News of Friday, 19th October 2018
અમદાવાદ તા. ૧૯ : ગુજરાતીઓ મીષ્ઠાન ખાવાના શોખીન હોય છે આ સત્ય છે. પરંતુ, ૪૦ વર્ષથી નીચેની ઉંમરના લોકોમાં બેઠાળુ લાઈફસ્ટાઈલ અને વધતા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું જાય છે. જે અંતે ડાયાબિટિઝને નોતરે છે. ડાયાબિટોલોજીસ્ટ અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્સના જાણીતા લેખક ડો. વી મોહને અમદાવાદ પર કરેલા એક અભ્યાસમાંથી આ વાત જાણવા મળી હતી. સ્થાનિક તબીબો અને નિષ્ણાંતોની મુલાકાત કરી ચર્ચા-વિચારણા બાદ તેમણે જણાવ્યું હતું કે, યુવાનોમાં ડાયાબિટિઝનું પ્રમાણ ૭.૧ ટકા છે અને તે વધી રહ્યું છે.
૨૨ લાખ લોકોની વસ્તી સામે આ પ્રમાણ ૭.૧ ટકા છે. ડાયાબિટિઝ અને પ્રિ-ડાયાબિટિઝ ધરાવતા રાજયની યાદીમાં ગુજરાત પાંચમા ક્રમે છે. ડાયાબિટિઝને લઈને ૨૧ રાજયની વસતીનો સર્વે કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ પરથી જુદા જુદા રાજયને ક્રમ આપવામાં આવ્યા હતા. રાજયના અર્બન વિસ્તારની વાત કરીએ તો અમદાવાદ જેવા મેગાસિટીમાં શહેરની ૨૦ ટકા વસ્તીને ડાયાબિટીઝ છે. અભ્યાસ અનુસાર ટોપ ૫માં તામિલનાડુ, દિલ્હી, ચંદીગઢ અને પંજાબ પ્રથમ શ્રેણીમાં છે. બીજા એક ડોકટર અને ડાયાબિટોલોજીસ્ટ બંશી સબો કહે છે કે, અન્ય રાજયની તુલનામાં ગુજરાતના યુવાનોમાં ડાયાબિટિઝનું પ્રમાણ વધારે છે.
૨૦-૪૦ વર્ષના વયજુથમાં ૧૫ ટકા લોકો ડાયાબિટીઝથી પીડાઈ રહ્યા છે. ૬૨% લોકોમાં હાઈકોલેસ્ટ્રોલ છે જયારે ૭૬% લોકો એવા છે જેને ડાયાબિટિઝ કંટ્રોલમાં રહેતું નથી. છેલ્લા બે દાયકાઓથી ડાયાબિટીઝને લગતી ફરિયાદો આવી રહી છે. જેમાં મોટા ભાગની ફરિયાદ અર્બન વિસ્તારમાંથી હોય છે. ડો. મોહને કહ્યું હતુ કે, મોટા ભાગના કેસમાં લોકોની બેઠાળું લાઈફસ્ટાઈલ જવાબદાર હોય છે. જે મોટા ભાગે અર્બન વિસ્તારમાંથી હોય છે. આ ઉપરાંત હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ડાયાબિટીઝનું પ્રમાણ વઘી રહ્યું છે.
સતત તણાવભરી જિંદગી અને કસરતના અભાવે આ બની રહ્યું છે. આ ઉપરાંત હેલ્થી લાઈફસ્ટાઈલને અભાવે પણ અસર ઊભી થઈ છે. ખાસ કરીને યુવાનોમાં તેની અસર વધુ જોવા મળે છે અને ગામડાંઓમાં પણ ડાયાબિટીઝનું પ્રમાણ ૧%થી વધ્યું છે. અભ્યાસ અનુસાર ૭૬.૮% શહેરી વિસ્તારના લોકો અને ૫૬.૭% ગામડાંઓના લોકોમાં ડાયાબિટીઝ પાછળનું કારણ જંકફૂડ અને બેઠાળુ જીવન છે. શહેરના ૮.૨% લોકો અને ગ્રામ્ય વિસ્તારના માત્ર ૧૦.૬% લોકો શારીરિક શ્રમ કરે છે.
આ ઉપરાંત ૮૨.૯% લોકો પોતાના ખોરાકમાં કપાસિયા તેલનો ઉપયોગ કરે છે. આ પણ કારણ છે. એવું અભ્યાસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ત્યારે ૧૪.૪% લોકો મગફળીનું તેલ અને ૧.૬% લોકો પામઓઈલનો રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરે છે. બીજી તરફ અભ્યાસ અનુસાર ૬૦% લોકોએ જણાવ્યું કે, તેઓ જમવામાં ઘઉંનો ઉપયોગ કરે છે જયારે ૨૨.૯ ટકા લોકોએ કહ્યું કે તેઓ જમવામાં બજરાનો ઉપયોગ કરે છે. ઘઉંના ઉપયોગ કરનારા મોટા ભાગના લોકો શહેરી વિસ્તારના હતા જયારે બાકીના લોકો ગ્રામ્ય વિસ્તારના હતા.(૨૧.૧૦)