Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

રાફેલ વિમાનમાં ઉડાન ભરનાર ભારતના કેન્‍દ્રીય સંરક્ષણ મંત્રી દેશના સૌપ્રથમ સંરક્ષણ મંત્રી બન્યા

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે રાફેલ વિમાનમાં ઉડાન ભરીને ઈતિહાસ રચી દીધો છે. રાફેલ વિમામાં ઉડાન ભરનારા તેઓ દેશના સૌ પ્રથમ સંરક્ષણ મંત્રી બન્યા છે. રાજનાથ સિંહે આજે દેશેરાના પાવન પર્વ નિમિત્તે ફ્રાન્સમાં રાફેલ વિમાનની ઔપચારિક ડિલિવરી લીધી હતી. આ પહેલા રાજનાથ સિંહે રાફેલ વિમાનની વિધિસરની પૂજા કરી હતી. તેમણે રાફેલ વિમાન પર કંકુથી ઓમ બનાવ્યો હતો અને નાળિયેર-ચોખા ચડાવીને વિમાન વધાવ્યું હતું.

રાજનાથે મેરિગ્નેક ફેક્ટરી ખાતેથી રાફેલ વિમાનમાં સવારી કરી હતી. દસોલ્ટ એવિએશનના હેડ ટેસ્ટ પાઈલટ ફિલિપ દશેટુએ રાફેલ વિમાન ઉડાવ્યું હતું. રાફેલ વિમાનમાં સવારી સાથે જ રાજનાથ સિંહ તેમાં ઉડાન ભરનારા દેશના પ્રથમ સંરક્ષણ મંત્રી બન્યા હતા. 

ભારતના સંરક્ષણ મંત્રી ફ્રાન્સ દ્વારા નિર્મિત રાફેલ વિમાનની ઔપચારિક ડિલિવરી લેવા માટે ફ્રાન્સના ત્રણ દિવસના પ્રવાસે ગયા છે. ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ વિમાન ખરીદવાનો રૂ. 59,000 કરોડનો સોદો કરવામાં આવ્યો છે. જેમાંથી પ્રથમ વિમાનની આજે મંગળવારે ઔપચારિક ડિલિવરી કરવામાં આવી હતી. રાફેલ વિમાનની ખરી ડિલિવરી આગામી વર્ષ 2020માં ફ્રાન્સ દ્વારા ભારતને કરવામાં આવશે.

ફ્રાન્સની ઉડ્ડયન ક્ષેત્રની સૌથી મોટી કંપની દસોલ્ટ એવિએશન દ્વારા રાફેલ વિમાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાફેલ વિમાન વિશ્વમાં અત્યાધુનિક અને સૌથી શક્તીશાળી યુદ્ધ વિમાન છે. 

ફ્રાન્સ પાસેથી રાફેલ ગ્રહણ કર્યા પછી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે,"રાફેલની સમયસર ડિલિવરી લેતાં મને ખુબ જ આનંદ થઈ રહ્યો છે. તેનાથી ભારતની વાયુસેનાની શક્તિમાં વધારો થશે. હું ઈચ્છું છું કે બંને લોકશાહી દેશમાં ભવિષ્યમાં તમામ ક્ષેત્રે સહકાર આગળ વધે.  ભારતમાં આજે દશેરા કે જેને વિજાયદશમી પણ કહે છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાનું પર્વ દુશ્મન પર વિજયનું પર્વ છે. સાથે જ આજે ભારતનો 87મો વાયુસેના દિવસ છે. આથી, આજનો દિવસ અનેક રીતે યાદગાર બની રહેશે."

(4:35 pm IST)