Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

જેટ અેરવેજની ઘટના બાદ તમામ અેરલાઇન્સ અને અેરપોર્ટમા સેફટીનુ અેહિટ કરતા કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુનો આદેશ

નવી દિલ્હી: તાજેતરમાં જ પેસેન્જરની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ તમામ એરલાઈન્સ અને એરપોર્ટના સેફ્ટી ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. ગુરુવારે મુંબઈથી જયપુર જઈ રહેલી જેટ એરવેઝને ફ્લાઈટમાં ક્રૂ મેમ્બરની બેદરકારીના કારણે 30 પેસેન્જરના નાક-કાનમાંથી લોહી વહેવા માંડ્યું હતું. કેબિનનું પ્રેશર કંટ્રોલ કરતી સ્વિચ ક્રૂ ચાલુ કરવાનું ભૂલી જતાં આ ઘટના બની. સુરેશ પ્રભુએ જેટ એરવેઝની ફ્લાઈટમાં બનેલી આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા મામલાની તપાસ ચાલી રહી છે.

આ સિવાય, છેલ્લા થોડા સમયમાં હવામાં પ્લેનના એન્જિન ફેઈલ થયાની ઘટનાઓ પણ સામે આવી છે. ઈન્ડિગો અને ગોએર ઓપરેટેડ ફ્લાઈટના પ્રાટ અને વ્હીટની એન્જિન પાવર્ડ એરબસ A320 neoના એન્જિન ખામીગ્રસ્ત થયા હતા. નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ તાત્કાલિક ધોરણે દરેક શિડ્યુલ એરલાઈન્સ, એરોડ્રામ, ફ્લાઈંગ ટ્રેનિંગ સ્કૂલ અને MRO (મેન્ટેનન્સ, રિપેર એન્ડ ઓવરહૉલ ઓર્ગેનાઈઝેશન્સ)ના સેફ્ટી પેરામીટર્સનું વ્યાપક એસેસમેન્ટ કરી સેફ્ટી ઓડિટ પ્લાન તૈયાર કરવાના આદેશ આપ્યા છે.

મંત્રી સુરેશ પ્રભુનો આદેશ છે કે, સેફ્ટી ઓડિટનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે અને 30 દિવસમાં રિપોર્ટ સોંપી દેવામાં આવે. ઈન્ડિગોએ A320 નિયોના વધારાના P&W એન્જિન ન મળતાં 5 પ્લેનની ઉડાન રદ કરી છે. જેના પગલે ગયા મહિને જ સુરેશ પ્રભુએ DGCA પાસે આ પ્લેનનો રિપોર્ટ માગ્યો હતો. સુરેશ પ્રભુએ કહ્યું કે, પેસેન્જર્સની સુરક્ષા સર્વોપરી છે અને તેમાં બાંધછોડ નહીં ચલાવી લેવાય.

બીજી તરફ જેટ એરવેઝ દ્વારા પેસેન્જર્સની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી 3 ઘટનાઓની માહિતી આપવામાં આવી છે. જેમાં ગુરુવારે બનેલી ઘટનાનો પણ સમાવેશ થાય છે. 6 ઓગસ્ટે DGCAએ બે પાયલટના ફ્લાઈંગ લાયસન્સ રદ કર્યા છે. રિયાધ એરપોર્ટ પર પાયલટે ટેક્સીવે પરથી ટેકઓફ કરવાનો પ્રયાસ કર્યો હતો, આ મામલાની તપાસ ચાલી રહી છે.

(4:58 pm IST)