Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

કિસાન આંદોલન : 'ડેડલોક'થી 'ડાયલોગ' તરફ : આજે આર યા પાર અંગે નિર્ણય

સરકારના વાટાઘાટોના પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવા બેઠક

નવી દિલ્હી તા. ૨૨ : કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે નવા કૃષિ કાયદાઓને લઈને મડાગાંઠ ચાલુ છે. સરકારે એક પત્ર લખીને ફરી એકવાર વાટાઘાટો માટે આમંત્રણ આપ્યું છે અને તેમની પસંદગીની તારીખ આપવા જણાવ્યું છે. આવી સ્થિતિમાં આજે ખેડૂત સંગઠનોની બેઠક યોજાવાની છે જેમાં સરકારના પ્રસ્તાવ અંગે મહત્વનો નિર્ણય લઈ શકાય છે.

કેન્દ્ર સરકારે ૪૦ ખેડૂત સંગઠનોને સંબોધિત કરતા એક પત્ર લખીને તેમને વાટાઘાટો માટે આમંત્રણ આપ્યું હતું. સરકારે એમ પણ કહ્યું હતું કે, ખેડૂત સંગઠનો તેમની પસંદગીની કોઈપણ તારીખ પસંદ કરી શકે છે. આવી સ્થિતિમાં આશા છે કે ખેડૂત સંગઠનો દ્વારા આજની બેઠકમાં કેન્દ્ર સરકારના પ્રસ્તાવ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

ખેડૂત નેતાઓએ સોમવારે કહ્યું હતું કે જો સરકાર કોઈ નક્કર સમાધાન રજૂ કરે તો તેઓ હંમેશા વાટાઘાટો માટે તૈયાર છે પરંતુ દાવો કર્યો છે કે, આગામી તારીખના કેન્દ્ર સરકારના વાટાઘાટોના પત્રમાં કઈપણ નવું નથી. ભારતીય ખેડૂત સંઘ (BKU)ના નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, સરકારે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તે નવા કૃષિ કાયદામાં સુધારો કરવાની અગાઉની દરખાસ્ત અંગે વાત કરવા માંગે છે.

ભારતીય કિસાન યુનિયન (ટિકૈત જૂથ)ના પ્રવકતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે, અમે સરકારને ટેકો આપતા ખેડૂત સંગઠનોને મળીશું. નવા કૃષિ કાયદામાં તેમને કયો ફાયદો જોવા મળી રહ્યો તે તેમની પાસેથી જાણીશું, તેમ જ તેઓ પૂછશે કે તેઓ તેમના પાકને વેચવા માટે કઈ તકનીકનો ઉપયોગ કરી રહ્યા છે.

ખેડુતો કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે હરિયાણા અને ઉત્ત્।ર પ્રદેશ, દિલ્હીની સરહદો પર ભૂખ હડતાલ પર કરી રહ્યા છે. ક્રાંતિકારી ખેડૂત સંઘના ગુરમીતસિંહે કહ્યું કે, આગામી પગલાં માટે ખેડૂત નેતાઓ મંગળવારે મળે તેવી સંભાવના છે. બિહાર જેવા અન્ય રાજયોમાં પણ ખેડુતોની સંસ્થાઓ ખેડુતોનો ટેકો માંગી રહી છે. સંયુકત મોરચે સોમવારથી ૧૧-૧૧ ખેડુતોની ધીરે ધીરે ભૂખ હડતાલ અને ૨૫થી ૨૭ ડિસેમ્બર સુધીમાં હરિયાણા-પંજાબ માર્ગ પર ટોલ મુકિતની જાહેરાત કરીને આંદોલન ચાલુ રાખ્યું છે.

સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે અત્યાર સુધીમાં ૫ રાઉન્ડની વાટાઘાટો થઈ છે જે અનિર્ણિત રહી છે. પાંચમા રાઉન્ડની વાતચીત બાદ ૯ ડિસેમ્બરના રોજની ચર્ચા સ્થગિત કરી દેવામાં આવી હતી કારણ કે, ખેડૂતો સંઘોએ કાયદાઓમાં સંશોધન અને લઘુત્ત્।મ ટેકાના ભાવને ચાલુ રાખવા કેન્દ્રની લેખિત ખાતરીના પ્રસ્તાવને સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.

છેલ્લા ચાર અઠવાડિયાથી સખત શિયાળામાં હજારો ખેડૂતો દિલ્હીના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે. આમાં મોટાભાગના ખેડુતો પંજાબ અને હરિયાણાના છે. ખેડૂત સંગઠનો સ્પષ્ટ કહે છે કે તેઓ ઇચ્છે છે કે કેન્દ્ર સરકાર ત્રણેય કૃષિ કાયદાને પાછો ખેંચે, જયારે સરકાર તેને પાછા ખેંચવા માટે તૈયાર નથી.

(10:09 am IST)