Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

આર.સી.બી હારતા નવીને એન્કરનો તાળી વગાળતો મીમ શેર કર્યો

કોહલી-નવીન વચ્ચેનો વિવાદ વકર્યો :  નવીને આરસીબી કે વિરાટનું નામ તો નથી લખ્યું પરંતુ તેનો ટાઈમિંગ જોતાં સ્પષ્ટ થાય છે કે, આ સ્ટોરી કોના માટે નાખી છે

નવી દિલ્હી, તા.૨૨ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને લખનઉ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર નવીન ઉલ હક વચ્ચે થયેલો ઝઘડો કોઈનાથી છુપો નથી. લખનઉ અને આરસીબી વચ્ચે મેદાન પર શરૃ થયેલો વિવાદ હવે સોશિયલ મીડિયા પર પણ થઈ રહ્યો છે. લખનઉને ગુજરાતની ટીમે હરાવી ત્યારે વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી. જે બાદ આરસીબીની મુંબઈની ટીમ સામેની હાર અને વિરાટ કોહલીની વિકેટ પર મજા લેતાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી. હવે આરસીબી પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું છે ત્યારે નવીનને વધુ એક તક મળી છે.

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં ગુજરાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કારમી હાર આપી હતી.

આ સાથે જ વિરાટ કોહલીનું આઈપીએલની ટ્રોફી જીતવાનું સપનું તૂટી ગયું છે. આરસીબીની હારથી નવીન ઉલ હકે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક મીમ શેર કર્યું છે. જેમાં એક ટીવી એક્નર તાળી વગાડીને હસતો જોવા મળે છે. નવીને આરસીબી કે વિરાટનું નામ તો નથી લખ્યું પરંતુ તેનો ટાઈમિંગ જોતાં સ્પષ્ટ થાય છે કે, આ સ્ટોરી કોના માટે નાખી છે.

મેની શરૃઆતમાં એકાના સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં દસમા નંબર પર બેટિંગ માટે ઉતરેલા નવીન ઉલ હકને વિરાટ કોહલીએ સ્લેજ કર્યો હતો. મેચ પૂરી થયા પછી ખેલાડીઓ હાથ મિલાવી રહ્યા હતા એ વખતે નવીન અને કોહલી વચ્ચે વિખવાદ થયો હતો. જે બાદ ટીમના મેન્ટર ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. ત્યારથી જ નવીન અને વિરાટ વચ્ચે સોશિયલ મીડિયા વૉર ચાલી રહ્યું છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઈપીએલ ૨૦૨૩ના પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને રહી હતી. વળી, ત્રીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ છે અને તે હવે પ્લેઓફમાં રમશે. ૨૪મી મેના રોજ ચેપોકના મેદાનમાં લખનઉની ટીમની ટક્કર મુંબઈ ઈન્ડિયન્સ સાથે થશે.

(9:28 pm IST)