Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ઈન્ડોનેશિયામાં ૫.૬ની તિવ્રતાનો ભૂકંપ, ૪૬નાં મોત થયા, ૭૦૦થી વધુ ઘાયલ

ઈન્ડોનેશિયામાં ફરીવાર ભૂકંપના આંચકાથી ખળભળાટ : ઈન્ડોનેશઇયામાં ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ જાવાના સિયાનુજરમાં જમીનથી લગભગ ૧૦ કિલોમીટર દૂર હતું, હાલમાં સુનામીનો કોઈ ખતરો નથી

ઈન્ડોનેશિયા, તા.૨૧ : ઈન્ડોનેશિયામાં ફરીવાર ભૂકંપના આંચકાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. સોમવારે અહીં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૬ની તીવ્રતા માપવામાં આવી છે. આ જોરદાર આંચકા કેટલીક સેકન્ડો સુધી અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ જાવાના સિયાનુજરમાં જમીનથી લગભગ ૧૦ કિલોમીટર દૂર હતું. હવામાન અને ભૂ-ભૌતિક એજન્સીએ કહ્યું કે હાલમાં સુનામીનો કોઈ ખતરો નથી. ભૂકંપ એટલો ગંભીર હતો કે, તેમાં અત્યાર સુધીમાં લગભગ ૪૬ લોકોના મોત થયા છે. આ ઉપરાંત ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે જેમની સારવાર ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે જકાર્તામાં જ્યારે આ ભૂકંપ આવ્યો તે સમયે અનેક લોકો પોતાની ઓફિસમાં બેસીને કામ કરી રહ્યા હતા. ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે, અનેક બિલ્ડિંગ હલવા લાગી હતી. તેનાથી અફરા-તફરીનો માહોલ બની ગયો હતો. ભૂકંપના કારણે ઈમારતોમાં રાખવામાં આવેલ ફર્નિચર પણ તેની જગ્યાએથી ખસવા લાગ્યું હતું. ૨૨ વર્ષના એક વકીલે પોતાની આંખે જોયેલી ઘટના જણાવતા કહ્યું કે, કેવી રીતે લોકો એટલા ગભરાઈ ગયા હતા કે તેઓ બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યા હતા. તેઓ ઝડપથી બિલ્ડિંગમાંથી બહાર નીકળવા માંગતા હતા.

આ પહેલા પશ્ચિમ ઈન્ડોનેશિયામાં શુક્રવારે રાત્રે સમુદ્ર નીચે જોરદાર ભૂકંપ આવ્યો હતો પરંતુ તેમાં કોઈ જાન હાનિ નહોતી થઈ. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ અહેવાલ આપ્યો હતો કે, ભૂકંપની તીવ્રતા ૬.૯ હતી જ્યારે તેનું કેન્દ્ર દક્ષિણ બેંગલુરુથી ૨૦૨ કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં ૨૫ કિલોમીટરની ઊંડાઈએ હતું.

(7:24 pm IST)