Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

વિજય રૂપાણી જુદા જુદા હોદ્દા પર કામ કરી ચુક્યા

બીજી ઓગસ્ટ ૧૯૫૬ના દિવસે જન્મ થયો હતો : વર્ષ ૧૯૬૦માં પરિવાર રાજકોટ આવી ગયા બાદ ત્યાંજ સક્રિય રહ્યા : બીએ એલએલબી સુધી અભ્યાસ કર્યો છે

અમદાવાદ,તા. ૨૨ : વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર સત્તા સંભાળવા જઇ રહ્યા છે. વિજય રૂપાણી પોતાની કારકીર્દી દરમિયાન અનેક જુદા જુદા હોદ્દાઓ ઉપર કામ કરી ચુક્યા છે. રંગુન શહેરમાં જન્મ થયા બાદ તેમના પરિવારના સભ્યો રાજકોટ આવી ગયા હતા. બીજી ઓગસ્ટ ૧૯૫૬ના દિવસે જન્મેલા વિજય રૂપાણી ૧૯૬૦માં પરિવાર સાથે રાજકોટ આવી ગયા હતા. ત્યારથી જ રાજકોટમાં રહે છે. તમામ લોકો જાણે છે કે, વિજય રૂપાણી વિદ્યાર્થી ગાળા દરમિયાનથી જ સામાજિકરીતે સક્રિય રહ્યા છે. બીએ એલએલબી સુધી અભ્યાસ કર્યો છે. રાજકીય સફરની વાત કરવામાં આવે તો વિજય રૂપાણીએ ૧૯૮૮થી ૧૯૯૫ના ગાળા દરમિયાન રાજકોટ મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર તરીકે રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્વની જવાબદારી તેઓ અનેક વખત અદા કરી ચુક્યા છે. ૨૦૦૬માં ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, ૨૦૦૬થી ૨૦૧૨ દરમિયાન રાજ્યસભાના સાંસદ તરીકે, ૨૦૧૩ના અંતમાં થોડાક સમય સુધી મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડમાં ચેરમેન તરીકે રહી ચુક્યા છે. સૌરાષ્ટ્ર સ્ટોક એક્સચેંજના ડિરેક્ટર તરીકે પણ રહી ચુક્યા છે. છેલ્લે હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટમાંથી ભવ્ય જીત મેળવી હતી. વડાપ્રધાન મોદીએ સૌથી પહેલા જ્યાંથી ચૂંટણી લડી હતી તે રાજકોટ સીટ ઉપર વિજય રૂપાણી લડ્યા હતા અને કેબિનેટ મંત્રી બન્યા હતા. તેમની પાસે પાણી પુરવઠા, વાહન વ્યવહાર અને શ્રમ અને રોજગારના વિભાગો હતા. તેમની ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. ૭મી ઓગસ્ટ ૨૦૧૬ના દિવસે રૂપાણીને મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા.

રૂપાણીના ગાળા દરમિયાન સરકાર સામે શ્રેણીબદ્ધ પડકારો આવ્યા હતા જેમાં પાટીદાર અનામત આંદોલન, દલિતોના આંદોલન, આદિવાસીઓના વિરોધ, ખેડૂતોના વિરોધનો સમાવેશ થાય છે. આ ઉપરાંત છેલ્લા ૨૨ વર્ષથી ભાજપનું શાસન હોવાથી સત્તાવિરોધી લહેરની સ્થિતિ હતી. આ તમામ પડકારો હોવા છતાં વિજય રૂપાણીએ ખુબ જ સફળતાપૂર્વક કામગીરીને આગળ વધારી હતી અને ગુજરાતનો વિકાસ આગળ વધાર્યો હતો.

વિજય રૂપાણી પ્રોફાઇલ

   વિજય રૂપાણી બીજી ઓગસ્ટ ૧૯૫૬માં રંગૂનમાં જન્મ્યા હતા

   ૧૯૬૦માં પરિવાર સાથે રાજકોટ આવી ગયા હતા

   વિદ્યાર્થી કાર્યકાળથી જ સામાજિક સેવા સાથે જોડાયેલા રહ્યા છે

   બીએેએલએલબી સુધી અભ્યાસ કર્યો છે

   ૧૯૮૮થી ૧૯૯૫ દરમિયાન રાજકોટ મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર રહ્યા

    ૨૦૦૬માં ગુજરાત રાજ્ય પ્રવાસ નિગમમાં રહ્યા હતા

   ૨૦૦૬થી ૨૦૧૨ દરમિયાન રાજ્યસભાના સાંસદ તરીકે રહ્યા હતા

   ૨૦૧૩ના અંતમાં થોડાક સમય સુધી મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડમાં ચેરમેન રહ્યા હતા

   ૭મી ઓગસ્ટ ૨૦૧૬ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા

   ટૂંકાગાળામાં જ ખુબ ગતિશીલ તરીકે સક્રિય રહ્યા હતા

(7:17 pm IST)