Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

વાસ્તુદોષને કારણે તેલંગાણાના CM ૪૦૦ કરોડના ખર્ચે બનાવશે નવુ સચિવાલય

તમામ સુવિધાઓથી સજ્જ સમગ્ર નિર્માણકાર્યમાં એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે

નવી દિલ્હી, તા.૧૯:– તેલંગાણાના મુખ્યપ્રદ્યાન ચંદ્રશેખર રાવ (કેસીઆર) નવું સચિવાલય બનાવવા ઈચ્છે છે. કહેવામાં આવી રહ્યું છે કે, પાંચ થી છ લાખ વર્ગ ફૂટમાં પ્રસ્તાવિત આ સચિવાલયને બનાવામાં ૪૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સુત્રોના જણાવ્યા અનુસાર તમામ સુવિધાઓથી સજ્જ સમગ્ર નિર્માણકાર્યમાં એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેસીઆરનો આ નવા સચિવાલયનો ડ્રીમ પ્રોજેકટ જૂના સચિવાલયને તોડીને બનાવામાં આવશે. મુખ્યપ્રધાને આ નિર્ણય વાસ્તુદોષની ફરિયાદો આવતા લીધો છે. હવે વિધાનસભા અને વિધાનપરિષદોને પણ ખેરબાદની નજીક નવુ ભવન મળશે. ભૂમિ પૂજન ૨૭ જૂને થશે.

આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના રાજયપાલ ઈએસએલ નરસિમ્હને હાલમાં જ આપેલા એક આદેશમાં આંધ્ર પ્રદેશ સરકારના કબ્જા હેઠળનું સચિવાલયને તેલંગાણાને આપવા કહ્યું છે. જેથી તેલંગાણાના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવનું સપનુ પૂર્ણ થઈ શકે. કેસીઆર વાસ્તુ પર અત્યંત વિશ્વાસ કરે છે. તેમના પહેલા કાર્યકાળ દરમિયાન પણ જયોતિષ અને સંખ્યા વિજ્ઞાન પર ભરોસાને કારણે કે ચર્ચાઓમાં રહી ચૂકયા છે.

સીએમ કેસીઆરે તેમના પ્રથમ કાર્યકાળમાં વર્તમાન સચિવાલયમાં બહુ ઓછો પ્રવેશ કર્યો છે. કારણ કે તેમને કહેવામાં આવ્યું હતું કે, જે સચિવાલયમાં સીએમ રહે છે તેમાં એનટીઆર, વાઈએસઆર, અને ચંદ્રબાબુ નાયડુ બેસતા હતાં. તેમાં વાસ્તુદોષ છે. આ જ કારણે પ્રથમ કાર્યકાળમાં દરમિયાન કેસીઆરે તેમના બંગલા બનાવેલા કેમ્પ કાર્યાલય ખાતેથી સરકારનું સંચાલન કર્યું હતું.

કેસીઆરે સિકંદરાબાદના ઐતિહાસિક બાઈસન પોલો ગ્રાઉન્ડને તેમના ડ્રીમ પ્રોજેકટ માટે પસંદ કર્યું હતું પરંતુ આ ગ્રાઉન્ડમાં ૬૦ એકરથી વધુની જમીનનો માલિકીનો હિસ્સો સંરક્ષણ મંત્રાલય પાસે હતો. તત્કાલિન સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકર, નિર્મલા સીતારમણ અને પીએમ મોદી સાથે આ મામલે અનેક વખત મીટિંગ કર્યા બાદ પણ નિરાકરણ ન આવ્યું. અંતે કેસીઆરે તેમની બીજી ઈનિંગમાં જૂના સચિવાલયને જ પાડીને તેમના સ્થાને નવા સચિવાલયનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો.

(3:22 pm IST)