Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

રાજકોટમાં લોકડાઉનની કડક અમલવારી

'ગોષ્ઠી'થી નહિ સમજનારા માટે પોલીસની'લાઠી'ની ભાષા

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટ્વિટ કરી રાજ્ય સરકારોને લોકડાઉનનું કડક પાલન કરાવવા સુચના આપતાં જ પોલીસની દોડધામઃ જો કે અમુક લોકો ગંભીરતા સમજતા નથીઃ રાજકોટ શહેરમાં ૨૫ સુધી લોકોને ઘરમાં જ રહેવાની સુચના છતાં નીકળી પડ્યાઃ મોટા ભાગનાએ દવાની ચબરખીઓ બતાવી, અમુકે દૂધનું તો અમુકે શાકભાજીનું બહાનુ ધર્યુઃ વાહનોના કાગળ વગર નીકળનારાને પણ મસમોટા દંડઃ 'અકિલા' ચોકમાં ડીસીપી રવિમોહન સૈનીએ લોકોને સમજાવવા આવ્યા

રાજકોટ તા. ૨૩:  કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મહામારી જાહેર કરતાં સમગ્ર વિશ્વમાં ભળભળાટ મચેલો છે. રાજકોટમાં પણ કોરોનાનો એક પોઝિટીવ કેસ સામે આવ્યો છે. હજુ પણ ગુજરાત રાજ્યમાં પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે રાજ્ય સરકારે ૨૫મી સુધી લોકડાઉન જાહેર કર્યુ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ આજે ટ્વિટ કરી તમામ રાજ્ય સરકારોને લોકડાઉનનો કડક અમલ કરાવવા સુચના આપી છે. આમ છતાં  રાજકોટ શહેરમાં અમુક લોકો ગંભીરતા ન સમજી કારણ વગર બહાર લટાર મારવા કે વાહન લઇને ચક્કર લગાવવા નીકળી પડેલા જોવા મળતાં પોલીસ તમામને સમજાવીને પરત ઘરે મોકલી રહી છે. આમ છતાં અમુક લોકો વાતચીતની ભાષામાં સમજતાં ન હોઇ અને પોલીસને સામા સવાલો કરવા માંડતા હોઇ પોલીસે આવા લોકો માટે લાઠીની ભાષામાં વાત કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી. શહેરમાં ઠેકઠેકાણે પોલીસને નાછુટકે લોકોને ઘરે વળાવવા આકરો રસ્તો અપનાવવો પડ્યો હતો.

ગઇકાલે રવિવારે રાજકોટના શાંતિપ્રિય પ્રજાજનોએ વડાપ્રધાનશ્રીના અનુરોધ અંતર્ગત જનતા કફર્યુનું ચુસ્ત પાલન કર્યુ હતું અને સાંજે પાંચ વાગ્યે થાળી, ઘંટડી, તાલી વગાડી પોલીસ, તબિબો, મિડીયા સહિતના લોકોની સેવામાં સતત ઉપલબ્ધ હોય તેના માટે અભિવાદન કર્યુ હતું. કોરોનાના હાલના સંજોગોમાં હજુ વધુ લોકડાઉન જરૂરી હોઇ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગઇકાલે સાંજે જ રાજકોટ સહિતના શહેરોમાં ૨૫મી સુધી લોકડાઉન જાહેર કર્યુ હતું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પણ અગાઉનું જાહેરનામુ રિન્યુ કરી ચારથી વધુ લોકોને ભેગા નહિ થવા તેમજ મોલ, માર્કેટ, દૂકાનો, ધાર્મિક સ્થળો, ઓૈદ્યોગિક એકમો સહિત બંધ રાખવા અને જાહેરનામનો કડક અમલ કરવા આદેશ કર્યો હતો. લોકોને જરૂરીયાત વગર બહાર જ નહિ નીકળવા તાકીદ કરી હતી.

આમ છતાં આજ સવારથી શહેરમાં ઠેકઠેકાણે લોકો બહાર નીકળી પડ્યા હતાં. પોલીસે આ તમામને સમજાવીને પરત ઘરે જવા સુચનો કર્યા હતાં. મોટા ભાગનાએ પોતે દવા લેવા કે શાકભાજી લેવા તેમજ બીજા અગત્યના કામ માટે નીકળ્યાની વાત આગળ ધરી દીધી હતી. આમાના અમુક સાચા પણ હશે. પરંતુ અમુક એવા હતાં જે કોઇ ચોક્કસ કારણ બહાર નીકળવાનું જણાવી શકયા નહોતાં. ઉલ્ટાના પોલીસની સામે થઇ ગયા હતાં કે પોલીસ બહાર હોય તો તેને કોરોના લાગુ ન પડે? આવા સવાલોથી સતત બંદોબસ્તમાં રહેલા પોલીસના અધિકારીઓ અને સ્ટાફના કર્મચારીઓ સમસમી ગયા હતાં. અમુકને ઘરે જવા સમજાવવા છતાં ન સમજતાં પોલીસે આકરો રસ્તો અપનાવી લાઠીની ભાષામાં સમજાવ્યા હતાં. અમુકને પોલીસે લાયસન્સ, કાગળો વગર નીકળ્યા હોઇ મસમોટા દંડ ફટકારવાની કાર્યવાહી પણ કરી હતી.

તસ્વીરોમાં પોલીસની આકરી કાર્યવાહીના દ્રશ્યો તથા અન્ય રસ્તાઓ પર વાહન ચાલકો નીકળી પડ્યા હતાં તેને સમજાવી રહેલો પોલીસ સ્ટાફ જોઇ શકાય છે. છેલ્લી તસ્વીરમાં 'અકિલા ચોક' રેસકોર્ષ રોડ પર ડીસીપી રવિમોહન સૈની ખુદ વાહન ચાલકો, લોકોને ઘરે જવા સમજાવી રહેલા જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:18 pm IST)