Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

UAEમાં કામ કરનારા લાખો ભારતીયો માટે ખુશખબરી : ટુંક સમયમાં શરૂ થશે ફલાઈટ

કોરોનાને કારણે ભારતીયોના UAEમા પ્રવેશ પર મુકવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો, શરતોનું પાલન કરવામાં આવશે તો યુએઈ જઈ શકાશે : ૨૩ જૂનથી યુએઈ જતી ફલાઈટ્સ શરૂ કરવામાં આવશે : યુએઈમાં માન્ય રસી મુકાવી હશે તો જ જઈ શકાશે

દુબઈ,તા.૨૧: સંયુકત અરબ અમીરાત(યુએઈ)માં કામ કરનારા લાખો ભારતીયો માટે એક સારા સમાચાર છે. દુબઈની એરલાઈન કંપની અમીરાત એરલાઈન્સે ૨૩ જૂનથી ભારતની ફ્લાઈટ્સ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. નિયમોમાં ફેરફાર થયા પછી દુબઈની કમિટી ઓફ ક્રાઈસીસ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા રસી મુકાવી લીધી હોય તેવા ભારતીયોને યુએઈમાં પોતાના ઘરે પાછા જવાની મંજૂરી આપવામાં આવી છે.

ભારત સિવાય દક્ષિણ આફ્રિકા અને નાઈજીરિયાના લોકોને પણ આ પ્રકારની મંજૂરી આપવામાં આવી છે. અમીરાત એરલાઈન્સે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તે ભારતના પ્રવાસીઓને મંજૂરી આપવાના આ નિર્ણયનું સ્વાગત કરે છે. કંપની પ્રોટોકોલનું પાલન કરશે અને ૨૩ જૂનથી પેસેન્જર ફ્લાઈટ્સની શરુઆત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા યુએઈએ ૨૪ એપ્રિલના રોજ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભારતના પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકયો હતો.

આ આદેશને કારણે યુએઈમાં કામ કરતા લાખો ભારતીયોને મોટી રાહત મળી છે. આ પ્રતિબંધને કારણે મોટી સંખ્યામાં નોકરિયાતો અને ખાસકરીને હેલ્થ સેકટરમાં કામ કરનારા લોકો ભારતમાં ફસાઈ ગયા હતા. આવા ભારતીયો હવે યુએઈ પાછા ફરી શકશે. જો કે ભારતથી આવનારા યાત્રીઓ માટે અમુક નિયમ તૈયાર કરવામાં આવ્યા છે. માત્ર તે જ ભારતીયોને જવાની મંજૂરી આપવામાં આવશે જેમણે યુએઈમાં સ્વીકૃત કોરોના રસી લીધી હશે.

ભારતીય નાગરિકોએ ફ્લાઈટના ૪૮ કલાક પહેલા કરાવવામાં આવેલો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવાનો રહેશે. માત્ર કયુઆર કોડ વાળા પીસીઆર ટેસ્ટ રિઝલ્ટ સર્ટિફિકેટને માન્ય ગણવામાં આવશે. તમામ પ્રવાસીઓએ ફ્લાઈટના ૪ કલાક પહેલા રેપિડ ટેસ્ટ કરાવવાનો રહેશે. દુબઈ એરપોર્ટ પર ઉતરીને તમામ પ્રવાસીઓએ પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે. આ ટેસ્ટનું રિઝલ્ટ આવે ત્યાં સુધી કવોરન્ટાઈનમાં રહેવું પડશે અને રિઝલ્ટ આવવામાં ૨૪ કલાકનો સમય લાગી શકે છે.

(10:14 am IST)