News of Saturday, 19th June 2021
નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ મ્યાનમારની સૈન્ય સરકાર વિરૂદ્ધ વ્યાપક વૈશ્વિક વિરોધ વ્યક્ત કરતા એક પ્રસ્તાવ પસાર કરી દેશમાં સૈન્ય તખ્તાપલટની નિંદા કરી છે, તેમના વિરૂદ્ધ શસ્ત્ર પ્રતિબંધનું આહવાન કર્યુ છે અને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ફરી લાવવાની માંગ કરી છે.
જોકે, ભારત સહિત 35 દેશોએ આ પ્રસ્તાવ પર વોટિંગમાં ભાગ લીધો નહતો. ભારતનું કહેવુ છે કે પ્રસ્તાવમાં તેમના વિચારોની ઝલક જોવા નથી મળતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઇ અનુસાર, ભારતે પોતાના નિવેદનમાં કહ્યુ, આજના મુસદ્દા પ્રસ્તાવમાં અમારા વિચાર પ્રતિબિંબિત થતા પ્રતીત નથી થઇ રહ્યા. આંતરરાષ્ટ્રીય સમુદાય આ મુદ્દાને શાંતિપૂર્ણ સમાધાન પર ભાર આપતો રહ્યો છે અને એવામાં અમે આ વાતને દોહરાવવા માંગીએ છીએ કે આ પ્રસ્તાવમાં મ્યાનમારના પાડોશી દેશો અને ક્ષેત્રને સામેલ કરતા એક સલાહકાર અને રચનાત્મક દ્રષ્ટિકોણ મહત્વનો છે.
ભારતે કહ્યુ, પાડોશી દેશ અને ક્ષેત્રના કેટલાક દેશો પાસેથી તેમણે સમર્થન નથી મળ્યુ. આશા છે કે આ તથ્ય તેમની માટે આંખ ખોલનારૂ હશે, જેમણે ઉતાવળમાં કાર્યવાહી કરવાનો વિકલ્પ પસંદ કર્યો.
ભારતે કહ્યુ આ પ્રસ્તાવને આ સમયે સ્વીકૃત કરવો મ્યાનમારમાં લોકતાંત્રિક પ્રક્રિયાને મજબૂત કરવાની દિશામાં આપણા સંયુક્ત પ્રયાસો માટે અનુકૂળ નથી. માટે અમે આ પ્રક્રિયામાં સામેલ નથી થઇ રહ્યા.
પ્રસ્તાવના સમર્થકોને આશા હતી કે 193 સભ્યો વિશ્વ સંસ્થા સર્વસમ્મતિથી આ સ્વીકૃત કરી દેશે પરંતુ બેલારૂસે મતદાન કરવાનું આહવાન કર્યુ. પ્રસ્તાવના પક્ષમાં 119 દેશોએ મત આપ્યા હતા, બેલારૂસે તેનો વિરોધ કર્યો હતો. જ્યારે ભારત, ચીન અને રશિયા સહિત 36 દેશોએ તેમાં ભાગ લીધો નહતો.
આ પ્રસ્તાવ યૂરોપીય સંઘ, કેટલાક પશ્ચિમી દેશ અને દક્ષિણ પૂર્વ એશિયન દેશના 10ના સભ્ય સંઘ (આસિયાન), જેમાં મ્યાનમાર પણ સામેલ છે, સહિત તથાકથિત કોર ગ્રુપની લાંબી વાતચીતનું પરિણામ હતું. જોકે, આ પ્રસ્તાવ કાયદાકીય રીતે બાધ્ય નથી.
સંયુક્ત રાષ્ટ્રના એક રાજનાયિકે કહ્યુ કે પ્રસ્તાવ પર સર્વસમ્મતિ માટે આસિયાન સાથે એક સમજૂતિ કરવામાં આવી હતી પરંતુ વોટ દરમિયાન તેના સભ્ય દેશ એકમત જોવા નહતા મળ્યા. આસિયાનના સભ્યો ઇન્ડોનેશિયા અને વિયેટનામ સહિત કેટલાક દેશોએ પક્ષમાં વોટ કર્યો હતો જ્યારે થાઇલેન્ડ અને લાઓસ સહિત અન્યએ મતદાનમાં ભાગ લીધો નહતો.
પ્રસ્તાવને અપેક્ષિત સમર્થન નહતું મળ્યુ પરંતુ મહાસભાની આ કાર્યવાહી એક ફેબ્રુઆરીએ થયેલા સૈન્ય તખ્તાપલટની નિંદા કરે છે જેની હેઠળ આંગ સાન સૂ ચીની પાર્ટીને સત્તા પરથી હટાવવામાં આવી હતી. તખ્તાપલટ બાદથી સૂ ચી અને સરકારના અન્ય કેટલાક નેતા અને અધિકારી નજરકેદ છે, જેના વિરોધમાં દેશમાં પ્રદર્શન ચાલી રહ્યુ છે.