Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ટૂંક સમયમાં ભરડો લેશે મોંઘવારી: RBI ની મોનેટરી પોલિસી કમિટીએ માન્યું

મુંબઈ, તા.૨૦: આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના મોટાભાગના સભ્યોએ આગામી સમયમાં ફુગાવો વધે તેવી આશંકા વ્યકત કરી છે. સમિતિના છ સભ્યોમાંથી પાંચ સભ્યોએ દરને ૬.૫૦ ટકા રાખવા અંગે મત આપ્યો છે.

રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી (MPC) દ્વારા ક્રૂડ ઓઈલની વધતી જતી કિંમતો અને રૂપિયામાં ઘટાડો થવાને લીધે મોંઘવારીનું જોખમ વધ્યું હોવાનું સ્વીકાર્યું છે. સમિતિએ સૂચવ્યું છે કે તે આગામી મહિનાઓમાં રેપો રેટમાં વધારો કરી શકે છે. શુક્રવારે, સમિતિએ ઓકટોબરમાં થયેલી મીટિંગની મિનિટ્સ જાહેર કરી હતી. આ મુજબ, મોટાભાગના સભ્યોએ ફુગાવાની આશંકા દર્શાવી છે.

આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલે જણાવ્યું હતું કે ફુગાવાના સતત વધી રહેલા ભયને જોતા અને લાંબા ગાળા માટે ૪ ટકાના ફુગાવાના દરને પ્રાપ્ત કરવા માટે, નાણાંકીય નીતિને 'તટસ્થ'માંથી 'કેલિબ્રેટેડ ટાઇટનિંગ' તરફ લઈ જવાની જરૂર છે. કેલિબ્રેટેડ ટાઇટનિંગનો અર્થ છે કે હાલના દરની સાયકલમાં, પોલિસી રેપો રેટ્સમાં કાપ મુકી શકાશે નહીં અને અમે દરેક નીતિગત મીટિંગમાં દરોમાં વધારો કરવાની ફરજ પાડતા નથી.

આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર, વિરલ આચાર્યના જણાવ્યા અનુસાર, ઓઈલના ભાવમાં વધારો થવાની સંભાવનાને પગલે દરોમાં ઘટાડવામાં કરવામાં નહીં આવે. આચાર્યએ જણાવ્યું હતું કે, આ તમામ પરિબળો અને નાણાંકીય નીતિ સમિતિના લક્ષ્ય મૂલ્યને ધ્યાનમાં રાખીને, કાળજીપૂર્વક યોગ્ય સમયે આગળ વધવુ જોઈએ., જેથી છેલ્લા બે વખત સતત વધતા જતા દરને પગલે અર્થતંત્રને સમાયોજિત કરવાનો સમય મળે.(૨૩.૧૧)

 

(3:40 pm IST)