Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

આંદામાન નિકોબારના વન્યમાં અમેરિકી ટ્યુરિસ્ટની ક્રૂર હત્યા

માછીમારની મદદથી પ્રતિબંધિત ક્ષેત્રમાં પહોંચ્યો : જારવા જનજાતિના લોકોને મળવાની સરકારે મંજુરી આપી નથી : હજારો વર્ષ જુની જાતિના લોકો વન્ય ક્ષેત્રમાં રહે છે

પોર્ટબ્લેયર, તા. ૨૧ : આંદામાન અને નિકોબાર દ્વીપના વન્ય વિસ્તારમાં એક અમેરિકી ટ્યુરિસ્ટની આદિવાસીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. નિકોબારમાં સેન્ટીનેલ દ્વિપમાં પ્રવેશ કરવા પર મનાઈ હોવા છતાં એક પ્રવાસીએ માછીમારોની મદદથી પહોંચી જવામાં સફળતા મેળવી હતી. આદિવાસીઓએ ત્યારબાદ આ ટ્યુરિસ્ટ પર તિરકામઠાથી હુમલો કર્યો હતો જેમાં તેનું મોત થયું હતું. આંદામાન અને નિકોબાર નજીક સેન્ટીનલ દ્વિપ ઉપર આદિવાસીઓનું એક સમુદાય ત્યાં રહે છે. આ સમુદાયને મળવાની મંજુરી કોઇને પણ આપવામાં આવતી નથી. પોલીસે આ મામલામાં હત્યાનો મામલો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. આ સંદર્ભમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકી નાગરિક જ્હોન એલને ગેરકાયદેરીતે સેન્ટીનલ દ્વિપમાં ઘુસી જવાના પ્રયાસ કર્યા હતા. એમ માનવામાં આવે છે કે, માછીમારોને પણ આદિવાસીના આ વિસ્તારમાં ઘુસી જવા માટે તકલીફ પડે છે. માછીમારોએ આમા મદદ કરી હતી. એલનનો મૃતદેહ ઉત્તરીય સેન્ટીનલ આઈલેન્ડમાં મળી આવ્યો છે. માછીમારોએ પોલીસને આ અંગે માહિતી આપી હતી. આ દ્વિપમાં રહેનાર જનજાતિ ખુબ જ ખતરનાક છે. ચેન્નાઈ સ્થિત અમેરિકી દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું છે કે, આંદામાન નિકોબાર દ્વિપ ઉપર અમેરિકી નાગરિકના મોતના અહેવાલ મળ્યા છે. આ મામલાને લઇને સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં છે. સેન્ટીનલ દ્વિપ ઉપર માત્ર નૌકાથી પહોંચી શકાય છે. આ દ્વિપમાં હજુ પણ ૬૦ હજાર વર્ષ જુના સમુદાયના લોકો રહે છે જેમના બહારી દુનિયા સાથે કોઇ સંપર્ક નથી. ત્યાં પહોંચનાર લોકોની હત્યા કરી દેવામાં આવે છે. નોર્થ સેન્ટીનલ આઈલેન્ડ પર આ રહસ્યમય આદિજનજાતિના આધુનિક યુગ અને આ યુગના કોઇપણ સભ્ય સાથે કોઇ લેવા દેવા નથી. આ જનજાતિના લોકો કોઇના સંપર્કમાં રહેતા નથી. સાથે સાથે પોતાને પણ કોઇની સાથે સામેલ થવાની મંજુરી આપતા નથી. સરકારે અહીં પ્રતિબંધ મુકેલો છે. આંદામાન નિકોબારમાં જારવા જનજાતિના લોકો રહે છે. ટ્યુરિસ્ટની હત્યા આ જનજાતિના લોકો દ્વારા કરાઈ છે કે પછી અન્ય લોકોએ  કરી છે તે અંગે માહિતી મળી શકી નથી. જારવા સમુદાય દેશના કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન અને નિકોબારમાં રહે છે. જારવા જનજાતિ માનવ સભ્યતાની સૌથી જુની જનજાતિઓ પૈકી એક છે જે હિંદ મહાસાગરના ટાપુ  પર છેલ્લા ૫૫૦૦૦ વર્ષથી રહે છે. રસપ્રદ બાબત એ છે કે, આ જનજાતિથી સામાન્ય લોકોને મળવાની મંજુરી આપવામાં આવી નથી. 

(7:18 pm IST)