Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ભારત બંધને કારણે ૧૮૧ મેલ-એક્‍સપ્રેસ, ૩૪૮ પેસેન્‍જર ટ્રેનો રદ

બિહારમાં રેલવેએ સોમવારે આશરે ૩૫૦ ટ્રેનો નહીં ચલાવવાનો નિર્ણય લીધો હતો

નવી દિલ્‍હી, તા.૨૦: સેનામાં ભરતી માટે કેન્‍દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાની સામે આજે ભારત બંધનું આહવાન કરવામાં આવ્‍યું છે. યુવાનો દિલ્‍હી, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, તેલંગાણા, ઓડિશા, પશ્‍ચિમ બંગાળ, મધ્‍યપ્રદેશ, પંજાબ, ઝારખંડ અને આસામમાં વિરોધ પ્રદર્શનો કરીને નારાજગી દર્શાવી રહ્યા છે.  ભારત બંધની ઘોષણાની વચ્‍ચે કોંગ્રેસે દેશવ્‍યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. બિહારમાં રેલવેએ સોમવારે આશરે ૩૫૦ ટ્રેનો નહીં ચલાવવાનો નિર્ણય લીધો હતો એ સાથે ૨૦ જિલ્લાઓમાં ઇન્‍ટરનેટ સેવા સોમવારે પણ બંધ રહેશે. આ ઉપરાંત ભારત બંધને કારણે ૧૮૧ મેલ-એક્‍સપ્રેસ અને ૩૪૮ પેસેન્‍જર ટ્રેનો રદ કરવામાં આવી હતી. ભારત બંધને કારણે કુલ પ્રભાવિત ટ્રેનોની સંખ્‍યા ૫૩૯ થઈ ગઈ છે.

ભારત બંધને લીધે મહામાયાથી માંડીને નોએડા ગેટ સુધી લાંબો ટ્રાફિક જામ લાગેલો છે. આ સિવાય દિલ્‍હી-ગુરુગ્રામ બોર્ડર પર ભીષણ જામ લાગેલો છે.

ભારત બંધને કારણે RPF અને GRPને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. RPFના વરિષ્ઠ અધિકારીઓએ સ્‍પષ્ટ નિર્દેશ આપ્‍યો હતો કે હિંસા કરવાવાળા સામે સખતાઈથી કાર્યવાહી કરવામાં આવશે. નોએડામાં કલમ ૧૪૪ લગાવવામાં આવી છે. ભારત બંધને કારણે યુપી સરકાર પણ અલર્ટ પર છે.

કેન્‍દ્રની અગ્નિપથ યોજનાની ભરતીય યોજનાના વિરોધમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ દિલ્‍હીના શિવાજી બ્રિજ રેલવે સ્‍ટેશન પર એક ટ્રેનને અટકાવી હતી. બીજી બાજુ, જંતર મંતર પર કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, છત્તીસગઢના CM ભૂપેશ બઘેલ અને રાજસ્‍થાનના CM અશોક ગેહલોત યોજના સામે ચાલી રહેલા સત્‍યાગ્રહમાં ભાગ લીધો હતો.

(3:58 pm IST)