Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

જયપુરઃ રેસ્ટોરન્ટના બર્ગરમાંથી નીકળ્યો વીંછીઃ અડધુ ખાધા પછી યુવકને પડી ખબર

મિત્રો સાથે ખાવા ગયેલા યુવકના બર્ગરમાંથી નીકળ્યો વીંછી, યુવકની તબિયત લથડી : અડધુ બર્ગર ખાધા પછી યુવકને સ્વાદ બદલાતા અંદર જોયુ તો મરેલો અડધો વીંછી હતોઃ જાણ થતા પોલીસ પહોંચી હતી અને બર્ગરનું સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યું હતું

જયપુર,તા.૨૨: અત્યાર સુધીમાં આપણે સાંભળ્યું હશે કે ખાવામાં અને ઠંડા પીણામાંથી કીડા નીકળ્યા હોય, પરંતુ જયપુરની એક રેસ્ટોરન્ટમાં બર્ગરમાંથી વીંછી નીકવાની દ્યટના સામે આવી છે. જવાહર સર્કલ પાસે આવેલી એક જૂની રેસ્ટોરન્ટમાં એક યુવકને ત્યારે ખબર પડી કે જયારે તે અડધુ બર્ગર ખાઈ ગયો. જયારે સ્વાદ બદલાયો અને જોયુ તો અંદર અડધો મરેલો વીંછી હતો. આ બર્ગર ખાધા બાદ યુવકની તબિયત ખરાબ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જે બાદ આ યુવકે જવાહર સર્કલ પોલીસ સ્ટેશનમાં રેસ્ટોરન્ટ સામે ફરિયાદ દાખલ કરી હતી.

જયપુરમાં એરપોર્ટ રોડ પર આવેલી શાંતિ કોલોનીમાં રહેતો ૨૨ વર્ષીય તરૂણ સૈની તેના મિત્રો સાથે ૧૭ સપ્ટેમ્બરે રાતે સાડા આઠ વાગે એક પ્રખ્યાત અને જૂની રેસ્ટોરન્ટમાં બર્ગર ખાવા માટે ગયો હતો. આ રેસ્ટોરન્ટમાં તેણે બે બર્ગર ઓર્ડર કર્યા હતા. એક બર્ગર તેણે મિત્રને આપ્યુ અને બીજુ બર્ગર તે ખાવા લાગ્યો હતો. અડધુ બર્ગર ખાધા પછી તેને સ્વાદ થોડો બદલાયેલો લાગ્યો. તેણે બર્ગરમાં જોયુ તો વીંછી જેવું નજરે પડ્યું. આ જોઈને તરૂણ હકબક થઈ ગયો.

તેને ગભરામણ થવા લાગી અને તબિયત બગડવા લાગી. એ પછી યુવકને જયપુરિયા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ યુવકે જવાહર સર્કલ પોલીસ સ્ટેશનમાં રેસ્ટોરન્ટ સામે ફરિયાદ દાખલ કરી હતી. તરૂણનો આરોપ છે કે, જયારે બર્ગરમાંથી વીંછી નીકળ્યો તો તેના મિત્રોએ રેસ્ટોરન્ટના સંચાલકોને આની જાણ કરી. તો તેઓ આ બર્ગર લઈને જતા રહ્યા અને પોતાની બેદરકારી સ્વીકારવાના બદલે તેમના પર ત્રાડુકયા હતા. આ ખરેખર રેસ્ટોરન્ટની બેદરકારી છે. તેઓએ પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ. આ મામલે ભારે હોબાળો મચ્યો હતો. જે બાદ પોલીસ પણ દ્યટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ બર્ગરનું સેમ્પલ લઈને તેને ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલી આપ્યો હતો. 

(10:31 am IST)