Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કાશ્મીરમાં LPG સ્ટોક રાખવા, શાળાઓને ખાલી કરવાનો આદેશ

ભારત-ચીન વચ્ચેના તણાવને જોતા હુકમ : સરકારે બે આદેશ જારી કરતા રાજ્યના લોકોમાં ઉચાટ

નવી દિલ્હી, તા. ૨૮ : લદ્દાખની ગલવાન ઘાટીમાં હિંસક ઘર્ષણ બાદ ભારત અને ચીનની વચ્ચેનો તણાવ ઓછો થવાનું નામ લઈ રહ્યો નથી, ત્યારે જમ્મુ-કાશ્મીર સરકારે અચાનક જારી કરેલા બે ફરમાનથી રાજ્યના લોકોમાં ચિંતા સાથે ઉચાટની લાગણી ફરી વળી છે. જમ્મુ-કાશ્મીરમાં સરકારે લોકોને ઓછામાં ઓછા બે માસ માટે એલપીજી સિલિન્ડરનો સ્ટોક કરી લેવાનો હુકમ કર્યો છે. તેની સાથે સુરક્ષા દળોના માટે શાળાઓને ખાલી કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. કાશ્મીર સરકારે જારી કરેલા બીજા આદેશમાં જણાવ્યા મુજબ ગાંદરબલમાં સુરક્ષા દળોના માટે શાળાના મકાનોને ખાલી કરવાનું ફરમાન જારી કરાયું છે. કાશ્મીરમાં ગાંદરબલ જિલ્લો ભૌગાલિક રીતે લદ્દાખના કારગિલ સાથે જોડાયેલો છે. આમ સરકારની નવી હિલચાલને લઈ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલાએ ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે સરકારનો હુકમ કાશ્મીરમાં દહેશત ઉભી કરી રહ્યો છે.

              જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલના સલાહકારે એક બેઠક દરમિયાન રાજ્યમાં એલપીજીનો જરૂરિયાત મુજબનો સ્ટોક સુનિશ્ચિત કરી લેવાના દિશા-નિર્દેશ આપ્યા છે. આ અંગેના આદેશમાં જણાવ્યા મુજબ ભૂસ્ખલનના કારણે રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ થવાના કારણે પુરવઠાને અસર થઈ શકે તેમ છે. આ હુકમને મોસ્ટ અરજન્ટ મેટર તરીકે બજાવવામાં આવ્યો છે. રાજ્યના પુરવઠા વિભાગના વડાએ પોતાના આદેશમાં ગેસ અને ઓઈલ કંપનીઓને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે રાંધણ ગેસ બોટલનો જરૂરિયાત મુજબનો સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવે. જે માસ સુધી ચાલી શકે તેમ હોય. સામાન્ય રીતે શિયાળાની મોસમ દરમિયાન વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે જ આ પ્રકારના આદેશ જારી થતા હોય છે.

              કારણે બરફવર્ષાને કારણે રસ્તા બ્લોક થવાની ભીતિ રહેતી હોય છે. જ્યારે હાલ ગરમીના દિવસોમાં આ પ્રકારના ફરમાન જારી થતાં લોકોમાં ચર્ચાનું કેન્દ્રબિંદુ બન્યા છે. જ્યારે સરકારના બીજા એક આદેશમાં ગાંદરબલ જિલ્લાના પોલીસ અધિક્ષકે જિલ્લાની ૧૬ શાળાઓ, શિક્ષણ સંસ્થાઓને મકાનો ખાલી કરવાનો અનુરોધ કર્યો છે. હુકમમાં જણાવ્યા મુજબ અમરનાથ યાત્રા – ૨૦૨૦ના આયોજનને અનુલક્ષીને આ તમામ શૈક્ષણિક સંસ્થાઓની ઈમારતોને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ(ઝ્રછઁહ્લ)ની કંપનીઓની વૈકલ્પિક આવાસ સુવિધા તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવે. ભૌગાલિક રીતે જોઈએ તો કાશ્મીરનો ગાંદરબલ જિલ્લો કારગિલ સાથે જોડાયેલો છે. તેની સાથે લદ્દાખનો રસ્તો પણ આ વિસ્તારમાંથી જ પસાર થાય છે. દેશભરમાં હાલ કોરોનનો કહેર હોઈ અમરનાથ યાત્રામાં ભાવિકોની સંખ્યા સાવ ઓછી રહેશે, તેમ લોકોને લાગી રહ્યું છે. ત્યારે અમરનાથ યાત્રાને સાંકળીને જિલ્લા પોલીસ દ્વારા જારી કરાયેલા હુકમને લઈ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

(8:27 am IST)