Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

મમતાના નેતૃત્વમાં TMCમાં સડો પેસી ગયો છે : શુભેન્દુ

ભાજપમાં જોડાવા સાથે શુભેન્દુના મમતા પર વાર : પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસમાં અનેક ગાબડાં પાડતું ભાજપ, શાહની હાજરીમાં અનેક નેતા પક્ષમાં જોડાયા

કોલકાતા, તા.૧૯ : તૃણમૂલ કોંગ્રેસના મહત્વના નેતા શુભેંદુ અધિકારી આજે સત્તાવારા રીતે ભાજપમાં જોડાયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના બે દિવસના બંગાળ પ્રવાસ દરમિયાન પ્રથમ દિવસે શુભેન્દુ અધિકારી એક જાહેર રેલીમાં ભાજપમાં જોડાયા હતા અને તેમને રેલીમાં મંચ પર સ્થાન આપવામાં આવ્યું હતું. ભાજપમાં જોડાયા બાદ શુભેન્દુએ ટીએમસી સુપ્રીમ મમતા બેનરજી પર ધારદાર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે પશ્ચિમ બંગાળની પ્રજા અત્યંત મહત્વના વળાંક પર ઉભી છે. ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં લોકો જે કોઈ પક્ષને પસંદ કરશે તેની અસર તેમના પર આજીવન રહેશે.

અમિત શાહની મિદનાપોરની રેલીમાં શુભેન્દુ અધિકારી સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે ટીએમસીના વર્ધમાન પુરબના બે ટર્મના લોકસભા સાંસદ સુનિલ મોંડલ પણ ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત ટીએમસીની પાંચ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાયા હતા જેમાં બંરસી મૈતી, શિલભદ્ર દુત્તા, બિસ્વજીત કુંડુ, સુકરા મુંડા અને સૈકત પંજાનો સમાવેશ થાય છે. ૨૦૧૬માં સીપીઆઈએમની ટિકિટ પર ગજોલ બેઠકથી એમએલએ ચૂંટાયા બાદ ટીએમસીમાં જોડાયેલા દિપાલી બિસ્વાસે પણ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. સીપીઆઈએમના ધારાસભ્ય તાપસી મંડલ, તમલુકના સીપીઆઈ એમએલએ અશોક ડિંડા અને કોંગ્રેસના પુરુલિયાના એમએલએ સુદીપ મુખરજી પણ ભાજપમાં જોડાયા હતા. ટીએમસીના પૂર્વ સાંસદ દશરથ તિર્કેએ પણ ભગવો ધારણ કર્યો હતો. તેમજ ટીએમસી, ડારેબી અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્યામાપ્રસાદ મુખરજીએ પણ ભાજપનો ખેસ ગ્રહણ કર્યો હતો.

ભાજપમાં જોડાયા બાદ જ શુભેન્દુએ ભાજપના તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ભરપેટ વખાણ કર્યા હતા. બીજીતરફ તેમણે કહ્યું કે, મમતા બેનરજીના નેતૃત્વમાં ટીએમસીમાં સડો પેસી ગયો છે. હું કહેવા માંગુ છું કે પશ્ચિમ બંગાળ કે તૃણમૂલ કોંગ્રેસ એ કોઈની જાગીર નથી. પાર્ટી એક દિવસમાં કોઈ એક વ્યક્તિથી નથી બનતી.

શુભેન્દુએ ટીએમસીના સુપ્રીમ મમતા બેનરજીને ટાંકીને એક ખુલો પત્ર લખ્યો હતો. તેમણે જણાવ્યું કે, આ એક વિશાળ સ્તરે સતત પ્રયાસ દ્વારા થાય છે અને આ પ્રયાસથી જ ૨૦૧૧માં પશ્ચિમ બંગાળમાં ટીએમસી સત્તામાં આવી હતી. અગાઉ દરેક વ્યક્તિએ એક એક ઈંટથી ટીએમસીની સ્થાપના કરી હતી તે હવે વ્યક્તિગત લોકોથી ભરાઈ ગઈ છે અને તેઓ અન્ય લોકોની દરકાર નથી લઈ રહ્યા.

(8:20 pm IST)