Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

વોટ્સએપનું નવુ ફીચર : ૫થી વધુ વખત ફોરવર્ડ નહીં કરી શકો ફોટો - વીડિયો

ફોરવર્ડ મેસેજની લિમિટ સેટ કરાઇ : ભારત વોટ્સએપનું મોટું માર્કેટ છે : અફવાથી દેશમાં હિંસક ઘટના વધી

નવી દિલ્હી તા. ૨૦ : ભારતમાં નિર્દોશ લોકો ટોળાના હુમલાની ઘટના બાદ સરકારે વોટ્સએપને કેટલાક પગલાં ભરવા માટે સૂચન કર્યું હતું જે પછી વોટ્સએપે ફોર્વરડેડ મેસેજને મેન્શન કરવાની સાથે વધુ એક નવું ફીચર તૈયાર કર્યું છે જેમાં હવે વોટ્સએપ યુઝર્સ ઢગલાબંધ લોકોને એકના એક મેસેજ ફોરવર્ડ નહીં કરી શકે.

વોટ્સએપ દ્વારા ફોરવર્ડ મેસેજના મારાને અટકાવવા માટે નવું ફીચર તૈયાર કરાયું છે જેમાં યુઝર ૫ વખત એક મેસેજને ફોરવર્ડ કરી શકશે તે પછી ફોરવર્ડનું ઓપ્શન ડિસેબલ થઈ જશે. એટલે તમે એકનો એક મેસેજ પાંચથી વધુ વ્યકિતને ફોરવર્ડ નહીં કરી શકો.

વોટ્સએપની એક બ્લોગ પોસ્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે, આજથી અમે વોટ્સએપ પર મેસેજ ફોરવર્ડ કરવાની લિમિટનો ટેસ્ટ કરીશું, જે તમામ લોકોને લાગુ પડશે. ભારતમાં લોકો દુનિયાનાના અન્ય દેશ કરતા વધુ મેસેજ, ફોટોઝ અને વીડિયો ફોરવર્ડ કરે છે. અમે એકવારમાં ૫ ચેટની લિમિટ ટેસ્ટ કરીશું અને તે પછી મીડિયા મેસેજ પાસે બનેલું ફોરવર્ડ બટન હટાવી દેવામાં આવશે.

નોંધનીય છે કે, ભારતમાં લગભગ ૨૫૦ મિલિયનથી વધુ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે અને વોટ્સએપનું ભારત સૌથી મોટું બજાર છે. પાછલા કેટલાક મહિનાથી વાઈરલ વીડિયોના કારણે મોબ લિન્ચિંગની ઘણી ખબરો સામે આવી છે. વોટ્સએપ દ્વારા નફરત ભરેલા કોન્ટેન્ટ અને અફવા ફેલાવાના કારણે દેશના ઘણાં ભાગોમાં ટોળા દ્વારા હુમલો કરાયાની ઘટના સામે આવી છે. કેન્દ્ર સરકારે પણ વોટ્સએપને આ સંબંધમાં એકશન લેવા જણાવ્યું છે.

ફેસબૂકની માલિકીવાળા વોટ્સએપે ટેકનોલોજી મિનિસ્ટ્રીને એક ચીઠ્ઠી લખી હતી. કંપનીએ કહ્યું કે દેશમાં હિંસાની ઘટનાઓ ઘણીં જ ભયાનક છે, અને આ ઘટનાઓને રોકવા માટે નવા પગલાં ભરવામાં આવી રહ્યા છે.

વોટ્સએપના જણાવ્યા પ્રમાણે, નવા બદલાવોથી એ સુનિશ્ચિત થશે કે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ એક પ્રાઈવેટ મેસેજિંગ એપ જ રહે અને ખોટી માહિતી કે અફવા ફેલાતી રોકી શકાય. જોકે, જરુરી છે કે વોટ્સએપ ફોરવર્ડ કરાતા ટેકસ્ટ મેસેજ માટે પણ કંઈક કરે. લોકો સરળતાથી આ ટેકસ્ટ મેસેજને કોપી કરીને ફોરવર્ડ કરી દે છે. આવું થાય ત્યારે ફોરવર્ડેડનું લેબલ નથી દેખાતું.

વોટ્સએપે અમેરિકા હેડકવાર્ટર અને ભારતીય કામકાજ સાથે જોડાયેલા સિનિયર અધિકારીઓએ ચૂંટણી પંચ સહિત ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી. વોટ્સએપનું કહેવું છે કે ભારતમાં આગામી ચૂંટણી દરમિયાન પોતાના પ્લેટફોર્મનો દૂરુપયોગ રોકવાનની કોશિશ રોકવા માટે મુલાકાત કરી છે.(૨૧.૪૧)

(3:33 pm IST)