Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

એનએસયુઆઈનાં રાષ્ટ્રીય પ્રભારી રુચિ ગુપ્તાનું રાજીનામું

રાહુલ ગાંધીનાં નજીકના વ્યક્તિ મનાતા હતા : પાર્ટીમાં સંગઠનાત્મક ફેરફારોમાં લાગેલા વધારે સમયને રાજીનામા માટે કોંગીના સંયુક્ત સચિવે જવાબદાર ઠેરવ્યું

નવી દિલ્હી, તા.૧૯ : કોંગ્રેસમાં નેતૃત્વ મુદ્દે થયેલી મહત્વની બેઠક દરમિયાન પાર્ટીની વિદ્યાર્થી શાખા નેશનલ સ્ટુડેન્ટ્સ યૂનિયન ઓફ ઇન્ડિયા એનએસયુઆઈની રાષ્ટ્રીય પ્રભારી અને કોંગ્રેસની સંયુક્ત સચિવ રુચિ ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે. રુચિ ગુપ્તાને રાહુલ ગાંધીની નજીકના વ્યક્તિ માનવામાં આવતા હતા. તેમણે રાજીનામુ આપવા પાછળ પાર્ટીમાં સંગઠનાત્મક ફેરફારોમાં લાગેલા વધારે સમયને જવાબદાર ઠેરવ્યુ હતું.

એક તરફ સોનિયા ગાંધી પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી પાર્ટીના આંતરિક મતભેદોનો સફાયો કરવાના પ્રયત્ન કરી રહ્યા છે, એવામાં રુચિ ગુપ્તાનું રાજીનામું કોંગ્રેસ માટે ઝટકા સમાન છે.

રુચિ ગુપ્તા એનએસયુઆઈના પ્રમુખ સચિવ હતા. રિપોર્ટ મુજબ તેમણે વ્હોટ્સએપ મેસેજ મોકલીને કહ્યુ હતું કે સંગઠનાત્મક ફેરફારોના અમલમાં મહાસચિવ કે.સી. વેણુગોપાલ દ્વારા વેડફાયેલો સમય પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યો છે. તેમણે ટ્વીટ કરી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો આભાર વ્યક્ત કરતા પદ છોડ્યાની જાણકારી આપી હતી.

(8:21 pm IST)