Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

નેપાળ : ગેસ લીક થતાં ૮ ભારતીય પર્યટકોના મોત

વિદેશ મંત્રાલયની ઘટના પર નજર : મૃતકોમાં ચાર માસુમ બાળકોનો પણ સમાવેશ : ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે સમગ્ર મામલે દુખ વ્યક્ત કર્યું

નવીદિલ્હી, તા. ૨૧ : નેપાલમાં એક રિસોર્ટમાં ગેસ લીક થવાના કારણે મંગળવારે આઠ ભારતીય પર્યટકોના મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે. મૃતકોમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટનાની મળતી  માહિતી મળ્યા બાદ ભારતીય દૂતાવાસના અધિકારીઓ તરત જ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. જ્યારે વિદેશ મંત્રાલયે પણ ઘટના પર સંપૂર્ણ નજર કેન્દ્રિત કરી દીધી હતી. પોલીસ અધિક્ષક સુશીલ સિંહ રાઠોરના જણાવ્યા અનુસાર રિસોર્ટના રુમમાં બેભાન હાલતમાં મળેલા ભારતીય નાગરિકોને એચએએમએસ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર ગેસ લીકના કારણે મૃત્યુ પામેલ આઠ લોકો ૧૫ પર્યટકોની તે ટીમમાં સામેલ છે જે કેરળથી પોખરા ગયા હતા. ૮ ભારતીય પર્યટકો મંગળવારે નેપાળની એક હોટલમાંથી બેભાન સ્થિતિમાં મળ્યા હતા.

                 પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે તેમને એરલિફ્ટ કરીને કાઠમાંડુની હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને જણાવ્યું કે, દરેક પર્યટકોને તિરુઅનંતપુરમ (કેરળ)ના છે. તેમના મૃતદેહો કાઠમાંડુથી તિરુઅનંતપુરમ લાવવામાં આવી રહ્યા છે. મુરલીધરને જણાવ્યું કે, મૃતકોમાં રંજીત અને પ્રવીણ સહિત તે બંનેની પત્ની અને ૪ બાળકો સામેલ છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે શ્વાસ રૃંધાવાના કારણે તેમનું મોત થયું છે. નેપાળ પોલીસે કહ્યું કે, ૧૫ સભ્યોનું એક ગ્રૂપ કેરળથી નેપાળ આવ્યું હતું. પરત ફરતી વખતે તેઓ મકવાનપુર જિલ્લાના દમણમાં આવેલા એવરેસ્ટ પૈનોરમા રિસોર્ટમાં રોકાયા હતા. હોટલ મેનેજમેન્ટે જણાવ્યું કે, તે લોકો સોમવારે રાતે૯.૩૦ વાગે રિસોર્ટ પર આવ્યા હતા. તેમણે રૂમને ગરમ રાખવા ગેસ હિટર ઓન કર્યું હતું. આ લોકોએ કુલ ૪ રૂમ બુક કર્યા હતા. ૮ લોકો એક જ રૂમમાં રોકાયા હતા જ્યારે બાકીના લોકો અન્ય રૂમમાં રોકાયા હતા. તેમણે રૂમની દરેક બારી અને દરવાજો બંધ કરી દીધા હતા.

(8:04 pm IST)