Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

આયેગા તો મોદી હી : મોટાભાગે એક્ઝિટ પોલમાં ઘટસ્ફોટ કરાયો

મોટાભાગના સર્વેમાં સરળતાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની વાપસીના સંકેત : ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધન ભાજપને કોઇ નોંધપાત્ર ફટકો આપવામાં નિષ્ફળ રહેતા તેવા એંધાણો : બંગાળમાં મમતાને ફટકો : ગુજરાતમાં આંશિક નુકસાન

નવીદિલ્હી, તા. ૧૯ : લોકસભાની ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કાના મતદાન બાદ આજે એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા.  મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ માટે સારા સમાચાર આવ્યા હતા. તમામ એક્ઝિટ પોલમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર બનવાના સંકેત મળી રહ્યા છે. ટાઈમ્સનાઉ-વીએમઆર, સી-વોટર અને જનકી બાતના એક્ઝિટ પોલ મુજબ ફરી એકવાર ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવશે. ટાઈમ્સનાઉ અને વીએમઆરના એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે કે, એનડીએ શાનદારરીતે સત્તામાં વાપસી કરશે. મોદી લહેરની સામે શાસન વિરોધી પરિબળની કોઇ અસર દેખાઈ નથી. વિરોધ પક્ષો સરકારને હચમચાવી મુકવામાં નિષ્ફળ રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધન પણ અપેક્ષા મુજબ ટક્કર આપવામાં નિષ્ફળ છે. અલબત્ત આ ગઠબંધનનો દેખાવ સારો રહ્યો છે. વિપક્ષોના તમામ આક્ષેપો છતાં પ્રજાએ મોદી સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલ મુજબ એનડીએને ૫૪૨માંથી ૩૦૬ સીટો મળી શકે છે જે બહુમતિના ૨૭૨ના આંકડા કરતા ખુબ વધારે છે. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએને મોટો ફટકો પડી ગયો છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કોઇ ફાયદો થઇ રહ્યો નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં હાલમાં જોરદાર દેખાવ કરનાર કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીમાં કોઇ અસર છોડી શકી નથી. ટાઇમ્સનાઉ-વીએમઆરના એક્ઝિટ પોલમાં યુપીએને ૧૩૨ સીટો મળી રહી છે. સી વોટર પણ એનડીએને બહુમતિ મળી રહી છે. આમા જણાવવામં આવ્યું છે કે, ગઠબંધનને ૨૮૭ સીટો મળી શકે છે. યુપીએને ૧૨૮ સીટો મળી શકે છે. જનકી બાતમાં પણ કહેવામાં આવ્યું છે કે, એનડીએને ૩૦૫, યુપીએને ૧૨૪ સીટો મળી શકે છે. ૨૩મી મેના દિવસે એક્ઝિટ પોલના પરિણામ જો પરિણામ સાથે મેળ ખાસે તો મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર સરળતાથી બનશે. ઇન્ડિયા ટુડે-માયએક્સિસ તેમજ એબીપી-નેલ્સનમાં પણ એનડીએને સૌથી વધારે સીટો મળવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૪૩.૩ ટકા મત મળ્યા હતા પરંતુ આ વખતે તેની હિસ્સેદારી વધી રહી છે. ટાઈમ્સનાઉના પોલ મુજબ ઉત્તરપ્રદેશમાં લોકસભામાં ભાજપને ૫૦થી ૫૬ સીટો મળી શકે છે. એનડીએના ખાતામાં ૫૮ સીટો જઇ શકે છે. કોંગ્રેસ પાર્ટીને અગાઉની જેમ જ બે સીટો મળી શકે છે. મહાગઠબંધનને ૨૦ સીટો સાથે જ સંતોષ કરવાની ફરજ પડી શકે છે. એક્ઝિટ પોલના મોટાભાગના તારણો દર્શાવે છે કે, એનડીએને ફરીવાર સત્તામાં લોકો લાવવા માટે ઇચ્છુક છે. બીજી બાજુ મમતા બેનર્જીએ એક્ઝિટ પોલના તારણોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે, એક્ઝિટ પોલ માત્ર ગોશિપ તરીકે છે. આ ગોસિપ મારફતે ઇવીએમના હજારો મશીનોને બદલી દેવામાં આવી રહ્યા છે. તમામ વિરોધ પક્ષોને સાથે લઇને આગળ વધવાની જરૂર છે. મમતા બેનર્જીએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. મોટાભાગના એક્ઝિટ પોલના તારણો જારી કરવમાં આવ્યા બાદ આ અંગેની સ્પષ્ટ વાત કરવામાં આવી છે. કેટલીક વખત એક્ઝિટ પોલના તારણો ખોટા પણ સાબિત થયા છે.  એક્ઝિટ પોલના સરેરાશ તારણમાં મોટાભાગે એનડીએને બહુમતિ આપવામાં આવી રહી છે. પોલના પોલમાં કહ્યું છે ભાજપ અને સાથી પક્ષોને ૨૯૬ અને કોંગ્રેસ અને સાથી પક્ષોને ૧૨૭ સીટો મળવાનો અંદાજ છે. સી વોટર, જનકી બાત, ન્યુઝનેશન, અન્ય ટીવી સર્વેમાં પણ ભાજપને લીડ મળી રહી છે. દિલ્હીમાં ભાજપને સાતેય સીટો મળી રહી છે. બંગાળમાં ટીએમસીને ધારણા પ્રમાણે જ મોટો ફટકો પડી રહ્યો છે. બંગાળમાં ૪૨ સીટો પૈકી ભાજપને ખુબ ૧૫ સીટો સુધી મળી શકે છે. બિહારમાં એનડીએને સારી સીટો મળી શકે છે.ગુજરાત- મહારાષ્ટ્રમાં વધારે નુકસાન થઇ રહ્યું નથી.

(9:39 pm IST)