Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ભાજપ-કોંગ્રેસ-AIMIM-આપનાં નવ નેતાઓનો ઝંઝાવતી પ્રચાર

ભાજપ, કોંગ્રેસ અને આપનાં દિગ્‍ગજ નેતાઓ ગુજરાતમાં સભા ગજાવશે અને રોડ શો કરશે

નવી દિલ્‍હી,તા. ૨૧ : ગુજરાતમાં હાલ તમામ પક્ષો દ્વારા ચૂંટણીનો ઝંઝાવતી પ્રચાર ચાલી રહ્યો છે. તમામ પક્ષો મતદારોને પોતાના સમીકરણ સમજાવવાનો અથાગ પ્રયાસ કરી રહ્યા છે. ત્‍યારે આજે ભાજપ, કોંગ્રેસ અને આપનાં દિગ્‍ગજ નેતાઓ ગુજરાતમાં સભા ગજાવશે. આપને જણાવીએ કે, આજે રાજયમાં વડાપ્રધાન મોદી, કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્‍યક્ષ રાહુલ ગાંધી, ઉત્તરપ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ, દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીનાં રાજયસભા સાંસદ રાઘવ ચઢ્ઢા,આપનાં રાજસભા સાંસદ સંજયસિંહ, AIMIM નાં અધ્‍યક્ષ અસુદ્દીન ઓવૈસી, પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે જનસભા સંબોધશે.

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. તેઓ સવારે ૧૧ વાગે રાજભવનથી સુરેન્‍દ્રનગર જવા રવાના થશે. બપોરે ૧૨ વાગે સુરેન્‍દ્રનગર જાહેર સભા સંબોધશે. ૧ વાગે સુરેન્‍દ્રનગરથી જંબુસર જવા રવાના થશે. ૨વાગે જાંબુસરમાં જાહેરસભાને સંબોધશે. ૩ વાગે નવસારી જવા રવાના. ૪ વાગે નવસારીમાં જાહેરસભાને સંબોધન કરશે. ૫ વાગે નવસારીથી સુરત એરપોર્ટ જવા રવાના થશે જે બાદ સુરતથી દિલ્‍હી જશે.

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ૪ જિલ્લામાં ચૂંટણી સભા સંબોધશે. સવારે ૧૧ વાગે દ્વારકાનાં ખંભાળીયા, બપોરે ૧ વાગે ગીરસોમનાથનાં કોડિનાર, બપોરે ૩ વાગે જૂનાગઢનાં માળીયા હાટીના અને સાંજે ૬.૩૦ વાગે ભૂજમાં જાહેર સભાને સંબોધશે.

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્‍યક્ષ રાહુલ ગાંધી આજે બે ચૂંટણી સભાને સંબોધશે. તેઓ આજે બપોરે ૧ વાગે સુરતના મહુવામાં પાંચકાકડા ગામ અને બપોરે ૩ વાગે રાજકોટનાં શાષાી મેદાનમાં ચૂંટણી સભાને સંબોધશે.

ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ અને નસવાડી ખાતે ચૂંટણી પ્રચાર માટે આવશે. સંખેડાના ભાજપના ઉમેદવાર અભેસિંગ તડવીના સમર્થનમાં બપોરે ૧ વાગે સભાને સંબોધશે. આ સાથે મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બાબુ બોખીરીયાના ચૂંટણી પ્રચાર માટે ચોપાટી ખાતે સાંજે સભા કરશે.

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સાંજે ૫ વાગે અમરેલીમાં રોડ શો કરશે. આ સાથે પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માન ૫ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્‍યા છે. તેઓ આજે સવારે ૧૧ વાગ્‍યે ઉમરગામ, બપોરે ૩ વાગ્‍યે કપરડા, સાંજે ૫ વાગ્‍યે ધરમપુર અને સાંજે સાંજે ૬ વાગ્‍યે વાંસદામાં રોડ શો કરશે.

આમ આદમી પાર્ટીનાં રાજયસભા સાંસદ રાઘવ ચઢ્ઢા આજથી ૪ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્‍યા છે. તેઓ આજે ૫ રોડ શો અને ૩ જનસભાને સંબોધિત કરશે. આજે સાંજે ૪ વાગ્‍યે ધાંગધ્રામાં રોડ શો અને રાત્રે ૭ વાગ્‍યે ચોટીલામાં જનસભાને સંબોધિત કરશે.

આપનાં રાજસભા સાંસદ સંજયસિંહ ૨ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્‍યા છે. તેઓ આજે સાંજે ૪ વાગે વરાછા બેઠક પરથી ઉમેદવાર અલ્‍પેશ કથિરિયાનાં સમર્થનમાં બાઈક રેલીમાં જાડાશે.

AIMIM નાં અધ્‍યક્ષ અસુદ્દીન ઓવૈસીનાં ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. તેઓ રાત્રે ૮ વાગે દાણીલીમડા બેઠકનાં ઉમેદવાર કૌશિકા પરમારનાં સમર્થનમાં ચૂંટણી સભા કરશે.

(10:26 am IST)