Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

સુહાગરાત મનાવ્‍યા પછી ગુજરી ગયો વરઃ ધામધૂમથી કર્યા હતા લગ્ન

આમાં મારો શું વાંક હતો? મારી સાથે આવું કેમ થયું? વિધવા થઈ ગયેલી વહુનું આક્રંદ

લખનૌ,તા. ૧૯ : ઉત્તરપ્રદેશમાં આવેલા મૈનપુરી જિલ્લામાં ગમખ્‍વાર ઘટના સામે આવી છે. આ ઘટનામાં લગ્ન બાદ સુહાગરાતના બીજા દિવસે જ વરરાજાનું મોત નીપજતાં આખા પંથકમાં ગમગીનીનો માહોલ છે. માત્ર એક દિવસમાં જ ઉલ્લાસનો કલરવ આક્રંદમાં ફેરવાઈ ગયો હતો.

વરરાજાના નિધનના સમાચાર સાંભળીને જ વધુ સ્‍થળ પર બેહોશ થઈ ગઈ હતી. ત્‍યારબાદ તે ભાનમાં આવતા જ તેણે સવાલ પૂછ્‍યો કે આમાં મારો શું વાંક હતો? મારી સાથે આવું કેમ થયું? વરરાજાના મોતના સમાચાર પરિણીતાના પિયર સુધી પહોંચતાં તેઓ પણ સ્‍થળ પર આવી ગયા હતા.

આ ગમખ્‍વાર ઘટના કરહલ પંથકના નગલા કંસ ગામમાં બની હતી. મૃતક વરરાજાનું નામ સોનૂ હતું. તે માત્ર ૨૧ વર્ષનો હતો. તેણે બીએ સુધી અભ્‍યાસ કર્યો હતો. તેના લગ્ન કિશની પંથકના નગલા સદા સૌજ ગામની આરતી સાથે નક્કી થયા હતા. આ દરમિયાન ગત ૧૧ મેના રોજ બંનેના લગ્ન હનુમાનગઢી ખાતે આવેલા મેરેજ હોલમાં થયા હતા. આ લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ ૧૨ મેના રોજ તે પત્‍નીને તેના પિયર મૂકી પોતાના ઘરે આવી ગયો હતો.

લગ્ન બાદ ઘરમાં નવી વહુના આગમનથી ખુશીનો માહોલ જોવા મળ્‍યો હતો. લગ્નના કારણે અલગ-અલગ લગ્ન વિધિઓ કરવામાં આવી હતી. ઘર મહેમાનોથી ભરેલું હતું. જોકે, કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. શનિવારે સાંજે સોનૂ ઈન્‍વર્ટરમાં વાયર લગાવી રહ્યો હતો. વાયર લગાવતી વખતે તેને જોરદાર કરંટ લાગ્‍યો હતો. જેના કારણે તે બેહોશ થઈને ઢળી પડ્‍યો હતો.

વરરાજા બેહોશ થઈ જતાં તેના પરિવારજનો તેને તાત્‍કાલિક સૈફઇ મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. જોકે, ત્‍યાં હાજર તબીબોએ સોનૂને મૃત જાહેર કર્યો હતો. સોનૂનું નિધન થયું હોવાની વાત સાંભળતાં જ પરિવારજનોનું હૈયાફાટ રૂદન સાંભળવા મળ્‍યું હતું. માત્ર ગણતરીના કલાકોમાં જ ઉત્‍સાહનો માહોલ શોકમાં પલટાઈ ગયો હતો. ત્‍યારબાદ તબીબો દ્વારા મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરવામાં આવ્‍યું હતું. બાદમાં મૃતદેહ પરિવારજનોને સોંપાયો હતો. પરિવારજનો મૃતદેહને ગામડે લઈ ગયા હતા. જયાં રવિવારે શોકના માહોલ વચ્‍ચે સોનૂના અંતિમ સંસ્‍કાર કરવામાં આવ્‍યા હતા. આ ઘટનાના કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્‍યુ હતું.

(10:26 am IST)