Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

મુસ્લિમ યુવતીની સાથે લગ્ન કરનાર યુવકને પોલીસે ઝડપ્યો

યુપીમાં લવજેહાદ સામે કડક કાયદો અમલમાં : યુવક સામે યુવતીના પરિવારની અપહરણની ફરિયાદ, યુવતીએ તેની પર કોઈ જ દબાણ થયાનો ઈનકાર કર્યો

મેરઠ , તા.૧૯ : યુપીમાં લવ જેહાદના કાયદા હેઠળ કેટલાક મુસ્લિમ યુવકો સામે પોલીસે કેસ દાખલ કર્યા છે, ત્યારે બધા વચ્ચે હવે હિન્દુ યુવક મુસ્લિમ યુવતીને ભગાડી ગયો હોવાનો એક અલગ મામલો પ્રકાશમાં આવ્યો છે. મેરઠમાં રહેતો યુવક યુવતી સાથે ભાગીને ઋષિકેશ પહોંચ્યો હતો અને ત્યાં એક મંદિરમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. બીજી તરફ, યુવતીના પરિવારજનોએ તેને ભગાડી જનારા યુવક વિરુદ્ધ અપહરણ સહિતના વિવિધ આરોપો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસ બંનેને ઋષિકેશથી પકડી લાવી છે.

મેરઠમાં પ્રોવિઝન સ્ટોર ધરાવતો નમન મદાન મુસ્લિમ એરિયામાં રહેતી ફરહા (ઉં. ૨૩ વર્ષ)ના ઘરે સામાન ડિલિવર કરવા માટે જતો હતો. ફરહાને પણ નમનની દુકાનની કેક ખૂબ ભાવતી હતી, અને આમ બંને વચ્ચે દોસ્તી શરુ થઈ હતી જે સમય જતાં પ્રેમમાં પરિણમી હતી. જોકે, બંનેના પરિવારજનો સંબંધના વિરોધી હોવાથી નમન અને ફરહાએ ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું હતું. આખરે ૧૩ ડિસેમ્બરના રોજ તેઓ ઋષિકેશ પહોંચ્યાં હતાં અને ત્યાં એક મંદિરમાં તેમણે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ ફરહાએ હિન્દુ ધર્મ અપનાવવાનું નક્કી કર્યું હતું અને પોતાનું નામ પણ બદલીને માહી રાખ્યું હતું.

એક તરફ કપલ ઋષિકેશમાં લગ્ન બાદ ફરી રહ્યું હતું, તો બીજી તરફ તેમના ઘરોમાં તોફાન મચ્યું હતું. ફરહાના ભાઈએ નમન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આક્ષેપ કર્યો હતો કે તેણે ફરહાનું અપહરણ કર્યું છે. અપહરણ ઉપરાંત ગેરકાયદે રીતે ગોંધી રાખવા તેમજ લગ્નની ખોટી લાલચ આપવા જેવા આરોપો પણ નમન વિરુદ્ધ લગાવાયા હતા. ફરહાના ભાઈએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમના ઘરમાંથી કેટલીક કેશ પણ ગાયબ છે, અને તેમને એક ફોન પણ મળ્યો છે. ફરહાના પરિવારજનોએ નમને તેનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ દાખલ કરાવી તો તેની સામે સ્થાનિક હિંદુવાદી સંગઠનો પણ મેદાને આવી ગયા હતા, અને તેમણે આક્ષેપ કર્યા હતા કે ખરેખર તો નમનનું ફરહાના પરિવારજનો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. બીજી તરફ, ફરિયાદ નોંધાયાના પાંચ દિવસ બાદ પોલીસે નમન અને ફરહાને ઋષિકેશમાંથી શોધી કાઢ્યા હતા, અને અપહરણના આરોપમાં નમનને લોકઅપમાં પૂરી દીધો હતો.

અંગેની ફરિયાદ જ્યાં નોંધાઈ છે તે નૌચાંદી પોલીસ સ્ટેશનના ઓફિસર સંજય વર્માએ જણાવ્યું હતું કે મહિલાએ તેનું અપહરણ કરાયું હોવાનો ઈનકાર કરવાની સાથે તેની સાથે કોઈ જોરજબરજસ્તી નથી કરાઈ તેવું નિવેદન આપ્યું છે. નમને પોતાની સાથે આવવા અને મંદિરમાં લગ્ન કરવા માટે પણ દબાણ ના કર્યાનું ફરહાએ પોલીસને જણાવ્યું છે. પોલીસે બંનેના નિવેદન નોંધ્યા છે, અને કોર્ટના નિર્ણય અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(7:05 pm IST)