાઓની રાજકીય કેરિયરની વયના સંદર્ભમાં માહિતી આપવામાં આવી છે.

 હવે જ્યારે ૨૦૧૯માં યોજાનારી ચૂંટણી આડે ૧૦ મહિનાનો સમય રહ્યો છે ત્યારે બ્લુમ્બર્ગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સ્પષ્ટરીતે જીતીને આવશે. એટલે કે, ૧૩૦ કરોડની વસ્તીવાળા દેશ પર ૨૦૨૪ સુધી નરેન્દ્ર મોદી જ શાસન કરનાર છે. રિપોર્ટ મુજબ ૬૮ વર્ષીય મોદી હજુ સુધી સૌથી લોકપ્રિય ભારતીય નેતા તરીકે છે. વિપક્ષી કોંગ્રેસ પાર્ટીમાં કોઇ કરિશ્માવાળા નેતા નહીં હોવાના કારણે મોદીની જીત માટે સ્પષ્ટ કારણ દેખાય છે. રિપોર્ટ મુજબ ભલે ભાજપ સરકારની નીતિઓ અર્થવ્યવસ્થા માટે નુકસાનકારક છે પરંતુ સામાન્ય લોકોની વચ્ચે આ નીતિઓને લઇને રચનાત્મક ભાવના છે. સિંગાપોરની કન્સલ્ટન્સી કંપની ક્રોલમાં અધિકારી તરીકે રહેલા રેશમી ખુરાનાનું કહેવું છે કે, ૨૦૧૯ બાદ મોદીનો વિજય રથ તેમની ભારે લોકપ્રિયતાના કારણે ૨૦૨૪ સુધી પહોંચી શકે છે. ચીનમાં જિંગપિંગ, ઉત્તર કોરિયાના કિન જોન ઉન, રશિયાના વ્લાદીમીર પુટિન, સાઉદીના મોહમ્મદ બિન સલમાનને પણ પડકાર પહોંચી શકે તેવા નેતા તરીકે ગણવામાં આવ્યા છે.

(12:00 am IST)