Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

શું હાર્દિક ફરી જેલમાં જશે? પૂર્વ સાથીઓ જ આપશે ગવાહી?

ચૂંટણી પૂરી થઇ ગઇઃ હવે કાયદાનો સકંજો કસવામાં આવે તેવી વકી : એક-એક કરી બધા સાથી સાથ છોડી ગયાઃ રાજદ્રોહના બે કેસઃ એક સાથી તાજનો સાક્ષીઃ બાંભણિયા પણ હાર્દિક સાથે નથીઃ અમદાવાદમાં પણ નોંધાઇ ફરિયાદઃ હાલ શરતી જામીન પર બહાર છે હાર્દિક

નવી દિલ્હી તા. ૨૦ : હવે ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે, અને પાટીદાર ફેકટર ભાજપને ખાસ નુકસાન નથી પહોંચાડી શકયું. ત્યારે, હવે હાર્દિક પટેલને તેની સામે કાયદાનો સકંજો કસવામાં આવશે તેમ લાગી રહ્યું છે. પાટીદાર આંદોલન દ્વારા ગુજરાતના રાજકારણમાં વાવાઝોડું ખડું કરનારા હાર્દિકે તાજેતરમાં જ ટ્વીટ કર્યું હતું કે, હવે ભાજપે તેની સામેના કેસ ફરી શરુ કરવાની તૈયારી કરી લીધી છે. શકય છે કે, આ વખતે કદાચ હાર્દિકના પૂર્વ સાથીઓ જ તેની સામે ગવાહી આપે.

એક સમય હતો કે જયારે હાર્દિક પટેલ રાજદ્રોહના કેસમાં જેલમાં હતો ત્યારે રેશમા પટેલ, વરુણ પટેલ તેમજ લાલજી પટેલ જેવા તેના સાથીઓ તેને મુકત કરવાની માગ સાથે દેખાવો કરતાં હતાં. વરુણ પટેલ તો હાર્દિક સાથે રિક્ષામાં બેસી ક્રાઈમ બ્રાંચની ઓફિસે હાજરી ભરાવવા પણ જતો હતો. જોકે, આજે રેશમા પટેલ અને વરુણ પટેલ બંને ભાજપમાં છે. હાર્દિકની સાથે રાજદ્રોહના કેસમાં જેઓ જેલમાં હતા તે બધા તેનો સાથ છોડી ચૂકયા છે, અને દિનેશ બાંભણિયા સિવાયના તેના બધા સાથી ભાજપમાં જોડાઈ ગયા છે.

હાર્દિકના દાવા અનુસાર આખા દેશમાં તે એક માત્ર એવો વ્યકિત છે કે જેના પર સરકારે એક નહીં, પણ બે-બે રાજદ્રોહના કેસ કર્યા હોય. હાર્દિક સામે સુરત અને અમદાવાદ એમ બે જગ્યાએ રાજદ્રોહના કેસ નોંધાયેલા છે. સૂત્રોનું માનીએ તો હાર્દિક સામેના આ કેસ એટલા મજબૂત રીતે તૈયાર કરાયા છે કે તેમાંથી તેનું બચવું ઘણું મુશ્કેલ છે. તેમાંય હવે હાર્દિકના જણાવ્યા અનુસાર, ભાજપ ફરી સત્તા પર છે ત્યારે તેની સામેના આ કેસની કાર્યવાહી ફરી શરુ થઈ શકે છે.

હાર્દિકની સાથે રાજદ્રોહના કેસમાં જેલમાં રહી આવેલા કેતન પટેલ અને દિનેશ બાંભણિયા હવે તેનો સાથ છોડી ચૂકયા છે. કેતન પટેલ તો ભાજપમાં પણ જોડાઈ ગયો છે, એટલું જ નહીં તે તાજનો સાક્ષી પણ બની ચૂકયો છે. કેતન ઉપરાંત, રાજદ્રોહના કેસનો આરોપી ચિરાગ પટેલ પણ ભાજપમાં જોડાઈ ગયો છે, અને તે પણ હાર્દિક પર અનેક આક્ષેપો કરી ચૂકયો છે.

હાર્દિકના બે પૂર્વ સાથીઓ કે જે તેની સાથે રાજદ્રોહના કેસમાં આરોપી પણ હતા, તે હવે ભાજપમાં છે. તો બીજી તરફ, એક સમયે હાર્દિકનો રાઈટ હેન્ડ ગણાતો દિનેશ બાંભણિયા પણ આશ્ચર્યજનક રીતે ચૂંટણીના એક દિવસ પહેલા જ પાસમાંથી છૂટો પડી ગયો હતો અને તેણે પણ હાર્દિક સામે આક્ષેપ કર્યા હતા. બાંભણિયાએ આંદોલન હવે રાજકીય બની ગયું હોવાનું તેમજ એક સીડી મોર્ફ હોઈ શકે, બધી નહીં તેવા નિવેદન હાર્દિક વિરુદ્ઘ કર્યા હતા.

બીજી તરફ, હાર્દિક પટેલ સામે મંજૂરી વગર રેલી કરવાના આરોપમાં રાજકોટ બાદ હવે અમદાવાદમાં પણ બોપલ તેમજ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. આમ તો, હાર્દિક સામે જે પ્રકારના આરોપ લાગેલા છે તેની સામે મંજૂરી વગર રેલી કરવાનો આરોપ સાવ સામાન્ય છે, પરંતુ તેના માટે તેને કોર્ટ અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડી શકે છે.

રાજદ્રોહના કેસમાં હાર્દિક હાલ શરતી જામીન પર જેલની બહાર છે. આ એક જ કેસ એવો છે કે, જેમાં હાર્દિક મોટી મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. તેની સામે વિસનગરમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ અને આગજનીનો કેસ પણ નોંધાયેલો છે. આ ઉપરાંત, જાહેનામાંના ભંગના પણ કેટલાક કેસ હાર્દિક પટેલ પર ચાલે છે.

હાર્દિકને દલિત આગેવાન તેમજ વડગામ બેઠકના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ખુલ્લો સાથ આપ્યો છે. ગઈ કાલે હાર્દિક સાથે જિજ્ઞેશે મુલાકાત કરી હતી, અને એમ પણ કહ્યું હતું કે જો હાર્દિકની ખોટી રીતે ધરપકડ થશે તો તે આંદોલન કરશે. ભૂતકાળમાં પણ હાર્દિકની કથિત સેકસ સીડી સામે આવી ત્યારે પણ જિજ્ઞેશે હાર્દિકને સાથ આપ્યો હતો.

વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિકે અનેક જગ્યાએ જાહેર સભાઓ કરી હતી, અને તે તમામ સભામાં ભાજપ વિરુદ્ઘ બોલવામાં કશુંય બાકી નહોતું રાખ્યું. હાર્દિકે પોતાની સભાઓમાં ત્યાં સુધી કહ્યું હતું કે જો ભાજપની સરકાર ફરી આવી તો તે પાછો જેલમાં જશે અને તેના માટે તે તૈયાર પણ છે. હવે ખરેખર ભાજપની સરકાર ફરી આવી ચૂકી છે ત્યારે જોવાનું એ રહે છે કે હાર્દિકના આ શબ્દો સાચા પડે છે કે નહીં.

(3:50 pm IST)