Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

આપણે અત્યારે 'મેઘાલય યુગ'માં જીવી રહ્યા છીએ

વૈજ્ઞાનિકોએ શોધ્યો નવો યુગ

નવી દિલ્હી તા. ૧૯ : વૈજ્ઞાનિકોએ ધરતીના ઇતિહાસના એક નવા જ યુગ/કાળની શોધ કરી છે. ખાસ વાત એ છે કે આનું કનેકશન ભારતના મેઘાલય સાથે છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ ૪૨૦૦ વર્ષ પહેલા શરૂ થયેલા પૃથ્વીના ઇતિહાસને 'મેઘાલય યુગ' નામ આપ્યું છે. ૪૨૦૦ વર્ષ પહેલા આખી પૃથ્વી પર અચાનક દુષ્કાળ પડ્યો હતો અને તાપમાન એકદમ નીચે ગયું હતું. આ જ કારણે વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ ખતમ થઈ ગઈ હતી.

 

હવે મોટો સવાલ એ છે કે આ યુગને 'મેઘાલય યુગ' નામ શા માટે આપવામાં આવ્યું? હકીકતમાં આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની એક ટીમે મેઘાલયની એક ગુફાની છત પરથી જમીન પર ટપકી રહેલા ચૂનાને એકઠો કર્યો હતો. એકઠા કરવામાં આવેલા આ ચૂનાની મદદથી વૈજ્ઞાનિકોને ધરતીના ઇતિહાસમાં ઘટેલી સૌથી નાની જળવાયુ પરિવર્તનની ઘટનાને વ્યાખ્યાયિત કરવામાં મદદ મળી હતી. આ જ કારણે તેનું નામ 'મેઘાલય એજ' અથવા 'મેઘાલય યુગ' આપવામાં આવ્યું હતું.

૪.૬ અબજ વર્ષનો ધરતીનો ઇતિહાસ અનેક કાળખંડોમાં વહેંચાયેલો છે. આ દરેક કાળ ખંડોમાં અલગ અલગ ઘટનાઓ ઘટતી રહી છે. જેમ કે ટાપુઓનું તૂટવું, પર્યાવરણમાં ધરખમ ફેરફાર, જાનવરો તેમજ વૃક્ષોનો વિકાસ વગેરે. હાલમાં આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ તેને હોલોસીન યુગ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મતે 'મેઘાલય યુગ' તેનો જ એક ભાગ છે. આ યુગમાં છેલ્લા ૧૧,૭૦૦ વર્ષનો ઇતિહાસ સામેલ છે. એ સમયે હવામાનમાં અચાનક ઉત્પન્ન થયેલી ગરમીને કારણે આપણે 'હિમ યુગ'થી બહાર આવ્યા હતા.

વૈજ્ઞાનિકોના મતે ૪૨૦૦ વર્ષ પહેલાથી લઇને અત્યાર સુધીના સમયગાળાને 'મેઘાલય યુગ' તરીકે ઓળખવામાં આવશે. એનો મતલબ કે આપણે હાલમાં 'મેઘાલય યુગ'માં જીવીએ છીએ. આ યુગની શરૂઆત દુષ્કાળથી થઈ હતી, જેની અસર બે સદી સુધી રહી હતી. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે હિમ યુગ પૂરો થયા બાદ અનેક ક્ષેત્રમાં કૃષિ આધારિત સમાજનો વિકાસ થયો, જેના પર હવામાનની ઘટનાઓએ ખૂબ પ્રભાવ પાડ્યો હતો. જેના પરિણામ સ્વરૂપે ઇજિપ્ત, યૂનાન, સીરિયા, ફિલિપાઇન્સ, મેસેપોટેમિયા, સિંધુ ઘાટી અને યાંગત્સે નદીની ઘાટીની સંસ્કૃતિઓ પ્રભાવિત થઈ હતી.(૨૧.૩૨)

(3:52 pm IST)