Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

એસીને 'કંટ્રોલ' કરી ૨૦ અબજ યુનિટ વિજળી બચાવાશે : તાપમાન ૨૪ ડિગ્રી ફિકસ કરાશે

એસીમાં તાપમાન વધારવાથી વીજ વપરાશ ૬ ટકા ઘટે : ઓછું તાપમાન સ્વાસ્થ્ય બગાડે

નવી દિલ્હી તા. ૨૩ : ઊર્જા મંત્રાલય આગામી દિવસોમાં એર કન્ડિશનર માટે તાપમાનનો સામાન્ય સ્તર ૨૪ ડિગ્રી સેલ્સિયસ નક્કી કરી શકે છે. જો આવું થશે તો દેશભરમાં વર્ષે ૨૦ અબજ યુનિટ વીજળીની બચત થશે. આ સાથે લોકોના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડશે. ઊર્જાપ્રધાન આર. કે. સિંહે એર કન્ડિશનર (એસી) સેકટરમાં એનર્જી ઇફિશિયન્સી (વીજ દક્ષતા) વધારવાનું અભિયાન શરૂ કરતા શુક્રવારે કહ્યું કે, 'એર કન્ડિશનરમાં તાપમાન વધારે કરવાથી વીજ વપરાશમાં છ ટકાનો ઘટાડો આવે છે.'

એર કન્ડિશનર બનાવતી અગ્રણી કંપનીઓ તથા તેનાં સંગઠનોની સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે, 'શરીરનું સામાન્ય તાપમાન ૩૬થી ૩૭ ડિગ્રી સેલ્સિયસ હોય છે, પરંતુ વાણિજય સંસ્થાઓ, હોટેલો, ઓફિસોમાં તાપમાન ૧૮થી ૨૧ ડિગ્રી રાખવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આ તાપમાનમાં લોકોએ ગરમ કપડાં પહેરવાં પડે છે અથવા ધાબળાનો ઉપયોગ કરવો પડે છે. ખરેખર તો તે વીજળીનો વેડફાટ છે. તેને જોતાં જાપાન જેવા કેટલાક દેશોમાં તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસ રાખવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.'

એક સત્તાવાર નિવેદન અનુસાર, ઊર્જા મંત્રાલયને આધીન એનર્જી ઇફિશિયન્સી બ્યુરો (BEE)એ આ સંદર્ભમાં એક રિસર્ચ કરાવ્યું છે. તેમાં એર કન્ડિશનરમાં તાપમાન ૨૪ ડિગ્રી સેલ્સિયસ નિર્ધારિત કરવાની ભલામણ કરવામાં આવી છે. આ દિશામાં શરૂઆત કરતા એરપોર્ટ, હોટેલ, શોપિંગ મોલ સહિત ઘણી સરકારી ઇમારતોને સૂચિત કરવામાં આવશે. બેઠકમાં એસી મેકર્સને એર કન્ડીશનરમાં ૨૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખવાનું સૂચન આપવામાં આવ્યું હતું. આ સાથે તેની પર લેબલ લગાવી ગ્રાહકોને એવું જણાવવા કહેવામાં આવ્યું છે કે, પૈસાની બચત અને સ્વાસ્થ્ય માટે તાપમાન નિયત રાખવું વધુ સારું છે.

આ તાપમાન ૨૪થી ૨૬ ડિગ્રીની રેન્જમાં હશે. આ નિવેદન અનુસાર, 'ચારથી છ મહિનાના જાગરૂકતા અભિયાન બાદ લોકોનો અભિપ્રાય જાણવા માટે સર્વે કરવામાં આવશે. ત્યાર બાદ મંત્રાલય તેને અનિવાર્ય કરવા પર વિચાર કરશે. જો તમામ ગ્રાહક તેને અપનાવશે તો એક વર્ષમાં ૨૦ અબજ યુનિટ વીજળીની બચત થશે.' BEEનું કહેવું છે કે, હાલ બજારની સ્થિતિ જોતાં એસીના કારણે દેશમાં કુલ લોડ ૨૦૩૦ સુધી ૨,૦૦,૦૦૦ મેગાવોટ થઈ જશે. તેમાં આગળ વધુ વધારો કરવાની આશા છે, કારણ કે દેશમાં ફકત છ ટકા ઘરોમાં એસીનો ઉપયોગ થઈ રહ્યો છે. એક અનુમાન અનુસાર અત્યારે જેટલા એસી છે, તેની ક્ષમતા ૮ કરોડ ટીઆર (ટન ઓફ રેફ્રિજરેટર) છે, જે વધીને ૨૦૩૦ સુધી ૨૫ કરોડ ટીઆર થઈ જશે.(૨૧.૨)

(11:39 am IST)